Pahalgam Terror Attack: પહલગામ આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર સહિત ત્રણ ગુજરાતીઓના મોત
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં અત્યાર સુધીમાં ત્રણ ગુજરાતીઓના મોતના સમાચાર છે.

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં અત્યાર સુધીમાં ત્રણ ગુજરાતીઓના મોતના સમાચાર છે. સુરતના એક યુવક અને ભાવનગરના પિતા-પુત્રનું આતંકી હુમલામાં મોત થયું છે. સુરતથી મુંબઈ સ્થાયી થયેલા શૈલેષ કળથિયાનું મોત થયું છે. શૈલેષભાઇ પત્ની અને સંતાનો સાથે કશ્મીર ફરવા ગયા હતા. શૈલેષ કળથિયા ચાર બહેનો વચ્ચે એકના એક ભાઈ હતા. તેઓ બેન્ક ઓફ બરોડામાં નોકરી કરતા હતા. ભાવનગરના પિતા પુત્ર મોરારિબાપુની કથામાં ગયા હતા. કથા પૂર્ણ થયા બાદ તેઓ શ્રીનગર ફરવા ગયા હતા.

આતંકી હુમલામાં ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા યતિશભાઈ પરમાર અને તેમનો દીકરો સ્મિત પરમાર બંનેના મોત થયા છે. 16 એપ્રિલના રોજ તેઓ મોરારીબાપુની કથા સાંભળવા માટે શ્રીનગર જવા માટે નીકળ્યા હતા. ગઈકાલે કથા બાદ પરિવાર ફરવા માટે પહલગામ ગયા હતા અને જ્યાં અચાનક આંતકવાદી દ્વારા હુમલો કરવામાં આવતા પિતા- પુત્રના પણ મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું છે. તેઓ મૂળ સુરતના વરાછામાં આવેલા ચીકુવાડી વિસ્તારમાં રહેતા હતા. જો કે થોડા સમયથી તેઓ મુંબઇ ખાતે રહેવા માટે ગયા હતા.
ભાવનગરના એક વૃદ્ધ ઇજાગ્રસ્ત
આતંકી હુમલામાં ભાવનગરના એક વિનુભાઈ ડાભી નામના વૃદ્ધને ઇજા પહોંચી હતી. હાલમાં તેઓ સારવાર હેઠળ છે. મોરારીબાપુની કથા સાંભળવા માટે ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ જમ્મુ કાશ્મીર ગયું હતું. મૃતક શૈલેષના પિતા સુરત આવવા માટે રવાના થઈ ગયા છે. શૈલેષના મૃતદેહને સુરત લાવવામાં આવશે અને સુરતમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વિનુભાઇ ડાભીના દીકરા અશ્વિન ડાભીએ જણાવ્યું હતું કે, 16 તારીખે મારા પપ્પા અહીંયાથી 15 દિવસના ટુર માટે ગયા હતા, જમ્મુ અને કાશ્મીર અને ત્યાં મોરારીબાપુની કથા સાંભળવાની હતી. ત્યાર પછી વૈષ્ણોદેવી દર્શન માટે જવાના હતા. બાદમાં 30 એપ્રિલે ભાવનગર પરત આવવાના હતા. તેઓ પહલગામના આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્યારે તેમની સ્થિતિ સારી છે. મારી મમ્મી સાથે વાત થઇ છે.
નેતાઓએ કાર્યક્રમો કર્યા રદ
પહલગામ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોતથી રાજ્યમાં શોક ફેલાયો હતો. રાજ્ય સરકારના મંત્રી અને નેતાઓએ કાર્યક્રમો રદ્દ કર્યા હતા. જાહેર કાર્યક્રમો અને સૂમહ લગ્નોમાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં મંત્રીઓ ઉપસ્થિત રહેશે નહીં. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાટણનો આજનો કાર્યક્રમ રદ્દ કર્યો હતો. પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોડાસામાં ભાજપનો કાર્યક્રમ રદ કર્યો હતો.





















