અમેરિકાથી દેશનિકાલ: અમૃતસરમાં ત્રીજી ફ્લાઈટ ઉતરી, 33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયો પરત ફર્યા
પંજાબ, હરિયાણા અને ગુજરાતના નાગરિકોનો સમાવેશ, પહેલા બે બેચની જેમ વિવાદો અને રાજકીય નિવેદનો

Indians return from America: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોની ત્રીજી બેન્ચ આજે (16 ફેબ્રુઆરી) રાત્રે અમૃતસરના શ્રી ગુરુ રામ દાસ જી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરી. યુએસ એરફોર્સના C-17A ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા લાવવામાં આવેલા આ બેચમાં કુલ 112 ભારતીયો હતા. આ પહેલાં, શનિવારે રાત્રે 11:30 વાગ્યે, 116 ભારતીયોની બીજી બેચ પણ અમૃતસર એરપોર્ટ પર ઉતરી હતી. આ સાથે, છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોની સંખ્યા 220 પર પહોંચી ગઈ છે.
આજના ફ્લાઇટમાં પરત ફરેલા 112 ભારતીયોમાંથી 31 પંજાબના, 44 હરિયાણાના, 33 ગુજરાતના, બે ઉત્તર પ્રદેશના અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના એક-એક પ્રવાસીનો સમાવેશ થાય છે. અગાઉની બે બેચની જેમ, આ બેચમાં પણ મહિલાઓ અને બાળકો સિવાયના તમામ પુરુષોને હાથકડી અને પગમાં બેડીઓ બાંધીને લાવવામાં આવ્યા હતા. એરપોર્ટ પર જ તેમના પરિવારજનોને મળવા માટે બોલાવવામાં આવ્યા હતા અને પાંચ કલાકની ચકાસણી બાદ તમામ લોકોને પોલીસ વાહનોમાં તેમના ઘરે રવાના કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા દરમિયાન મીડિયાને કોઈ પણ સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
ઉલ્લેખનીય છે કે, 5 ફેબ્રુઆરીએ પહેલી ફ્લાઈટ 104 ભારતીયોને લઈને અમૃતસર એરપોર્ટ પર ઉતરી હતી. તે બેચમાં પણ પુરુષો અને સ્ત્રીઓને બાળકો સિવાય હાથકડી અને બેડીઓ પહેરાવવામાં આવ્યા હતા.
શનિવારે પાછા ફરેલા 116 લોકોમાં પંજાબના સૌથી વધુ 65 લોકો હતા, ત્યારબાદ હરિયાણાના 33, ગુજરાતના 8, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 2-2 અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના 1-1 લોકોનો સમાવેશ થતો હતો. મોટા ભાગના યુવાનો 18 થી 30 વર્ષની વય જૂથના છે.
અગાઉની બેચના સમયે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેન્દ્ર સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા કે હરિયાણા અને ગુજરાતના સૌથી વધુ લોકો હોવા છતાં ફ્લાઈટને અમદાવાદ કે અંબાલાના બદલે પંજાબમાં કેમ ઉતારવામાં આવી. જો કે, આ વખતે સૌથી વધુ લોકો પંજાબના હોવાથી વિરોધનો સૂર નરમ પડ્યો હતો.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શરૂઆતમાં દેશનિકાલ કરાયેલા નાગરિકોનું સ્વાગત કરવા માટે અમૃતસર એરપોર્ટ પહોંચવાના હતા, પરંતુ ફ્લાઇટ મોડી થવાને કારણે તેઓ પાછા ફર્યા હતા. ત્યારબાદ, પંજાબ સરકારના મંત્રીઓ કુલદીપ ધાલીવાલ અને હરભજન ETOએ એરપોર્ટ પર પંજાબના યુવાનોનું સ્વાગત કર્યું હતું. મંત્રી કુલદીપ ધાલીવાલે હરિયાણા સરકારની વ્યવસ્થા સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હરિયાણા સરકારે તેમના નાગરિકો માટે કેદીઓ જેવી બસ મોકલી તે દુઃખદ છે. તેમણે હરિયાણાના પરિવહન મંત્રી અનિલ વિજને ટોણો મારતા કહ્યું કે પંજાબ સરકારે સારી બસોની વ્યવસ્થા કરી છે, જ્યારે હરિયાણાના એક પણ મંત્રી કે નેતા તેમના નાગરિકોને લેવા માટે એરપોર્ટ પર હાજર રહ્યા નહોતા.
આ પણ વાંચો....
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
