Gujarat Rain Update:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ, ભીલોડામાં સૌથી વધુ 6 ઇંચ વરસ્યો
Gujarat Rain Update: દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે તો કયાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. જાણીએ શું છે રાજ્યભરમાં સ્થિતિ

Gujarat Rain Update: રાજ્યમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી સાર્વત્રિક વરસાદ નોંધાઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 8 જુલાઇ સુધી સારા સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 8 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટી શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં સાડા 6 ઈંચ વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વરસાદ
- અરવલ્લીના ભિલોડામાં સૌથી વધારે સાડા 6 ઈંચ વરસાદ
- તાપીના વ્યારામાં પોણા 6 ઈંચ વરસાદ
- તાપીના ડોલવણમાં સવા 5 ઈંચ વરસાદ
- સુરતના પલસાણામાં 5 ઈંચ વરસાદ
- કપરાડા, સોનગઢમાં 5 ઈંચ વરસાદ
- સુરત જિલ્લામાં પોણા 5 ઈંચ વરસાદ
24 કલાકમાં રાજ્યના 50 તાલુકામાં બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં 93 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યના 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ-યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું અનુમાન છે.આજે અમરેલી, ભાવનગર, નવસારીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદના અનુમાનને જોતા રાજકોટ, બોટાદ, ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આજે આણંદ, ભરુચ, સુરતમાં વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આજે તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.
વરસાદની આગાહી દરમિયાન છેલ્લા 2 કલાકમાં રાજ્યના 51 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભિલોડા તાલુકામાં 24 કલાકમાં 6 ઈંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ભિલોડામાં નદી-નાળામાં પાણીની આવક થઇ છે. ઈન્દ્રાશી અને હાથમતી નદીમાં નવા નીરની આવક થઇ છે. ભારે વરસાદથી છોટાઉદેપુરમાં પાવીજેતપુર પાસેના વસવા કોતરમાં નવા નીરની આવક થઇ છે.ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક થતાં વલસાડના મધુબન ડેમમાં જળસ્તરમાં વધારો થયો છે. મધુબન ડેમના 8 દરવાજા ખોલી પાણી છોડાયું છે. મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી તોફાની બની છે. દમણગંગા નદી કાંઠા વિસ્તારને સતર્ક કરાયા છે.





















