Crime News: નવા વર્ષે લોહીની હોળી! ગુજરાતના 4 શહેરોમાં હત્યાથી ચકચાર, બનેવીએ સાળાને છરીના ઘા ઝીંકી મારી નાખ્યો
Gujarat Crime: વડોદરાના આજવા રોડ પર નવા વર્ષની વહેલી સવારે ફતેપુરા ના રહેવાસી અક્ષય સોલંકી નામના યુવકની નારાયણધામ સોસાયટી નજીક હત્યા થઈ હતી.

Gujarat Diwali murders: દિવાળીના તહેવારો અને નવા વર્ષની આસપાસ ગુજરાતના 4 અલગ-અલગ શહેરો – વડોદરા, જૂનાગઢ, ભરૂચ અને જામનગર – માં હત્યાની ગંભીર ઘટનાઓ સામે આવી છે. વડોદરા માં નવા વર્ષની વહેલી સવારે અક્ષય સોલંકી નામના યુવકની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા છે. જૂનાગઢ અને જામનગર માં હત્યા પાછળનું મુખ્ય કારણ ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલો ઝઘડો હતો, જેમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા. જ્યારે ભરૂચ ના ગડખોલ ગામમાં પારિવારિક તકરાર માં બનેવીએ સાળાની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે આ તમામ ઘટનાઓમાં ફરિયાદ નોંધીને આરોપીઓની ધરપકડ અને શોધખોળ શરૂ કરી છે, જેનાથી તહેવારોનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો છે.
નવા વર્ષે વડોદરામાં હત્યા અને જૂનાગઢમાં ફટાકડા વિવાદનો ભોગ
વડોદરાના આજવા રોડ પર નવા વર્ષની વહેલી સવારે ફતેપુરા ના રહેવાસી અક્ષય સોલંકી નામના યુવકની નારાયણધામ સોસાયટી નજીક હત્યા થઈ હતી. મળતી માહિતી મુજબ, પડતર દિવસની મોડી રાત્રે અક્ષય તેના મિત્રો સાથે નારાયણધામ સોસાયટીમાં ગયો હતો અને ત્યાં તેણે વીડિયો કૉલ પર પત્ની સાથે વાત પણ કરી હતી. જોકે, વહેલી સવારે તેના મોટા ભાઈને ફોન પર અક્ષયની હત્યા થઈ હોવાની જાણ થઈ હતી. પરિવારજનોએ કેટલાક શખ્સો પર અંગત અદાવતને કારણે હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી છે, જેના આધારે બાપોદ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
બીજી બાજુ, જૂનાગઢ માં દિવાળીના દિવસે મધુરમ વિસ્તાર માં દિવ્યાંગ ઉર્ફે યશ નામના યુવકની હત્યા થઈ હતી. આ ખૂની ખેલ રોડ પર ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે શરૂ થયો હતો. બોલાચાલી દરમિયાન યશની સોનાની ચેઈન તૂટી જતાં મામલો મારામારી સુધી પહોંચ્યો. આરોપીઓ રામસિંહ બારડ, તેના માતાપિતા, કેવલ જોશી અને રાજ નામના પાંચેય શખ્સોએ ભેગા મળીને યશ અને તેના મિત્રો પર લાકડી અને લોખંડના પાઈપ જેવા હથિયારોથી હુમલો કર્યો હતો. ગંભીર ઈજાને કારણે યશનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું, અને જૂનાગઢ પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં નજીવી બાબતે હત્યા અને ભરૂચમાં પારિવારિક વેર
તહેવારોના સમયગાળામાં જામનગરમાં પણ રક્તરંજિત ઘટના સામે આવી છે. મંગળવારની મોડી રાત્રે અંધાશ્રમ આવાસ નજીક ફટાકડા ફોડવા ની નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ઝઘડામાં ઉશ્કેરાયેલા આરોપીઓએ હત્યાને અંજામ આપીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને, પરિવારજનની ફરિયાદના આધારે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. નવા વર્ષના એક દિવસ અગાઉ યુવકની હત્યા થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ ઉપરાંત, ભરૂચ જિલ્લાના ગડખોલ ગામમાં મંગળવારની મોડી રાત્રે પારિવારિક તકરાર માં સાળાની હત્યાનો આરોપ બનેવી પર લાગ્યો છે. વ્યારા તાલુકા નો રહેવાસી સુનિલ ગામીત પોતાની પત્નીને લેવા ગડખોલ આવ્યો હતો. પત્ની સાથે મારઝૂડ કરતાં સાળા ભાવિન ગામીત અને અન્ય સાસરિયાઓ સાથે તેની માથાકૂટ થઈ હતી. આ મારામારીમાં બનેવી સુનિલ ગામીતે સાળા ભાવિન ગામીતને છરીના ઘા મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હત્યાનો ક્રાઈમ આચરીને આરોપી સુનિલ ગામીત ફરાર થઈ ગયો છે, અને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ફરાર આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.





















