NEET એક્ઝામમાં ડ્રેસ કોડ લાગૂ, આ વસ્તુ લઇ જવા પર બેન, NTAએ જાહેર કરી એડવાઇઝરી
NEET Re Exam Dress Code 2026: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET UG 2026 રી-એગ્ઝામને સુરક્ષિત અને પારદર્શક રીતે યોજવા માટે ડ્રેસ કોડ, બાયોમેટ્રિક વેરિફિકેશન અને પરીક્ષા કેન્દ્રમાં લઈ જવાની વસ્તુઓ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે.

NEET UG 2026 રી-એગ્ઝામમાં ભાગ લેનારા ઉમેદવારો માટે NTAએ એડવાઇઝરી જાહેર કરી છે. આ પરીક્ષા 21 જૂનના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રોમાં યોજાશે. પરીક્ષા બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી ચાલશે. જ્યારે વધારાના સમય માટે પાત્ર PwD અને PwBD ઉમેદવારો માટે પરીક્ષા સાંજે 6:20 વાગ્યા સુધી ચાલશે.
ઉમેદવારો પરીક્ષા કેન્દ્રમાં શું લઈ જઈ શકશે?
વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને ઉમેદવારોને કેટલીક વિશેષ છૂટછાટ આપવામાં આવી છે. ઉમેદવારો પારદર્શક પાણીની બોટલ પરીક્ષા કેન્દ્રમાં લઈ જઈ શકશે. ઉપરાંત, એડમિટ કાર્ડને સુરક્ષિત રાખવા માટે પારદર્શક પ્લાસ્ટિક પાઉચમાં રાખવાની પણ મંજૂરી આપવામાં આવી છે. NTAએ જણાવ્યું છે કે ઉમેદવારોએ માત્ર પરીક્ષા માટે જરૂરી વસ્તુઓ જ સાથે લાવવાની રહેશે.
ડ્રેસ કોડ અંગે શું નિયમો છે?
NTAએ ઉમેદવારોને હળવા અને કમ્પફર્ટ કપડાં પહેરીને પરીક્ષા કેન્દ્ર પર આવવાની સલાહ આપી છે. જોકે, જરૂરિયાત મુજબ ઉમેદવારો ફુલ સ્લીવ અથવા ગરમ કપડાં પણ પહેરી શકે છે. પરંતુ આવા કિસ્સામાં તેમને પરીક્ષા કેન્દ્ર પર વહેલા પહોંચવું પડશે જેથી ચકાસણી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે. ફૂટવેર માટે ઉમેદવારોને ચપ્પલ અથવા ઓછી હીલવાળી સેન્ડલ પહેરવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે ઊંચી હીલવાળા જૂતાં પહેરનારા ઉમેદવારોને વધુ સઘન તપાસનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો: Telegram Ban: ટેલિગ્રામ પર લાગેલો અસ્થાયી પ્રતિબંઘ નહિ હટે, હાઇકોર્ટનો મોટો નિર્ણય
ધાર્મિક પહેરવેશ અને વસ્તુઓ અંગે માર્ગદર્શિકા
એજન્સીએ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા પહેરવેશ અને વસ્તુઓ અંગે પણ સૂચનાઓ આપી છે. કાંડુ, , પાઘડી, હિજાબ, ધાર્મિક પ્રતીકો અથવા અન્ય ધાર્મિક વસ્તુઓ પહેરીને પરીક્ષા કેન્દ્રમાં આવવાની મંજૂરી રહેશે. જો આવું કરીને આવશે તેમને અન્ય ઉમેદવારો કરતાં વહેલા કેન્દ્ર પર પહોંચવું પડશે જેથી તેમની યોગ્ય રીતે તપાસ થઈ શકે. NTAએ જણાવ્યું છે કે સુરક્ષા પ્રક્રિયામાં વધારાનો સમય લાગી શકે છે, તેથી સમય પહેલાં રિપોર્ટ કરવું જરૂરી છે.
પરીક્ષા કેન્દ્રમાં આ વસ્તુઓ સંપૂર્ણપણે પ્રતિબંધિત
પરીક્ષા કેન્દ્રની અંદર કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવાની મંજૂરી નથી. મોબાઇલ ફોન, સ્માર્ટવોચ, બ્લૂટૂથ ડિવાઇસ, ઇયરફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.
આ ઉપરાંત મોટા બેલ્ટ, બક્કલ, ધાતુની વસ્તુઓ, ભારે જ્વેલરી અને અન્ય મેટલ એસેસરીઝ પણ પરીક્ષા હોલમાં લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
બાયોમેટ્રિક વેરિફિકેશન રહેશે ફરજિયાત
રી-NEET પરીક્ષામાં ભાગ લેનારા તમામ ઉમેદવારોનું પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ પહેલાં બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે. તેમાં ફિંગરપ્રિન્ટ અથવા ફેસ સ્કેન જેવી પ્રક્રિયાઓ સામેલ રહેશે.
જો કોઈ ટેક્નિકલ કારણોસર, ઇન્ટરનેટ અથવા સર્વરની સમસ્યા કે ડેટા સંબંધિત મુશ્કેલીને કારણે બાયોમેટ્રિક વેરિફિકેશન થઈ ન શકે તો ઉમેદવારને પરીક્ષા આપવાથી રોકવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર ઉપલબ્ધ ઘોષણાપત્ર (Declaration Form) ભરવું પડશે, ત્યારબાદ તેમને પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.
NTAએ સ્પષ્ટ કર્યું છે કે બાયોમેટ્રિક પ્રક્રિયાના કારણે કોઈ ઉમેદવારને મુશ્કેલી નહીં પડે અને જરૂર પડ્યે આ પ્રક્રિયા પરીક્ષા શરૂ થાય તે પહેલાં અથવા પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ પૂર્ણ કરી શકાશે.






















