મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જામનગર-રાજકોટના હવાઈ નીરિક્ષણ માટે કોણ કોણ જશે ? જાણો મહત્વના સમાચાર
ગાંધીનગરથી બપોરે 1 કલાકે ભૂતપૂર્વ મંત્રી આર.સી ફળદુ , જામનગરનાં સાંસદ પૂનમ બહેન માડમ અને મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે આ બે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓની જાત માહિતી મેળવવા રવાના થશે.

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ રાજ્યના સૌરાષ્ટ્રના હવાઈ નીરિક્ષણ માટે આજે બપોરે જશે. જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા અને જિલ્લા તંત્રને રાહત બચાવ કામગીરીમાં માર્ગદર્શન આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બે જિલ્લાની મુલાકાતે હવાઈ માર્ગે જશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે નીતિન પટેલ કે ભાજપના બીજા ટોચના નેતા નહીં જોડાય પણ જામનગરના સ્થાનિક આગેવાનો જોડાશે. ગાંધીનગરથી બપોરે 1 કલાકે ભૂતપૂર્વ મંત્રી આર.સી ફળદુ , જામનગરનાં સાંસદ પૂનમ બહેન માડમ અને મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે આ બે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓની જાત માહિતી મેળવવા રવાના થશે.
સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. તેમાં પણ રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પાંચ દિવસ પૂરા ગુજરાતમાં વરસશે મૂશળધાર વરસાદ. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસશે ભારેથી અતિભારે વરસાદ. સૌરાષ્ટ્રમાં આજે ફરી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ઓડિશા પર સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ. જે મધ્ય પ્રદેશ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેને લઈ પૂરા ગુજરાતમાં વરસી રહ્યો છે વરસાદ.
રાજકોટ વરસાદ
રાજકોટ શહેરમાં મેઘરાજાએ એવી તે કરી ધમાકેદાર એંટ્રી કે આખું શહેર થયું જળમગ્ન..શહેરનો એક પણ રસ્તો કે વિસ્તાર ન બચ્યો કે જ્યાં પાણી ન ભરાયા હોય. શહેરના મોટાભાગના વિસ્તાર અને રસ્તા પર ભરાયા ઘૂંટણસમા પાણી. શહેરનો ઢેબર રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, પોપટપુરા, નાના મવા સહિતના વિસ્તારોમાં થયા પાણી-પાણી.
કેટલીક જગ્યાએ તો રસ્તા પર પાણીના ધસમસતા પ્રવાહમાં ગાડીઓ તણાઈ હતી. દિવસભર ધોધમાર વરસાદ પડતા રાજકોટ શહેરના રાજમાર્ગો પર નદીની જેમ વહેતા થયા પાણી. ભારે વરસાદથી જનજીવનને અસર પડી છે. શહેરમાં મોટાભાગના ધંધા-રોજગાર બંધ જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદ વરસતા રાજકોટનું પોપટપરા નાળું બંધ કરાયું હતું. તો રેલનગર અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો હતો. અહીં બંને તરફ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેથી કોઈ અહીંથી પસાર ન થાય. રેલનગરનું અંડરબ્રિજ બંધ થતાં આસપાસની અનેક સોસાયટીઓ સંપર્કવિહોણી બની છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
