Gujarat: રાજુ કરપડાના આરોપ પર ધારાસભ્ય ઈટાલિયાનો પલટવાર, કહ્યું, 'જેલની સજાથી બચવા ભાજપના ઇશારે...'
રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આમ આદમી પાર્ટી પર ગંભીર પ્રહારો કર્યા હતા. જેના પર પલટવાર કરતા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અનેક જવાબો આપ્યા છે.

અમદાવાદ : રાજુ કરપડાએ બુધવારે આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. આજે રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આમ આદમી પાર્ટી પર ગંભીર પ્રહારો કર્યા હતા. જેના પર પલટવાર કરતા આમ આદમી પાર્ટી તરફથી ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અનેક જવાબો આપ્યા છે.
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ રાજુ કરપડાના આરોપો પર જોરદાર પલટવાર કર્યો છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું, કરપડા પર ત્રણ કેસ છે. તે પૈકી આજે બે કેસમાં સુરેન્દ્રગરની કોર્ટમાં મુદત હતી. જેલની સજામાંથી બચવા ભાજપના ઇશારે રાજુ કરપડાએ પાર્ટી છોડી. ભાજપના ઇશારે રાજુ કરપડાએ આરોપ લગાવ્યા છે.
ભાજપે રાજુ કરપડા પર દબાણ કર્યું- ગોપાલ ઈટાલિયા
રાજુ કરપડાના આરોપો પર ઈટાલિયાએ જવાબ આપતા કહ્યું કે, આજે રાજુ ભાઈના ચહેરા પર જેલમાં જવાનો ડર હતો. રાજુ કરપડાના પર 3 કેસ છે. કરપડા પર બે કેસ જાનથી મારી નાખવાના છે. ટાંટિયા તોડવાના કેસમાં રાજુ કરપડાને 5 વર્ષની સજા થઈ છે. બીજા 2 કેસમા આજે સુરેંદ્રનગર કોર્ટમાં મુદત હતી. બંને કેસમાં સુરેંદ્રનગર કોર્ટમાં આજે આખરી નિર્ણય હતો. ભાજપે રાજુ કરપડા પર દબાણ કર્યું છે. સજાના ડરથી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી છે.
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, આ લડાઈ ગુજરાતના ગરીબ ખેડૂતો માટે હતી. ભાજપનો હાથો બનીને ગુજરાતના ખેડૂતોની નિસાસો લીધો. પોલીસ એફિડેવિટ ન કરતી હોવાથી કોર્ટમાં તારીખ પડતી હતી. રાજુ કરપડાએ મજબૂરીમાં આરોપો લગાવ્યા છે. જેલમા જવાના ડરથી રાજુ કરપડાએ ખેડૂત આંદોલનની બલિ ચડાવી હતી. ખેડૂતોના નિસાસા લેવાનું કામ રાજુ કરપડાએ કર્યું છે.
જેલમાં જવાના ડરથી રાજુ કરપડા ખોટું બોલે છે-ગોપાલ ઈટાલિયા
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદમાં વધુ ચોંકાવનારા જવાબ આપતા કહ્યું કે, 11 ઓક્ટોબરે હું રાતના 2 વાગ્યા સુધી રાજુ કરપડાના ઘરે હતો. હું હડદડ કેમ નથી આવવાનો તેની રાજુભાઈને જાણકારી હતી. જેલમાં જવાના ડરથી રાજુ કરપડા ખોટું બોલે છે. જેલમાં જવાના ડરથી રાજુ કરપડાએ ખેડૂતોની આશા તોડી. રાજુ કરપડાની સાથે જેલમાં પ્રવીણ રામ પણ હતા. જેલમા જવાથી બચવા રાજુ કરપડાએ ગુજરાતના લોકોનો વિશ્વાસ તોડ્યો.
રાજુ કરપડાનો રસ્તો ભાજપ તરફનો એટલે ખોટું બોલી રહ્યા છે-ઈટાલિયા
ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, 31 તારીખે રાજુ કરપડાને જેલમાં IPS અધિકારી મળ્યા હતા. રાજુ કરપડાએ ગાંધીનગરમાં ગૃહમંત્રી સાથે ગુપ્ત બેઠક કરી હતી. હવે રાજુ કરપડાનો રસ્તો ભાજપ તરફનો છે એટલે ખોટું બોલી રહ્યા છે. રાજુ કરપડાના સમર્થનમાં પંજાબના CM અને કેજરીવાલે સભા કરી હતી. રાજુ કરપડાના સમર્થનમાં પાર્ટીએ કરોડોનો ખર્ચ કર્યો. આમ આદમી પાર્ટીએ રાજુ કરપડાના સમર્થનમાં આઠ જેટલી કિસાન પંચાયત કરી હતી.























