Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: ઇરાન સામેના ઇઝરાયેલ અને યુએસના યુદ્ધ વચ્ચે ગુજરાતના કેટલાક માછીમારો ઇરાનમાં ફસાયા છે. સ્વદેશ પરત ફરવા સરકાર પાસેથી મદદ માંગી રહ્યાં છે.

Iran War: ઈરાન અને યુએસ ઈઝરાયેલના યુદ્ધની અસર માછીમારો અને તેના પરિવાર પર જોવા મળી રહી છે. રોજગારીની શોધમાં ખાડી દેશોમાં ગયેલા નવસારી, વલસાડ અને સુરત જિલ્લાના અંદાજિત 27 જેટલા માછીમારો હાલ ઈરાનમાં ફસાઈ ગયા છે. જેના કારણે માછીમારોના પરિવારજનોમાં પણ ચિંતાનો માહોલ છે. આ માછીમારો સરકાર પાસે સુરક્ષિત સ્વદેશ પરત ફરવા મદદ કરવા માંગ કરી છે. નોંધનિય છે કે, માછીમારોએ સોશિયલ મીડિયા દ્રારા ભારત સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. ઉલ્લેખનિય છે કે, નવસારીના બીગરી, ભાટ અને ગણદેવી સહિતના વિસ્તારોના ખલાસીઓ વર્ષોથી ઈરાનમાં ફિશિંગ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા જાય છે. આ 27 માછીમારો પણ આ જ ઉદેશથી ઇરાન ગયા હતા પરંતુ યુદ્ધના કારણે હાલ ફિશિંગ પ્રવૃતિ ઠપ્પ છે અને યુદ્ધના સંકટ વચ્ચે તેઓ ઇરાનના દરિયા કિનારે ફસાઇ જતાં તેમના પરિવારના સભ્યો પણ ચિંતામાં મૂકાયા છે.
યુદ્ધની અસર દેશ પર અનેક રીતે જોવા મળી રહી છે. મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે શિપિંગ રૂટ ખોરવાઈ જવાથી ભારતના ખાતર પુરવઠા પર દબાણ વધ્યું છે. આનાથી કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થવાની અને ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાની ધારણા છે.
ચીન પછી વિશ્વનો બીજો સૌથી મોટો ખાતર ગ્રાહક ભારત, કાચા માલ અને તૈયાર ઉત્પાદનો બંને માટે આયાત પર ખૂબ આધાર રાખે છે. આ આયાતનો મોટો ભાગ ગલ્ફ દેશોમાંથી આવે છે અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે, જ્યાં શિપિંગ ખોરવાઈ જાય છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકારે ખાતર પુરવઠો ખોરવાઈ ન જાય અને ખેડૂતોને અસર ન થાય તે માટે પગલાં લીધાં છે.વિશ્લેષકો કહે છે કે આગામી વાવણી સીઝન માટે વર્તમાન સ્ટોક પૂરતો છે, પરંતુ જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહે તો પરિસ્થિતિ બદલાઈ શકે છે. આમ ફિશિંગથી માંડીને ખેડૂતો અને ગેસ પેટ્રોલ સહિતના ક્ષેત્રે યુદ્ધની અસર જોવા મળી શકે છે.
સરકારની સ્પષ્ટતા અને પ્રયાસો છતાં, ભારતમાં ભયનું વાતાવરણ યથાવત છે. ગેસ કટોકટી પછી, પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓ હવે પેટ્રોલ પંપો પર લાંબી કતારો તરફ દોરી રહી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ ભારતના રસોડા સુધી પહોંચી ગયો છે, જેના કારણે મુંબઈ જેવા શહેરોમાંથી લોકોને તેમના ગામડાઓમાં સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ખાસ કરીને મજૂર વર્ગને અસર થઈ છે કારણ કે ખાદ્યપદાર્થોની દુકાનો અને હોટલો બંધ થઈ ગઈ છે.






















