Health Alert: વજન તો ઘટશે પણ શરીરના આ અંગને થશે કાયમી નુકસાન! ઇન્જેક્શન લેતા પહેલા વાંચો ચોંકાવનારો રિપોર્ટ
વજન ઘટાડવાના શોર્ટકટ ભારે પડી શકે છે. બ્રિટિશ ડોકટરોએ ચેતવણી આપી છે કે વેગોવી જેવી દવાઓથી પિત્તાશયમાં પથરી અને સર્જરીનું જોખમ અનેકગણું વધી જાય છે.

Weight Loss Injection Side Effects: આજના સમયમાં દરેક વ્યક્તિ ફિટ દેખાવા માંગે છે. સ્થૂળતા (Obesity) એ માત્ર દેખાવની સમસ્યા નથી રહી પણ અનેક રોગોનું મૂળ બની ગઈ છે. આથી જ લોકો કલાકો સુધી જિમમાં પરસેવો પાડવાને બદલે શોર્ટકટ અપનાવી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર 'વજન ઘટાડવાના ઇન્જેક્શન' (Weight Loss Injections) ની ભારે ચર્ચા છે. પરંતુ સાવધાન! બ્રિટિશ ડોકટરો અને આરોગ્ય નિષ્ણાતોએ આ અંગે એક લાલબત્તી સમાન ચેતવણી જાહેર કરી છે. આ જાદુઈ લાગતા ઇન્જેક્શન તમને તમારું 'પિત્તાશય' (Gallbladder) ગુમાવવા મજબૂર કરી શકે છે.
આ ઇન્જેક્શનને મેડિકલ ભાષામાં 'GLP-1 એગોનિસ્ટ' કહેવાય છે. બજારમાં 'વેગોવી' (Wegovy) અને 'મૌન્જારો' (Mounjaro) જેવા નામે મળતી આ દવાઓ મૂળભૂત રીતે ડાયાબિટીસના દર્દીઓ માટે બનાવવામાં આવી હતી, પરંતુ હવે વજન ઘટાડવા માટે તેનો બેફામ ઉપયોગ વધ્યો છે. આ દવા મગજ પર અસર કરીને તમારી ભૂખને મારી નાખે છે અને પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે, જેનાથી વ્યક્તિ ઓછું ખાય છે અને વજન ઘટે છે.
પરંતુ આ પ્રક્રિયાની આડઅસર ગંભીર છે. યુકે (UK) ના ડોકટરોએ નોંધ્યું છે કે જે લોકોએ આ ઇન્જેક્શન લીધા છે, તેમનામાં પિત્તાશયની સર્જરી (Gallbladder Surgery) ના કેસ વધી રહ્યા છે. સાયન્સ મુજબ, જ્યારે શરીરનું વજન ખૂબ જ ઝડપથી (Rapid Weight Loss) ઘટે છે, ત્યારે લીવર પિત્તરસમાં વધુ પડતું કોલેસ્ટ્રોલ છોડવા લાગે છે.
આ વધારાના કોલેસ્ટ્રોલને કારણે પિત્ત પ્રવાહી જાડું થઈ જાય છે, જે પિત્તાશયમાં પથરી (Gallstones) બનવાનું મુખ્ય કારણ બને છે. ધીરે ધીરે આ પથરી મોટી થાય છે અને છેવટે, અસહ્ય દુખાવાને કારણે દર્દીનું ઓપરેશન કરીને પિત્તાશય કાઢી નાખવું પડે છે.
જો તમે આવા ઇન્જેક્શન લઈ રહ્યા હોવ તો અમુક લક્ષણો (Symptoms) પ્રત્યે બેદરકાર રહેવું નહીં. જમણા પેટના ઉપરના ભાગમાં તીવ્ર દુખાવો થવો, વારંવાર ઉલટી અને ઉબકા આવવા કે ખોરાક પચાવવામાં તકલીફ પડવી એ ખતરાની ઘંટડી સમાન છે. આવા લક્ષણો જણાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
યુકેની સંસ્થા 'મેડિસિન અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી' (MHRA) હાલમાં આ દવાઓની સુરક્ષા તપાસી રહી છે. તેમના મતે, આ દવાઓ પાચનતંત્ર અને પિત્તાશયને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
નિષ્ણાતો સલાહ આપે છે કે શોર્ટકટ અપનાવવાને બદલે કુદરતી રીતે અને ધીરે-ધીરે વજન ઘટાડવું શરીર માટે સુરક્ષિત છે. કોઈપણ દવા કે ઇન્જેક્શન લેતા પહેલા નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. (અસ્વીકરણ: આ સમાચાર સંશોધન અહેવાલો પર આધારિત છે.)
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )






















