રાજકોટ મનપાના તત્કાલિન TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો, ઈડી એ RMC પાસે ગુનો નોંધવા માંગી મંજૂરી
Rajkot News: ઈડીએ મનસુખ સાગઠિયા સામે ગુનો નોંધવા મહાનગરપાલિકા પાસે મંજૂરી માગી છે. નોંધનિય છે કે, સાગઠિયા વર્ગ 1ના કર્મચારી હોવાથી તપાસ પહેલા મંજૂરી લેવી પડે છે.

Rajkot News:રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલિન TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. ઈડીએ મનસુખ સાગઠિયા સામે ગુનો નોંધવા માટે મહાનગરપાલિકા પાસે મંજૂરી માંગી છે. નોંધનિય છે કે, સાગઠિયા વર્ગ 1ના કર્મચારી હોવાથી તપાસ પહેલા મંજૂરી લેવી પડે છે. સ્ટેન્ડિંગ કમિટી અને બાદમાં જનરલ બોર્ડમાં મંજૂરી માંગવમાં આવશે, આજે સ્ટેન્ડિંગ કમિટી સાગઠિયા વિરૂદ્ધ તપાસને મંજૂરી આપી શકે છે. સ્ટેન્ડિંગ કમિટી મંજૂરી આપ્યા બાદ જનરલ બોર્ડ પણ આપે તેવી શક્યતા જોવાઇ રહી છે. જનરલ બોર્ડની મંજૂરી બાદ સાગઠિયા સામે ઈડી કાર્યવાહી કરશે. નોંધનિય છે કે, છેલ્લા એક વર્ષથી મનસુખ સાગઠિયા જેલમાં બંધ છે. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા અંગે નોટિસ આપ્યા બાદ પણ તેમણે કોઈ કાર્યવાહી ન કરી પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી હતી જેને લઇ પોલીસે ધરપકડ કર્યા.
TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મુખ્ય સહઆરોપી અને રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગઠિયાની રૂ.21 કરોડની મિલ્કતો પ્રિવેન્સન ઓફ મની લોન્ડરિંગ એકટની કલમ 5 હેઠળ તા.28.05.2024ના રોજ જપ્તીમા લીધા બાદ દિલ્લીની એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે રાજકોટ મહાનગર પાલિકા પાસે ફરિયાદ દાખલ કરવા મંજૂરી માંગી છે.
ઉલ્લેખનિય છે કે, TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ ધનજીભાઈ સાગઠિયા સામે એક સાથે 3 ફોજદારી કેસો નોંધાયા હતા.જેમા ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ એક કેસ અને ભારતીય દંડ સહિતા હેઠળ બે કેસ કરવામાં આવ્યા છે, કેસોની તપાસ દરમિયાન સામે આવ્યું હતુ કે ટી.પી.ઓ. મનસુખ સાગઠિયાએ 28 કરોડની અપ્રમાણસર મિલ્કત ધરાવે છે. ઉલ્લેખનિય છે કે, મનસુખ સાગઠિયાની 23.15 કરોડની મિલકત ટાંચમાં લેવા સરકારે આદેશ કર્યો હતો. એસીબીની તપાસ દરમિયાન સાગઠિયાએ પોતાની કાયદેસરની આવક કરતા 628.42 ટકા વધુ અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું સામે આવતા ભ્રષ્ટાચાર અધિનિયમ કલમ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.
જાણો શું હતી સમગ્ર ઘટના
ગત ઉનાળાના વેકેશનમાં ગ્રાહકોને આકર્ષવા માટે રાજકોટ ગેમઝોનના માલિકે જુદી જુદી ગેમની સ્કીમો પણ બહાર પાડી હતી. જેના વીકએન્ડના દિવસે અહીં ખૂબ ભીડ હતી. લોકો જુદી જુદી રોમાચિંત કરી દેતી ગેમનો આનંદ લઇ રહ્યાં હતા ત્યારે અચાનક ભીષણ આગ લાગી હતી અને 27 લોકો જીવતા ભૂંજાયા હતા. આગ એટલી વિકરાળ હતી કે, મૃતકની ઓળખ મુશ્કેલી બનતા તેમના DNA રિપોર્ટ મેચ કરીને મૃતદેહ સોપાયા હતા.





















