વોર્ડ નંબર 18 માં NCP ના ઉમેદવારો દ્વારા વહેંચવામાં આવેલી ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવી પત્રિકાને લઈને વિવાદ સર્જાયો છે.
સુરત મનપા ચૂંટણી: NCP ઉમેદવારોની કથિત વિવાદિત પત્રિકાથી રાજકીય ગરમાવો, અસલમ સાયકલવાલાની ફરિયાદ
લિંબાયત વોર્ડ નંબર 18ના NCP ના ઉમેદવારો પર ધર્મના નામે મત માંગવા અને કોમી વૈમનસ્ય ફેલાવવાનો આરોપ. પૂર્વ કોર્પોરેટરે કલેક્ટર અને પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.

- સુરત: ચૂંટણી પત્રિકામાં ધાર્મિક લાગણી દુભાઈ.
- NCP ઉમેદવારો પર કોમી એકતા તોડવાનો આરોપ.
- કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઈ.
- શાંતિ સમિતિ સભ્ય સામે પણ કાર્યવાહીની માંગ.
Surat Election 2026: સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ પહેલા જ શહેરનું રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું છે. વોર્ડ નંબર 18 લિંબાયત-પર્વત-કુંભારિયા વિસ્તારમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP - અજીત પવાર જૂથ) ના ઉમેદવારો દ્વારા વહેંચવામાં આવેલી એક કથિત વિવાદાસ્પદ પત્રિકાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. આ પત્રિકામાં ધાર્મિક નારા અને કોમી લાગણી ઉશ્કેરાય તેવા લખાણો હોવાનો આક્ષેપ છે. આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ સુરત જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી છે, જેમાં તેમણે ઉમેદવારો અને પત્રિકા છાપનારાઓ સામે આચારસંહિતા ભંગ અને બે કોમ વચ્ચે તિરાડ પાડવા બદલ કડક કાર્યવાહીની માંગ કરી છે.
વાત જાણે એમ છે કે, વોર્ડ નં. 18 માં NCP ના ઉમેદવારો નાસિર ખાન ગુલામ અલી પઠાણ અને શરીફા સુલેમાન શેખ દ્વારા હાલમાં ડોર-ટુ-ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રચાર દરમિયાન તેઓ એક પત્રિકા વહેંચી રહ્યા છે. આ પત્રિકામાં લખાયેલા લખાણો અને સૂત્રોને કારણે શહેરની શાંતિ અને સલામતી જોખમાતી હોવાનો અને આદર્શ આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં જણાવાયું છે કે, આ પત્રિકામાં પવિત્ર ઇસ્લામી નારાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અંગે નારાજગી વ્યક્ત કરતા અસલમ સાયકલવાલાએ તર્ક આપ્યો છે કે, ચૂંટણી પત્રિકાઓ સામાન્ય રીતે રસ્તા પર કે કચરામાં ફેંકાતી હોય છે, જેનાથી ધાર્મિક આસ્થાનું સીધું અપમાન થાય છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ પત્રિકામાં મતદારોને સંબોધીને એવું પણ લખવામાં આવ્યું છે કે, "જો હિન્દુ મતદાર આપણને વોટ નથી આપતો, તો આપણે તેમને કેમ વોટ આપવો?" આટલું જ નહીં, લઘુમતી સમાજને એક થઈને માત્ર મુસ્લિમ ઉમેદવારોને જ વોટ આપવાની અપીલ કરવામાં આવી છે. આ પ્રકારનું લખાણ બે કોમ વચ્ચે ઝેર ઘોળવાનું અને સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યું હોવાના ગંભીર આરોપો લાગ્યા છે.
આ ગંભીર મામલે અસલમ સાયકલવાલાએ સુરત કલેક્ટર ડૉ. સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને પત્ર લખીને માંગ કરી છે કે, ધર્મના નામે મતો માંગવા અને કોમી ઉશ્કેરણી કરવી એ ચૂંટણી પંચના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. તેમણે માંગ કરી છે કે આ ઉમેદવારોની સાથે-સાથે આ વિવાદાસ્પદ પત્રિકા ડિઝાઇન કરનાર અને છાપનાર પ્રિન્ટિંગ પ્રેસ સામે પણ કાયદેસરની ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. સમાજમાં વર્ગવિગ્રહ કરાવવાના ઈરાદે કરાયેલા આ કૃત્ય બદલ જવાબદારો સામે પાસા (PASA) અને એટ્રોસિટી એક્ટ હેઠળ પગલાં લેવા જોઈએ તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
વધુમાં, ફરિયાદમાં એ વાતનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે કે વિવાદમાં આવેલા ઉમેદવાર નાસિર ખાન પઠાણ લિંબાયત પોલીસ સ્ટેશનની 'શાંતિ સમિતિ' ના સભ્ય પણ છે. તેથી તેમને તાત્કાલિક અસરથી આ પદ પરથી દૂર કરવા વિનંતી કરાઈ છે. સાયકલવાલાએ જણાવ્યું હતું કે, આવી કટ્ટર કોમવાદી માનસિકતા ધરાવતા લોકો ડોર-ટુ-ડોર ફરીને શહેરની કોમી એકતા, શાંતિ અને અખંડિતતા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેનાથી વર્ગવિગ્રહ થવાનો ભય છે. તેથી સરકાર અને ચૂંટણી અધિકારીએ આ મામલે તાત્કાલિક તપાસ કરીને કડકમાં કડક દાખલો બેસાડવો જોઈએ.
Frequently Asked Questions
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કયો વિવાદ સર્જાયો છે?
આ વિવાદાસ્પદ પત્રિકામાં શું લખવામાં આવ્યું છે?
પત્રિકામાં ધાર્મિક નારા, હિન્દુ મતદારોને પ્રશ્ન અને મુસ્લિમ ઉમેદવારોને જ મત આપવાની અપીલ કરાઈ છે.
આ મામલે કોણે ફરિયાદ કરી છે અને શું માંગ કરી છે?
પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ કલેક્ટર અને પોલીસ કમિશનરને ફરિયાદ કરી, ઉમેદવારો અને પ્રિન્ટરો સામે કાર્યવાહીની માંગ કરી છે.
વિવાદાસ્પદ ઉમેદવાર નાસિર ખાન પઠાણની શું ઓળખ છે?
નાસિર ખાન પઠાણ શાંતિ સમિતિના સભ્ય પણ છે, અને તેમને પદ પરથી દૂર કરવાની પણ માંગ કરાઈ છે.





















