Gujarat Election 2022: બોટાદ જિલ્લા ભાજપમાં થયો ભડકો, એક સાથે 500થી વધુ કાર્યકરોએ આપ્યા રાજીનામા
આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 160 જેટલી બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે
બોટાદઃ આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 160 જેટલી બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારોના નામની જાહેરાતની સાથે અનેક જિલ્લાઓમાં ભાજપમાં કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી હતી. બોટાદ જિલ્લા ભાજપ સંગઠનમાં ભડકો થયો હતો. બોટાદમાં એક સાથે 500થી વધુ કાર્યકરોએ રાજીનામા આપી દીધા છે.
બોટાદ 107 બેઠક પર ઘનશ્યામ વિરાણી અને 106 બેઠક પર શંભુ પ્રસાદ ટુંડિયા નામની જાહેરાત થતા વિરોધ શરૂ થઇ ગયો છે. 2000 થી વધુ કાર્યકરો અને આગેવાનોએ જિલ્લા ભાજપ પ્રમુખને ઉમેદવાર બદલવા રજૂઆત કરી હતી. 500 થી વધુ કાર્યકરો અને હોદ્દેદારોએ રાજીનામાં આપી દીધા હતા.
આજે મોટી સંખ્યામાં કાર્યકરો જિલ્લા ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખને પોતાના રાજીનામા સોંપ્યા હતા. કાર્યકરોનું કહેવું છે કે, બંને બેઠકો પરથી ઉમેદવારોને બદલવામાં આવે નહીં તો ભાજપની હાર થશે. કાર્યકરોની એવી પણ માંગ છે કે, બોટાદ બેઠક પરથી સુરેશ ગોધાણી અને ગઢડા બેઠક પરથી આત્મારામ પરમારને ટિકિટ આપવામાં આવે.
જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદ વનાળિયાએ રાજીનામાંનો સ્વીકાર કર્યો હતો અને કાર્યકરોની રજૂઆતને હાઇકમાન્ડ સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. સાથે કાર્યકરો અને આગેવાનોના રાજીનામાની સીટ પર અસર પડશે તે વાતનો પણ સ્વીકાર કર્યો હતો.
Gujarat Election 2022: ગુજરાત ચૂંટણી પહેલા AAP ને મોટો ઝટકો, આ નેતા જોડાયા ભાજપમાં
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ અને રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ રાજભા ઝાલા આજે ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં તેના ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે પાર્ટીના નેતાઓનો પક્ષ બદલવાનો સમય પણ ચાલી રહ્યો છે.
થોડા દિવસ પહેલા જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભડકો થયો હતો. તમને વાંસદા તાલુકામાં મોટો આંચકો લાગ્યો છે. વાંસદા તાલુકાના 100 થી વધુ AAP કાર્યકરો પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ગુજરાતની ચૂંટણી પહેલા સંગઠનના મહામંત્રી સહિત તમામ પદાધિકારીઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ પહેલીવાર તમામ સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જોકે, ઉમેદવારોના નામની જાહેરાત બાદ કેટલીક જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે.
ગુજરાત ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તમામ પક્ષોના નેતાઓએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. હવે ધીમે ધીમે તમામ પક્ષો ગુજરાત ચૂંટણીને લઈને પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. જે નેતાઓની ટિકિટ કપાઈ છે તેઓ નારાજ છે, તેઓ પણ પાર્ટી છોડીને અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ગુજરાત ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.