Vijay Rupani funeral : આવતી કાલે રાજકોટમાં વિજય રૂપાણીની અંતિમયાત્રા!
Vijay Rupani funeral : આવતી કાલે રાજકોટમાં વિજય રૂપાણીની અંતિમયાત્રા!
Vijay Rupani funeral Rajkot: અમદાવાદમાં થયેલી ભયાવહ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કરુણ નિધન બાદ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના પુત્ર ઋષભ રૂપાણી હાલ અમેરિકામાં છે અને તેઓ આવતીકાલે, 14 જૂન, શનિવારે સવારે 4 વાગ્યે અમદાવાદ પરત ફરશે. ઋષભના આગમન બાદ જ દિવંગત વિજય રૂપાણીની અંતિમવિધિ કરવામાં આવશે.
આજે, 13 જૂનના રોજ સવારે જ વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી લંડનથી અમદાવાદ પહોંચ્યા હતા અને હાલ તેઓ ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને હાજર છે. વિજય રૂપાણીના નિધનના સમાચાર મળતા જ ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને રાજકીય નેતાઓ અને કાર્યકરોનો ઘસારો જોવા મળ્યો હતો. અનેક મંત્રીઓ અને સાંસદો અંજલિબેનને સાંત્વના આપવા પહોંચ્યા હતા.
PM મોદીએ વિજય રૂપાણીના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું
અમદાવાદમાં થયેલી ભયાવહ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કરુણ નિધનથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ દુઃખદ સમાચાર મળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે અને 'X' (અગાઉનું ટ્વિટર) પર ભાવુક શ્રદ્ધાંજલિ પાઠવી છે.





















