સોલર શક્તિમાં ગુજરાત અવ્વલ: ૩ લાખથી વધુ પરિવારોને મળ્યા ₹૨૩૬૨ કરોડ, બિલ થશે ઝીરો!
૩.૩૬ લાખ સોલર રૂફટૉપ પૅનલ ઇન્સ્ટોલેશન સાથે દેશમાં પ્રથમ ક્રમે; ૧૨૩૨ મેગાવોટથી વધુ ઊર્જા ઉત્પાદન, ૧૨૮૪ મેટ્રિક ટન કોલસાની બચત; ૩.૦૩ લાખ ગ્રાહકોને મળ્યા ₹૨૩૬૨ કરોડની સબસિડી.

Gujarat solar energy leader: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે સૌર ઊર્જા ક્ષેત્રે ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે પોતાની અગ્રણી સ્થિતિ સાબિત કરી બતાવી છે. 'પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના'ના અમલીકરણમાં ગુજરાતે સમગ્ર દેશમાં સર્વોચ્ચ દેખાવ કરીને ૩૪% જેટલું નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જે તેની નીતિગત દૃઢતા અને વહીવટી કાર્યક્ષમતાનો સ્પષ્ટ પુરાવો છે.
રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા જાહેર કરવામાં આવેલા નવીનતમ આંકડાઓ મુજબ, ૧૧ મે, ૨૦૨૫ સુધીમાં ગુજરાતમાં 'પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના' હેઠળ કુલ ૩.૩૬ લાખ સોલર રૂફટૉપ પૅનલ્સ સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવી છે. આ આંકડો દેશના અન્ય તમામ રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ છે. આ અભૂતપૂર્વ સફળતાના કારણે, આજે ગુજરાત સોલર રૂફટૉપ ઇન્સ્ટોલેશનમાં સમગ્ર દેશના કુલ યોગદાનના ૩૪% જેટલો મોટો હિસ્સો ધરાવે છે.
નાણાકીય લાભ અને ઊર્જા ઉત્પાદન
આ યોજનાના સફળ અમલીકરણ થકી, ગુજરાતના ૩.૦૩ લાખથી વધુ ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા કુલ ₹૨૩૬૨ કરોડની સબસિડી સીધી તેમના ખાતામાં પ્રાપ્ત થઈ છે. GUVNLના આંકડા દર્શાવે છે કે, સ્થાપિત થયેલી આ ૩.૩૬ લાખ સોલર રૂફટૉપ સિસ્ટમ્સ દ્વારા ૧૨૩૨ મેગાવોટથી વધુ સૌર ઊર્જાનું ઉત્પાદન થયું છે. આ ઊર્જા ઉત્પાદન પરંપરાગત વીજ ઉત્પાદનના ૧૮૩૪ મિલિયન યુનિટ જેટલું છે, જે અત્યંત પ્રશંસનીય છે.
પર્યાવરણને ફાયદો
સૌર ઊર્જાના આ મોટા પાયા પરના ઉત્પાદનથી પર્યાવરણને પણ મોટો લાભ થયો છે. જો આટલી જ ઊર્જા કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સમાંથી ઉત્પન્ન કરવામાં આવી હોત, તો લગભગ ૧૨૮૪ મેટ્રિક ટન કોલસાનો વપરાશ થયો હોત. આ કોલસાની બચત થકી વાતાવરણમાં ૧૫૦૪ મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ (CO₂) ના હાનિકારક ઉત્સર્જનમાં પણ ઘટાડો થયો છે, જે સ્વચ્છ ઊર્જાના મહત્વને રેખાંકિત કરે છે.
અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત અગ્રેસર
'પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના'ના સફળ અમલીકરણમાં ટોચના પાંચ રાજ્યોની વાત કરીએ તો, ગુજરાત ૩.૩૬ લાખ ઇન્સ્ટોલેશન સાથે પ્રથમ ક્રમે છે. મહારાષ્ટ્ર ૧.૮૯ લાખ ઇન્સ્ટોલેશન સાથે બીજા ક્રમે, ઉત્તર પ્રદેશ ૧.૨૨ લાખ ઇન્સ્ટોલેશન સાથે ત્રીજા ક્રમે, કેરળ ૯૫ હજાર ઇન્સ્ટોલેશન સાથે ચોથા ક્રમે અને રાજસ્થાન ૪૩ હજાર ઇન્સ્ટોલેશન સાથે પાંચમા ક્રમે છે. ગુજરાતે અન્ય રાજ્યો કરતાં નોંધપાત્ર સરસાઈ મેળવી છે.
પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના વિશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૪માં શરૂ કરાયેલી આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના નાગરિકોને સૌર ઊર્જા અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજના હેઠળ ૩ kW સુધીની સિસ્ટમ પર ₹૭૮ હજાર સુધીની સબસિડી આપવામાં આવે છે અને નાગરિકોને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી આપવાની જોગવાઈ છે. છત ધરાવતો કોઈપણ ઘરમાલિક આ યોજના માટે પાત્ર છે અને અરજીની પ્રક્રિયા https://pmsuryaghar.gov.in પર ઓનલાઈન સરળતાથી કરી શકાય છે.
ગુજરાતની સફળતાના કારણો
ગુજરાતમાં આ યોજનાની અભૂતપૂર્વ સફળતા પાછળ રાજ્ય સરકારની વહીવટી કાર્યક્ષમતા, વ્યાપક જનજાગૃતિ અભિયાન અને નાગરિકોની સક્રિય ભાગીદારીનો સમન્વય રહેલો છે. રાજ્ય સરકારે નાણાંકીય વર્ષ ૨૦૨૪ ૨૫ માટે નિર્ધારિત ૩.૦૫ લાખ સોલાર રૂફટૉપ પૅનલ્સના ઇન્સ્ટોલેશનનો લક્ષ્યાંક સમય પહેલાં જ પ્રાપ્ત કરી લીધો છે. વહીવટીતંત્રની દૂરંદેશી અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી અરજી પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી, જેના પરિણામે ગુજરાતે નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં સમગ્ર દેશ માટે એક આદર્શ મૉડલ પૂરું પાડ્યું છે.





















