શોધખોળ કરો
મોદી 1 ઓગસ્ટથી દેશભરમાં ફરી લોકડાઉન લાદશે ? સોમવારે મોદીની મુખ્યમંત્રીઓ સાથે બેઠક, શું ચાલી રહી છે ચર્ચા ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે સોમવારે દેશનાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરે તેવી શક્યતા છે.

નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે સોમવારે દેશનાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરે તેવી શક્યતા છે. તેના કારણે દેશમાં ફરી લોકડાઉન લદાશે કે નહીં એવી ચર્ચા ફરી શરૂ થઈ છે. જો કે કેન્દ્ર સરકારનાં સૂત્રો આ શક્યતાને નકારી રહ્યાં છે. 31 જુલાઈએ અનલોક 2 પૂરું થાય છે તેથી 1 ઓગસ્ટથી ફરી દેશવ્યાપી લોકડાઉનની અટકળો ચાલી રહી છે. કોરોનાના કારણે લોકડાઉન લાદવાની ફરજ પડી પછી લોકડાઉન લંબાવવા સહિતના મુદ્દે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લે છે. તેના કારણે આ અટકળો ચાલી રહી છે. હાલમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. તેના કારણે સંખ્યાબંધ રાજ્યોને 31 જુલાઈ સુધી લોકડાઉન લાદવાની ફરજ પડી હતી. આ ઉપરાંત કેટલાંક રાજ્યોએ વીકએન્ડ લોકડાઉન લાગુ કરીને અઠવાડિયામાં બે દિવસ માટે પણ લોકડાઉન લાગુ કર્યું છે. આ બધાં કારણોસર એવી અટકળો ચાલી રહી છે કે, અલગ અલગ રાજ્યોમાં લોકડાઉન લાદવાથી સ્થિતી સુધરતી નથી એ સંજોગોમાં મોદી ફરી એક વાર રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાદી દેશે કે જેથી કોરોનાને કાબૂમાં લઈ શકાય. અલબત્ત કેન્દ્ર સરકાર સતત આ શક્યતાને નકારતી રહી છે અને દેશમાં ફરી લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી એવી સ્પષ્ટતા આરોગ્ય મંત્રાલય સહિતનાં અલગ અલગ માધ્યમોથી કરતી રહી છે. સૂત્રોના મતે, મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાના સંક્રમણને રોકવા માટે કોવિડ 19 ટ્રાન્સમિશનની ચેઈનને કઈ રીતે તોડવલી એ મુદ્દે ચર્ચા કરશે. આ ઉપરાંત 31 જુલાઈના રોજ અનલોક 2 પૂરું થાય છે ત્યારે અનલક 3 દરમિયાન શું શું વધારાની છૂટછાટો આપવા અંગે પણ મોદી મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે.
વધુ વાંચો





















