બ્રિટન અને ફ્રાન્સ બાદ કેનેડા પણ પેલેસ્ટાઈનને આપશે માન્યતા, શું ઈઝરાયલથી દૂર થઈ રહ્યા છે તેના મિત્રો?
ઇઝરાયલને સતત બીજા દિવસે આ ઝટકો લાગ્યો છે. કારણ કે એક દિવસ પહેલા જ બ્રિટને પેલેસ્ટાઇનને માન્યતા આપવાના તેના નિર્ણય વિશે વિશ્વને જણાવ્યું હતું

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂને એક નવો ઝટકો લાગ્યો છે. આ ઝટકો કેનેડાએ આપ્યો છે. ગાઝા યુદ્ધ અને માનવતાવાદી કટોકટી વચ્ચે કેનેડાએ બુધવારે એક ઐતિહાસિક નિર્ણય લીધો અને જાહેરાત કરી કે તે સંયુક્ત રાષ્ટ્રની 80મી મહાસભામાં પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપશે. આ જાહેરાત કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ વિદેશ પ્રધાન અનિતા આનંદ સાથે મીડિયાને સંબોધિત કરતી વખતે કરી હતી. ફ્રાન્સ અને બ્રિટન પછી ઇઝરાયલ માટે આ ત્રીજો ઝટકો છે. ઇઝરાયલને સતત બીજા દિવસે આ ઝટકો લાગ્યો છે. કારણ કે એક દિવસ પહેલા જ બ્રિટને પેલેસ્ટાઇનને માન્યતા આપવાના તેના નિર્ણય વિશે વિશ્વને જણાવ્યું હતું. માર્ક કાર્નીએ કહ્યું હતું કે, 'કેનેડા બે રાષ્ટ્ર ઉકેલના પક્ષમાં રહ્યું છે. અમે ઇઝરાયલ સાથે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વમાં એક સ્વતંત્ર, સક્ષમ અને સાર્વભૌમ પેલેસ્ટિનિયન રાષ્ટ્ર જોવા માંગીએ છીએ.' આ જાહેરાત પહેલા ફ્રાન્સ અને બ્રિટને પણ પેલેસ્ટાઇનને માન્યતા આપવાનો સંકેત આપ્યો છે. બ્રિટને સ્પષ્ટપણે કહ્યું છે કે જો ઇઝરાયલ ગાઝામાં યુદ્ધવિરામ માટે સંમત નહીં થાય તો તે પેલેસ્ટાઇનને પણ માન્યતા આપશે.
Canada will recognize a Palestinian state at the UN General Assembly in September, says Prime Minister Mark Carneyhttps://t.co/U72RR4xVgi pic.twitter.com/qFzbLczthV
— AFP News Agency (@AFP) July 31, 2025
2026માં પેલેસ્ટાઇનની ચૂંટણીઓ યોજાશે
વડાપ્રધાન કાર્નીએ કહ્યું હતું કે પેલેસ્ટાઇન ઓથોરિટીના વડા મહમૂદ અબ્બાસે તેમને વચન આપ્યું છે કે પેલેસ્ટાઇનમાં લાંબા સમયથી પડતર ચૂંટણીઓ 2026માં યોજાશે અને આ ચૂંટણીઓમાં હમાસની કોઈ ભૂમિકા રહેશે નહીં. ઉપરાંત, અબ્બાસે પણ ખાતરી આપી હતી કે ભવિષ્યનું પેલેસ્ટાઇન 'બિન-લશ્કરીકરણ' ધરાવતું હશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ગાઝામાં સંઘર્ષ, ભૂખમરો અને સહાયનો અભાવ વૈશ્વિક ચિંતા ઉભી કરી રહ્યો છે. કાર્નીએ કહ્યું હતું કે, 'ઇઝરાયલની સુરક્ષા અમારા માટે સર્વોપરી છે. પરંતુ લાંબા ગાળાની શાંતિ માટે સ્થિર અને કાયદેસર પેલેસ્ટિનિયન રાજ્ય પણ એટલું જ મહત્વપૂર્ણ છે.'
કેનેડાના નિર્ણય પર ઇઝરાયલની પ્રતિક્રિયા
ઇઝરાયલે કેનેડાના આ વલણ પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. ઇઝરાયલના વિદેશ મંત્રાલયે તેને 'હમાસ માટે ઈનામ' ગણાવ્યું અને કહ્યું કે આ નિર્ણય ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસોને નુકસાન પહોંચાડશે. કેનેડામાં ઇઝરાયલના રાજદૂત ઇદ્દો મોએદે સોશિયલ મીડિયા પર લખ્યું, 'આંતરરાષ્ટ્રીય દબાણ અમને અસર કરશે નહીં. અમે અમારા અસ્તિત્વને દાવ પર લગાવી શકતા નથી.'
ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ સતત બગડી રહી છે. બુધવારે મદદ મેળવવા માટે ઉત્તરી ગાઝા પહોંચેલા લોકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા હતા અને 600 ઘાયલ થયા હતા. જોકે, ઇઝરાયેલી સેનાએ આ ઘટનાની કોઈ જાણકારી હોવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તપાસ કરવામાં આવી રહી છે.





















