સરકારે 1200 કરોડનો પ્રોજેક્ટ જાહેર કર્યો છે, પરંતુ દોઢ વર્ષમાં માત્ર 10-20% કામગીરી થઈ છે. કોર્પોરેશને 180 કરોડમાંથી 122 કરોડ ખર્ચ્યા છે.
વડોદરામાં ચૂંટણી પ્રચાર તેજ: મતદારો 2024 માં આવેલા પૂર સંકટ ને ભૂલ્યા નથી, શું થશે નેતાઓની હાલત?
1200 કરોડના પ્રોજેક્ટમાં 10-20% કામ જ પૂરું, 13 જગ્યાએથી 4.40 કરોડ કિલો કાટમાળ હટાવવાનું શરૂ.

- ચૂંટણી પ્રચાર છતાં, લોકો ઓગસ્ટ ૨૦૨૪ ના ભયાનક પૂરને યાદ કરે છે.
- ૧૨૦૦ કરોડનો વિશ્વામિત્રી નદી રિવાઈવલ પ્રોજેક્ટ માત્ર ૧૦-૨૦% પૂર્ણ થયો છે.
- કાટમાળ હટાવવાની ધીમી ગતિ અને ગેરકાયદે બાંધકામો ચિંતાનો વિષય.
- આગામી ચોમાસામાં ફરીથી પૂરનો ભય, તાત્કાલિક પગલાં જરૂરી.
Vadodara Municipal Election 2026: વડોદરામાં હાલ કોર્પોરેશનની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ શહેરની જનતા હજુ ઓગસ્ટ 2024 માં આવેલા ભયાનક પૂરની યાદો અને નુકસાની ભૂલી શકી નથી. આગામી ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે લોકોમાં પૂરનો ભય યથાવત છે. સરકારે પૂર બાદ 1200 કરોડ રૂપિયાનો મહત્વાકાંક્ષી 'વિશ્વામિત્રી નદી રિવાઈવલ પ્રોજેક્ટ' તો જાહેર કર્યો, પરંતુ દોઢ વર્ષના વાયદાઓ પછી પણ માંડ 10 થી 20 ટકા જ કામગીરી થઈ શકી છે. કામની આ ધીમી ગતિને કારણે શહેરીજનોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.
ઉમેદવારો ભલે ચૂંટણી પ્રચારમાં મસ્ત હોય, પણ મતદારો આજે પણ 2024 નું એ ભયાવહ દ્રશ્ય યાદ કરીને કાંપી ઉઠે છે. એક જ દિવસમાં 20 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો અને ઉપરવાસના આજવા તેમજ પ્રતાપપુરા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે, પણ પાણી રેકોર્ડબ્રેક 35 ફૂટ સુધી પહોંચી જતા શહેરના મોટાભાગના વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. આ વિનાશક પૂરમાં 11 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. લોકો 3 થી 4 દિવસ સુધી લાઈટ અને પીવાના પાણી વગર ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા હતા. તે સમયે NDRF અને SDRF ની ટીમોએ 5500 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી 1200 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. પૂરના પાણી સાથે શહેરમાં મગરો પણ ઘૂસી આવ્યા હતા, જેણે લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા. એક જ સપ્તાહમાં 42 થી વધુ મગરો પકડાયા હતા.
પૂરની આ ભયાનકતા બાદ, રાજ્ય સરકારે વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવા 1200 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત સરકારે 180 કરોડ રૂપિયા કોર્પોરેશનને આપ્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 122 કરોડ રૂપિયાનું જ કામ થયું છે. આ કામમાં નદીને ઊંડી અને પહોળી કરવામાં આવી છે તેમજ કિનારે વૃક્ષો વાવવામાં આવ્યા છે. પરંતુ આ કામગીરી અત્યંત ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. સરકાર વધુ ફંડ આપવા તૈયાર છે, પણ કોર્પોરેશન આગળનો પ્રોજેક્ટ જ રજૂ કરી શકી નથી. નવલાવાલા કમિટીએ પાવાગઢથી પિંગલવાડા સુધીનો 3300 કરોડનો પ્રોજેક્ટ નક્કી કર્યો છે, જેને પૂરો થતાં 10 વર્ષ લાગી શકે છે. જોકે આમાં એક મોટો ટેકનિકલ પ્રશ્ન એ પણ છે કે વિશ્વામિત્રીનું પાણી ઢાઢર નદીમાં જાય છે, પણ જ્યારે દેવ ડેમમાંથી પાણી છોડાય ત્યારે ઢાઢર નદી વિશ્વામિત્રીનું પાણી સમાવી શકતી નથી, જે ભવિષ્ય માટે એક મોટી ચિંતા છે.
આ પ્રોજેક્ટમાં સૌથી મોટો અવરોધ નદીના પટમાં બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવેલો કાટમાળ છે. હ્યૂમન રાઈટ કમિશન અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ની કડક ટકોર બાદ પાલિકા હવે સફાળી જાગી છે. અગાઉ 20 સ્થળોએ તપાસ કરતા 13 જેટલા સ્થળોએ અંદાજિત 4.40 કરોડ કિલો (44,400 મેટ્રિક ટન) કાટમાળ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અગાઉ અકોટા સ્મશાન અને વડસર પાસે 5454 મેટ્રિક ટન કાટમાળ હટાવાયો હતો. હવે કમિશનના સૂચન બાદ ફરીથી અકોટા સ્મશાન પાછળ, સમા નવી નગરી ભરવાડ વાસ પાછળ અને ભીમનાથ બ્રિજ પાસે ફાસ્ટ ટ્રેક કોર્ટ પાછળ 4 મીટર જેટલું ઊંડું ખોદકામ કરીને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હજુ પણ નદી પર અનેક ગેરકાયદેસર બાંધકામો ઊભા છે જેને તાત્કાલિક હટાવવા જરૂરી છે, નહીંતર આગામી ચોમાસામાં ફરીથી વડોદરાવાસીઓને પૂરનો સામનો કરવો પડી શકે છે.
Frequently Asked Questions
વડોદરામાં વિશ્વામિત્રી નદી રિવાઈવલ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ શું છે?
વડોદરામાં 2024 માં આવેલા પૂરમાં શું થયું હતું?
એક જ દિવસમાં 20 ઈંચ વરસાદથી નદી 35 ફૂટ સુધી પહોંચી હતી, જેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારો ડૂબી ગયા હતા. 11 લોકોના મોત થયા હતા અને મગરો શહેરમાં ઘૂસી આવ્યા હતા.
વિશ્વામિત્રી નદી રિવાઈવલ પ્રોજેક્ટમાં મુખ્ય અવરોધો કયા છે?
નદીના પટમાં બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવેલો કાટમાળ મુખ્ય અવરોધ છે. ઉપરાંત, દેવ ડેમમાંથી પાણી છોડાય ત્યારે ઢાઢર નદીની ક્ષમતાનો પ્રશ્ન છે.
ગેરકાયદેસર કાટમાળ હટાવવા માટે શું પગલાં લેવાયા છે?
હ્યૂમન રાઈટ કમિશન અને NGTની સૂચના બાદ પાલિકા કાટમાળ હટાવી રહી છે. અકોટા સ્મશાન, સમા નવી નગરી અને ભીમનાથ બ્રિજ પાસે ખોદકામ શરૂ કરાયું છે.





















