Rabari Samaj Mahasammelan : ડીસાના સમશેરપુરામાં રબારી સમાજનું મહાસંમેલન
ડીસાના સમશેરપુરામાં રબારી સમાજનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે. વાવ,થરાદ,પાટણ,બનાસકાંઠા,રાજસ્થાનના રબારી સમાજના લોકો આ સંમેલનમાં સામેલ થશે. મહાસંમેલનમાં રબારી સમાજ સામાજિક બંધારણ ઘડશે. MLA માવજી દેસાઈની નેતૃત્વમાં ઐતિહાસિક મહાસંમેલન યોજાઈ રહ્યું છે. સામાજિક બંધારણ સ્ટેજ પર નહીં જમીન પર બેસીને બનાવાશે. પાર્કિંગ સ્થળથી સભા સ્થળ સુધી પહોંચવા મીની બસની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાસંમેલન સ્થળ પર આરોગ્ય કેમ્પની વ્યવસ્થા પણ કરાઈ છે.
આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય
એમ.એમ. દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાનારા આ સંમેલનમાં ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાંથી આશરે 50 હજારથી વધુ સમાજના લોકો એકત્રિત થાય તેવી શક્યતા છે. આ મહાસંમેલન સમાજમાં વ્યાપક પરિવર્તન લાવવાના હેતુથી આયોજિત કરવામાં આવ્યું છે. જેમાં એક સમાજ, એક રિવાજ: સમાજમાં પ્રવર્તતા કુરિવાજો દૂર કરવા અને સામાજિક બંધારણને વધુ મજબૂત બનાવવું. લગ્ન પ્રસંગો કે અન્ય સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી અને દેખાદેખીના ખર્ચાઓ પર નિયંત્રણ લાવવું. સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવી અને 'દરેક ઘરમાં એક સરકારી નોકરીયાત' હોય તેવા લક્ષ્ય સાથે યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો સમાવેશ થાય છે. આ બંધારણનો મુખ્ય ઉદ્દેશ્ય જન્મ, લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચને અટકાવી સમાજને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે.























