Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Iran Israel War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે થોડી રાહત છે. ઈરાને પાંચ દેશોના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે

- ઈરાને ભારત સહિત પાંચ દેશો માટે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રાખ્યો.
- મહત્વપૂર્ણ જળમાર્ગ ફક્ત દુશ્મન દેશો માટે બંધ કરાયો છે.
- ઈરાનના મતે અમેરિકા સંઘર્ષમાં પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયું.
- ઈરાન યુદ્ધ લંબાવવા નથી માંગતું, પરંતુ પોતાની શરતો પર અંત ઇચ્છે છે.
Iran Israel War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે થોડી રાહત છે. ઈરાને પાંચ દેશોના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટતા કરી કે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ નથી. તેમણે ભારત સહિત પાંચ મિત્ર દેશોના જહાજો માટે સલામત માર્ગની પણ જાહેરાત કરી હતી.
અરાઘચીના જણાવ્યા મુજબ, ભારત, ચીન, રશિયા, ઇરાક અને પાકિસ્તાનના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. તેમણે સમજાવ્યું કે આ દેશોએ ઈરાનનો સંપર્ક કર્યો અને સલામત માર્ગની વિનંતી કરી હતી ત્યારબાદ પરવાનગી આપવામાં આવી. હોર્મુઝ સ્ટ્રેટ ફક્ત દુશ્મન દેશો માટે બંધ છે પરંતુ અન્ય લોકો માટે ખુલ્લું છે. અરાઘચીએ કહ્યું હતું કે, "આપણે યુદ્ધની સ્થિતિમાં છીએ તેથી આપણા દુશ્મનો અને તેમના સાથીઓના જહાજોને પસાર થવા દેવાનું કોઈ કારણ નથી."
તેમણે ઉમેર્યું હતું કે, "ઘણા જહાજ માલિકો અથવા જે દેશોના આ જહાજો છે તેમણે અમારો સંપર્ક કર્યો છે અને વિનંતી કરી છે કે અમે હોર્મુઝમાંથી તેમના જહાજોનો સુરક્ષિત માર્ગ સુનિશ્ચિત કરીએ." આમાંના કેટલાક દેશો માટે જેમને આપણે સાથી માનીએ છીએ અથવા જ્યાં આપણે અન્ય કારણોસર આવું કરવાનું નક્કી કર્યું છે. અમારા દળોએ સુરક્ષિત માર્ગ પૂરો પાડ્યો છે. ચીન, રશિયા, પાકિસ્તાન, ઇરાક, ભારત અને કેટલાક અન્ય દેશોના જહાજોને સુરક્ષિત માર્ગ આપવામાં આવી રહ્યો છે. આ એવા દેશો છે જેમણે અમારી સાથે વાત કરી છે અને અમારી સાથે સંકલન કર્યું છે. યુદ્ધ પછી પણ ભવિષ્યમાં આ ચાલુ રહેશે.
તેમણે કહ્યું કે અમેરિકા સાથે કોઈ ઔપચારિક વાટાઘાટો થઈ રહી નથી. તેમના મતે, મધ્યસ્થી દ્વારા સંદેશાઓની આપ-લે કરવાથી વાટાઘાટો થતી નથી. સરકારી ટેલિવિઝન સાથે વાત કરતા અરાઘચીએ સ્પષ્ટ કર્યું કે બેકચેનલ મારફતે મેસેજની આપ-લે કરવાથી ઔપચારિક રાજદ્વારી પ્રયાસો થતા નથી. સ્પષ્ટપણે કહ્યું, "અમેરિકા સાથે કોઈ વાટાઘાટો થઈ રહી નથી."
તેમણે કહ્યું કે વોશિંગ્ટન વિવિધ ચેનલો મારફતે મેસેજ મોકલી રહ્યું છે. પરંતુ તેહરાન આ ઔપચારિક વાટાઘાટોને ધ્યાનમાં લેતું નથી. તેમણે એવો પણ દાવો કર્યો કે અમેરિકા આ સંઘર્ષમાં તેના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયું છે. તેમના મતે અમેરિકા ઈરાનમાં ઝડપી વિજય પ્રાપ્ત કરવામાં અથવા શાસન પરિવર્તન લાવવામાં અસમર્થ છે. ઈરાની મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઈરાને પોતાની તાકાત દર્શાવી છે અને દુનિયાને બતાવ્યું છે કે કોઈ પણ દેશ તેની સુરક્ષાને જોખમમાં મૂકી શકે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે ઈરાન યુદ્ધને લંબાવવા માંગતું નથી પરંતુ તેનો ઉકેલ તેની પોતાની શરતો પર હોવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, "ઈરાન યુદ્ધ ઇચ્છતું નથી. તે આ સંઘર્ષનો કાયમી અંત ઇચ્છે છે."





















