Unseasonal Rain Live Updates: સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી
ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો હતો

Background
ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો હતો. તાલાલા, સુત્રાપાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તાલાલાના ધાવા, આકોલવાડી, સુરવા, જાવંત્રી ગામે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાના કારણે કેરીના પાકને ભારે નુક્સાન થવાની શક્યતા છે.
ગીર સોમનાથ જિલ્લામાં બે દિવસ પૂર્વે તાલાલા, ઉના અને ગીર ગઢડા તાલુકામાં ભારે પવન સાથે વરસેલા ધોધમાર વરસાદે ખેડૂતોને બરબાદ કરી નાંખ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો મોટાભાગે કેરી, નાળિયેર સહિતના બાગાયત પાકોની ખેતી કરે છે. કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો પર તો પડ્યા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે. માવઠા પહેલા પ્રતિ કિલો કાચી કેરી 80થી 100 રૂપિયે વેચાતી હતી. જેના આજે ખેડૂતોને માત્ર 5થી 10 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. ભારે પવનના કારણે આંબા પરથી કાચી કેરીઓ ખરી પડતા ખેડૂતોને ફટકો પડ્યો છે. બીજી તરફ માવઠા બાદ હવે ભાવ પણ ગગડી ગયા હતા. આ અંગે બાગાયત અધિકારીએ કહ્યું કે માવઠાના કારણે કેસર કેરીના પાકને એક તો નુકસાન થયું જ હતું. પાછુ કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોને બેવડો ફટકો પડ્યો હતો.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસી રહેલા કમોસમી વરસાદની ફૂલોના ભાવમાં વધારો થયો છે. માવઠાથી ફૂલોની આવકમાં ઘટાડો થયો છે. જેના કારણે ભાવ આસમાને પહોંચ્યા છે. ભાવમાં બમણો વધારો થતા ગ્રાહકો પર માઠી અસર પડી રહી છે. એક તરફ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ ગુલાબનો ભાવ જે પહેલા 30 રૂપિયા હતો. તે હાલ 60 રૂપિયા પર પહોચ્યો છે. તો મોગરાનો ભાવ 140 હતો. તે હાલ 300 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે.
આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી
રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે. આગામી 24 કલાક રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે સાઉથ વેસ્ટ રાજસ્થાન તરફના સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી શકે છે. જેમાં જૂનાગઢ, પોરબંદર, જામનગર,ભાવનગર, બોટાદ,કચ્છમાં માવઠાની આગાહી છે. સાથે આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે
ભાવનગરમાં વરસાદથી ખેડૂતોને નુકસાન
ભાવનગરમાં સતત એક સપ્તાહ વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતોની સ્થિતિ વધુ ખરાબ બની હતી. સૌથી વધુ મહુવા, તળાજા, જેસર, સીદસર, શામપરા, ફરિયાદકા, કણકોટ સહિતના ગામોમાં ખેતી પાકને મોટું નુકસાન થયું છે. જ્યારે બાગાયતી પાકમાં કેરી, લીંબુને ખરાબ અસર પહોંચી છે. તો આ તરફ ખેડૂતોની ડુંગળી યાર્ડમાં જ પલળી ગઈ છે. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક નુકસાનીનો સર્વે કરે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે.





















