![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં દારૂબંધી અંગે ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો, જાણો શું કહ્યું હાઈકોર્ટે?
રાઇટ ટુ પ્રાઇવસીના આધાર પર દારૂબંધીને પડકારતી અરજીઓ હાઇકોર્ટ સમક્ષ ટકી શકે. એડવોકેટ જનરલે ઉઠાવેલા પ્રાથમિક વાંધાને હાઇકોર્ટે ફગાવ્યો હતો.
![ગુજરાતમાં દારૂબંધી અંગે ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો, જાણો શું કહ્યું હાઈકોર્ટે? Gujarat HC accepted applications against liquor prohibition in state ગુજરાતમાં દારૂબંધી અંગે ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો, જાણો શું કહ્યું હાઈકોર્ટે?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/23/346b899198a04dc57557707b901445e9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ દારૂબંધીને પડકારતી વિવિધ અરજીઓ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. રાઇટ ટુ પ્રાઇવસીના આધાર પર દારૂબંધીને પડકારતી અરજીઓ હાઇકોર્ટ સમક્ષ ટકી શકે. એડવોકેટ જનરલે ઉઠાવેલા પ્રાથમિક વાંધાને હાઇકોર્ટે ફગાવ્યો હતો.
અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે એવી એડવોકેટ જનરલની રજુઆત હાઇકોર્ટે નકારી છે. વ્યક્તિ પોતાના ઘરની ચાર દીવાલમાં બેસીને શુ ખાશે કે શુ પીશે એની પર સરકાર અંકુશ ના રાખી શકે એવી રજુઆત સાથે હાઇકોર્ટમાં અરજી થઈ છે. દારૂબંધીને પડકારતી અરજીઓ પર હાઈકોર્ટમાં સુનાવણી થશે.
રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે ઉઠાવેલા પ્રાથમિક વાંધાને હાઇકોર્ટે ફગાવ્યો હતો. અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે એવી એડવોકેટ જનરલની રજૂઆત હાઇકોર્ટે નકારી હતી.
આ પહેલાંની સુનાવણીમાં પણ દારૂબંધીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજદારોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ શું ખાશે કે શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નથી. અરજદાર દ્વારા રજૂઆત કરાઈ હતી કે, બહારના રાજ્યમાંથી દારૂ પીને ગુજરાતમાં આવવા પર પણ સરકારે રોક લગાવી છે કે જે યોગ્ય નથી. જે રાજ્યમાં દારૂ પીવાની છૂટ છે ત્યાંથી દારૂ પીને રાજ્યમાં આવનારા લોકો સામે પણ કાર્યવાહી કરાય છે તે વ્યાજબી નથી. દારૂ પીધેલી સ્થિતિમાં રાજ્યમાં પ્રવેશ ગુનો બનશે તેવો નિયમ વ્યાજબી નથી. બીજા રાજ્યમાંથી દારૂ પીને ગાડીમાં પેસેન્જર સીટ પર બેસીને આવતા લોકો સામે કાર્યવાહી યોગ્ય નથી.
તેમણે રજૂઆત કરી કે, ડ્રાઇવરે દારૂ પીધો હોય તો સરકાર કાર્યવાહી કરે પરંતુ આ પ્રકારની રોક વ્યાજબી નથી. પહેલાંની સુનાવણી વખતે હાઇકોર્ટના ચીફ જસ્ટિસના વડપણવાળી બેંચે પૂછ્યું હતું કે, દારૂ પીધા પછી વ્યક્તિને તેની અસર કેટલો સમય રહેતી હોય છે? વ્યક્તિ કેટલો સમય નશામાં રહેશે એ સરકારે ક્યાંય જાહેર કર્યું છે ખરું? દારૂબંધી લાગુ કરવા પાછળનું કારણ શું તે કાયદાના વ્યાપ કે હેતુમાં ક્યાંય લખેલું છે ખરું?
અરજદારોએ રજૂઆત કરી હતી કે, દારૂબંધીનો હેતુ કાયદામાં ક્યાંય જાહેર કરાયો નથી. તેના જવાબમાં એડવોકેટ જનરલે કહ્યું હતું કે, જાહેર આરોગ્યની ચિંતા કરીને દારૂબંધી લાગુ કરવાનો હેતુ હતો. અરજદારોની રજૂઆત હતી કે, બંધારણ સભાની ચર્ચામાં પણ દારૂબંધી મુદ્દે સભ્યોમાં મતમતાંતર હતા. બંધારણ સભાએ પણ પ્રોહીબિશન લાગુ કરવું કે નહીં એનો નિર્ણય રાજ્યો પર છોડ્યો હતો. દારૂબંધીના કાયદાને ઘણી જોગવાઈઓ મુદ્દે બોમ્બે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટે કોઈ નિર્ણય લીધા નથી તેવામાં આ હાઇકોર્ટને સત્તા છે કે આ મુદ્દા ઉપર નિર્ણય લે એવી પણ અરજદારોની રજૂઆત હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)