ઇઝરાયલના પૂર્વ જેરુસલેમમાં ભયાનક ગોળીબાર: 5 લોકોના મોત અને અનેક ઘાયલ, પોલીસે હુમલાખોરોને ઠાર માર્યો
પશ્ચિમ કાંઠાના પેલેસ્ટિનિયન હુમલાખોરોએ ભીડભાડવાળા બસ સ્ટોપને નિશાન બનાવ્યું, વડાપ્રધાન નેતન્યાહુએ તાત્કાલિક સુરક્ષા બેઠક બોલાવી.

East Jerusalem shooting: ઇઝરાયલના જેરુસલેમમાં સોમવારે થયેલા ગોળીબારના ભયાનક હુમલામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે અને 12 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના સવારે 10:13 વાગ્યે રામોટ જંકશન નજીક એક વ્યસ્ત બસ સ્ટોપ પર બની હતી. ઇઝરાયલી ઇમરજન્સી સર્વિસ મેગેન ડેવિડ એડોમના જણાવ્યા અનુસાર, બે પેલેસ્ટિનિયન હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ સુરક્ષા દળોએ બંને હુમલાખોરોને ઘટનાસ્થળે જ ઠાર માર્યા છે. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.
જેરુસલેમમાં સોમવારે સવારે થયેલા એક આતંકવાદી હુમલામાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા, જેના કારણે પાંચ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, આ ઘટના રામોટ જંકશન પર એક બસ અને બસ સ્ટોપ નજીક બની હતી. હુમલાખોરોએ અચાનક ગોળીબાર શરૂ કરી દીધો, જેના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
ઘટનાક્રમ અને મૃત્યુઆંક
હુમલાના પ્રારંભિક અહેવાલો મુજબ, લગભગ 15 લોકો ઘાયલ થયા હતા. પરંતુ, ઇમરજન્સી સર્વિસિસ દ્વારા ઘાયલોની સારવાર શરૂ થતાં અને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ મૃત્યુઆંક વધ્યો. કુલ 5 લોકોના મોત થયા, જેમાં 4 લોકોનું ઘટનાસ્થળે જ અને એકનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. આ ઉપરાંત, ઘાયલોમાંથી 7 ની હાલત ગંભીર છે, જ્યારે અન્ય 5 લોકોને સામાન્ય ઇજાઓ થઈ છે.
🚨🚨Israeli police confirm they're investigating this morning's shooting in Jerusalem as a terror attack.
— Israel War Room (@IsraelWarRoom) September 8, 2025
At least five of the injured victims are reportedly in critical condition.
Images from the scene: https://t.co/jH8KOQ8CtI pic.twitter.com/eNxhVJQqDd
હુમલાખોરો અને ઉપયોગમાં લેવાયેલું હથિયાર
ઇઝરાયલી સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલો કરનાર બંને વ્યક્તિ પશ્ચિમ કાંઠાના પેલેસ્ટિનિયન હતા. તેઓ રામલ્લાહ વિસ્તારના ગામડાઓમાંથી આવ્યા હોવાનું મનાય છે. આ હુમલામાં તેમણે "કાર્લો" સબમશીન ગન જેવા હથિયારનો ઉપયોગ કર્યો હતો. પોલીસ અને સુરક્ષા દળોએ ત્વરિત કાર્યવાહી કરીને બંને હુમલાખોરોને ઘટનાસ્થળે જ ગોળી મારીને ઠાર કર્યા હતા.
સુરક્ષા અને રાજકીય પ્રતિક્રિયા
આ ઘટના બાદ તાત્કાલિક સુરક્ષા દળોને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા અને તપાસ શરૂ કરવામાં આવી. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ એ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે તાત્કાલિક સુરક્ષા પ્રમુખો સાથે બેઠક યોજી. આ હુમલાની દેશભરમાં ભારે નિંદા થઈ રહી છે. ઇઝરાયલના વિપક્ષી નેતા યાયર લેપિડે પણ આતંકવાદને નિષ્ફળ બનાવવાના પ્રયાસો માટે સુરક્ષા દળોને ટેકો જાહેર કર્યો. આ ઘટનાએ ફરી એકવાર ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેના તણાવને વધુ તીવ્ર બનાવ્યો છે.





















