DA પણ નહીં મળે અને 8મા પગાર પંચનો લાભ પણ બંધ થઈ જશે? વાયરલ મેસેજથી કર્મચારીઓના જીવ અદ્ધર...
DA Hike News: છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરી રહ્યો છે જેણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની ચિંતામાં વધારો કર્યો છે.

DA Hike News: સોશિયલ મીડિયાના જમાનામાં અફવાઓ આગની જેમ ફેલાય છે. હાલમાં જ વોટ્સએપ પર એક મેસેજ વાયરલ થયો છે, જેમાં દાવો કરાયો છે કે નિવૃત્ત સરકારી કર્મચારીઓને હવે મોંઘવારી ભથ્થું (DA) અને 8મા પગાર પંચનો લાભ નહીં મળે. આ મેસેજે લાખો પેન્શનરોની ઊંઘ હરામ કરી દીધી છે. જોકે, સરકારે આ મામલે તાત્કાલિક ખુલાસો કરીને સત્ય બહાર લાવ્યું છે. હકીકત કંઈક અલગ જ છે, જે દરેક કર્મચારીએ જાણવી જરૂરી છે.
શું છે વાયરલ મેસેજનો દાવો?
છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરી રહ્યો છે જેણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની ચિંતામાં વધારો કર્યો છે. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે 'ફાઇનાન્સ એક્ટ 2025' અંતર્ગત નિવૃત્તિ બાદ મળતા લાભો નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. મેસેજ મુજબ, હવેથી પેન્શનરોને મોંઘવારી ભથ્થા (DA) માં કોઈ વધારો નહીં મળે અને ભવિષ્યમાં આવનારા 8મા પગાર પંચ સહિતના કોઈપણ પગાર પંચનો લાભ આપવામાં આવશે નહીં. આ પ્રકારના મેસેજને કારણે કર્મચારી વર્ગમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સરકારે કર્યો દૂધનું દૂધ અને પાણીનું પાણી (PIB Fact Check)
આ અફવાને ડામવા માટે સરકારની સત્તાવાર ફેક્ટ ચેક વિંગ 'PIB' (પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો) એક્શનમાં આવી છે. PIB એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ વાયરલ મેસેજ સંપૂર્ણપણે બનાવટી (Fake) છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નિવૃત્ત કર્મચારીઓના DA વધારા કે પગાર પંચના લાભો બંધ કરવાનો કોઈ જ નિર્ણય લેવાયો નથી. પેન્શનરોને મળતા લાભો રાબેતા મુજબ ચાલુ જ રહેશે.
🚨 Will retired Govt employees stop getting DA hikes & Pay Commission benefits under the Finance Act 2025⁉️
— PIB Fact Check (@PIBFactCheck) December 13, 2025
A message circulating on #WhatsApp claims that the Central Government has withdrawn post-retirement benefits like DA hikes and Pay Commission revisions for retired… pic.twitter.com/T3ylHEvCXt
હકીકત શું છે? કયો નિયમ બદલાયો છે?
લોકોમાં ગેરસમજ એક વાસ્તવિક સરકારી નિયમના ખોટા અર્થઘટનને કારણે ફેલાઈ છે. સાચી હકીકત એ છે કે સરકારે CCS (પેન્શન) નિયમો, 2021 ના નિયમ 37 માં સુધારો કર્યો છે.
આ સુધારા મુજબ, જો કોઈ સરકારી કર્મચારીને ગંભીર ગેરવર્તણૂક (Misconduct) અથવા કોઈ ગુના સબબ નોકરીમાંથી બરતરફ (Dismiss) કરવામાં આવે, તો જ તેના નિવૃત્તિ લાભો જપ્ત કરવામાં આવશે.
આ નિયમ સામાન્ય અને ઈમાનદાર કર્મચારીઓ કે પેન્શનરોને લાગુ પડતો નથી. અફવા ફેલાવનારાઓએ આ નિયમને તોડી-મરોડીને રજૂ કર્યો છે.
અફવાઓથી સાવધાન રહેવાની સલાહ
સરકારે નાગરિકો અને કર્મચારીઓને અપીલ કરી છે કે વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પર આવતા આવા પાયાવિહોણા મેસેજ પર વિશ્વાસ ન કરવો. કોઈપણ માહિતીને શેર કરતા પહેલા તેની સત્તાવાર ખરાઈ કરવી અત્યંત જરૂરી છે. તમારી પેન્શન અને ભથ્થા સુરક્ષિત છે, તેથી ગભરાવાની કોઈ જરૂર નથી.





















