Umreth Assembly Bypoll Result: ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપની જીત, જાણો કેટલા હજાર મતે મેળવ્યો વિજય
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે.

Umreth Assembly Bypoll Elections Result 2026: ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે 30,743 મતોની જંગી સરસાઈ સાથે શાનદાર જીત મેળવી છે. જ્યારે તેમની સામે મેદાનમાં ઉતરેલા કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણની કારમી હાર થઈ છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને ચૂંટણીમાં 85500 મત મળ્યા છે. જ્યારે કૉંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણને 54757 મત મળ્યા હતા.
ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક BNJD પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેને કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો.
ભાજપની 30,743 મતોની જંગી સરસાઈ સાથે શાનદાર જીત
ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે શાનદાર પ્રદર્શન કરતા 30,743 મતોની જંગી સરસાઈ સાથે શાનદાર જીત મેળવી છે. પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપે તેમના પુત્ર હર્ષદભાઈને ટિકિટ આપી હતી જેમણે આ બેઠક પર ભાજપનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.
ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (23મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં અંદાજિત 59.04 ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ 2.45 લાખ જેટલા મતદારો નોંધાયા હતા.
ઉમરેઠ વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓના પરિણામો પર નજર કરીએ તો વર્ષ 2022માં ભાજપના ગોવિંદ પરમારે કોંગ્રેસ-NCP ગઠબંધનના ઉમેદવાર જયંત પટેલ (બોસ્કી)ને 26,717 મતોથી હરાવ્યા હતા. વર્ષ 2017માં ભાજપના ગોવિંદ પરમારે કોંગ્રેસના કપિલા ચાવડાને 1883 મતથી પરાજય આપ્યો હતો. જ્યારે NCP તરફથી લડેલા જયંત પટેલ (બોસ્કી)ને 35,501 મત મળ્યા હતા. વર્ષ 2012માં કોંગ્રેસ સાથેના ગઠબંધનથી NCPના જયંત પટેલ (બોસ્કી)એ ભાજપના ગોવિંદ પરમારને 1394 મતોથી હરાવ્યા હતા.
આ પણ વાંચો- Assam election results 2026: કૉંગ્રેસના ગૌરવ ગોગોઈની જોરહાટથી કારમી હાર, જાણો ક્યાં BJP નેતાએ હરાવ્યા
ઉમરેઠ બેઠક પર કુલ 2.45 લાખ નોંધાયેલા મતદારો માટે તંત્ર દ્વારા 306 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ગરમાવા વચ્ચે આ પેટાચૂંટણીના પરિણામો પર સૌની નજર ટકેલી હતી.
ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકના કારણે આકસ્મિક નિધન થયું હતું. તેમના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. ભાજપ હાઇકમાન્ડે ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.





















