![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Rain: રાજ્યમાં ભારે વરસાદથી સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો, 90 જળાશયો હાઇ એલર્ટ પર
રાજ્યમાં સતત વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં ૧૦૦ ટકા જળસંગ્રહ નોંધાયો છે
![Rain: રાજ્યમાં ભારે વરસાદથી સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો, 90 જળાશયો હાઇ એલર્ટ પર As a result of continuous rains in the state, 100 percent water storage has been recorded in the Sardar Sarovar Project Rain: રાજ્યમાં ભારે વરસાદથી સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો, 90 જળાશયો હાઇ એલર્ટ પર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/18/7eec3f90c10d711ca5de6ecf90b49b14169502000026574_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rain: રાજ્યમાં સતત વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં ૧૦૦ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જેના પરિણામે સરદાર સરોવર ડેમના તમામ દરવાજા ખોલતા નયમરમ્ય નજારો જોવા મળ્યો છે. ૯૦ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીની આવક થતા હાઈ એલર્ટ પર છે.
સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યું હતું કે ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ની સ્થિતિએ રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૩૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર યોજનામાં ૩,૩૪,૦૮૦ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૧૦૦ ટકા જેટલો નોધાયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળ પરિયોજનાઓમાં ૪,૯૮,૩૧૨ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૮૯.૨૯ ટકા જેટલો નોંધાયો છે.
રાજ્યભરના કુલ ૨૮ જળાશયોમાં (સરદાર સરોવર સહિત) ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ૧૧૧ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ, ૩૦ જળાશયોમાં ૫૦ ટકાથી ૭૦ ટકા જળસંગ્રહ, ૨૩ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકા જળસંગ્રહ, ૧૪ જળાશયોમાં ૨૫ ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૫.૬૭ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૨.૧૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૫.૮૯ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૯.૫૩ ટકા તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૭૮.૭૭ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૨૭ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૬૩ જળાશયો મળી કુલ ૯૦ જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૮ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૦ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
24 કલાકમાં રાજ્યના 100 તાલુકાઓમાં 1થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં તો વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના મતે બંગાળની ખાડીમાં લો- પ્રેશર સક્રીય છે જેના કારણે ગુજરાતમાં વરસી રહ્યો છે ભારે વરસાદ અને હજુ ભારે વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)