weather update : રાજ્યના આ જિલ્લાઓમાં ગરમી ભુક્કા કાઢશે, હીટવેવની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમી ભુક્કા બોલાવી રહી છે. અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીની નજીક પહોંચી ગયા છે.

અમદાવાદ: રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમી ભુક્કા બોલાવી રહી છે. અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીની નજીક પહોંચી ગયા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પાર વધી શકે છે. આગામી 2 દિવસ કાળઝાળ ગરમીથી રાહત નહીં મળે.
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે 31.6 ડિગ્રીથી લઈને 43.8 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. કંડલા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. 43.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે દ્વારકામાં 31.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં પણ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીના કારણે લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટમાં હીટવેવની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.
એપ્રિલના 17 દિવસમાંથી 13 દિવસ હીટવેવની અસર હતી. જયારે હજુ 12 દિવસ હીટવેવ રહેવાની આગાહી છે. મેના 26 દિવસ, જૂનમાં 7 દિવસ ગરમીનો પારો 41થી 43 ડિગ્રી કે તેથી પણ વધુ રહેવાનું અનુમાન છે. 18થી 24 મે દરમિયાન સૌથી વધુ ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગરમીના કારણે સ્કૂલોના સમયમાં ફેરફારનો આદેશ
અમદાવાદમાં ગરમીના કારણે સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે DEOએ મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 1થી 8 અને બાલવાટીકાના બાળકો માટે સ્કૂલનો સમય બપોરના 12 વાગ્યા સુધી રાખવાનો DEOએ આદેશ આપ્યો હતો. ગરમીનું પ્રમાણ વધતા અને ઘણા જિલ્લાઓમાં હીટવેવની આગાહી ઉપરાંત અસહૃ તાપ, લૂને લીધે હિટવેવ એક્શન પ્લાન અંતર્ગત સ્કૂલોના સમયમાં ફેરફાર કરવાની સરકારે સૂચના આપી હતી. પરંતુ ઘણી સ્કૂલોએ સમયમાં ફેરફાર ન કર્યો અને બપોરના સાડા 12 વાગ્યા સુધી સ્કૂલો ચાલતી હોય અને બપોરની પાળીમાં બાળકોને બોલાવતા હોવાની અનેક વાલીઓએ ફરિયાદો કરી હતી. જે બાદ DEOએ તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોના આચાર્યોને પરિપત્ર કરી શાળાનો સમય બપોરના 12 વાગ્યા સુધી રાખવા માટે સૂચના આપી છે. ઉપરાંત સ્કૂલ કેમ્પસમાં ખુ્લ્લામાં કોઈ કાર્યક્રમ ન કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે.





















