Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
Iran Isreal US War: રોઈટર્સના અહેવાલ મુજબ, આ અઠવાડિયે ઈસ્લામાબાદમાં વરિષ્ઠ અમેરિકન અને ઈરાની નેતાઓ વચ્ચે સીધી વાતચીત થઈ શકે છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રાજદ્વારી ઉકેલ માટેના પ્રયાસો તેજ બન્યા છે, જેમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ સંભવિત વાટાઘાટો સ્થળ તરીકે ઉભરી રહી છે. રોઈટર્સના અહેવાલ મુજબ, આ અઠવાડિયે ઈસ્લામાબાદમાં વરિષ્ઠ અમેરિકન અને ઈરાની નેતાઓ વચ્ચે સીધી વાતચીત થઈ શકે છે.
ઈઝરાયલી અધિકારીઓએ સંકેત આપ્યો છે કે આ અઠવાડિયે ઈસ્લામાબાદમાં વરિષ્ઠ અમેરિકન અને ઈરાની પ્રતિનિધિઓ વચ્ચે ઐતિહાસિક બેઠક થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન, તુર્કી અને ઈજિપ્ત બંને દેશોને વાતચીતના ટેબલ પર લાવવા માટે પડદા પાછળ કામ કરી રહ્યા છે. એવા અહેવાલ છે કે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અમેરિકા તરફથી બેઠકમાં હાજરી આપી શકે છે. દરમિયાન, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી અને પ્રદેશમાં શાંતિ ફરીથી સ્થાપિત કરવાના પ્રયાસોમાં સહયોગની ઓફર કરી. બંને નેતાઓએ છેલ્લા મહિનામાં ઘણી વખત વાત કરી છે.
મુનીરે ટ્રમ્પ સાથે પણ વાત કરી
આ ઉપરાંત, પાકિસ્તાની આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે પણ ઈરાની રાષ્ટ્રપતિ સાથે વાત કરી હતી. ફાઈનાન્સિયલ ટાઈમ્સ અનુસાર, તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ વાતચીત કરી હતી. વધુમાં, તુર્કી, ઇજિપ્ત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાનોએ અમેરિકાના પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ અને ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી સાથે અલગ અલગ ચર્ચા કરી હતી.
અહેવાલો અનુસાર, તુર્કી, ઇજિપ્ત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાનોએ વ્હાઇટ હાઉસના રાજદૂત સ્ટીવ વિટકોફ અને ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી સાથે અલગ અલગ ચર્ચા કરી હતી. ઇઝરાયલી મીડિયા અહેવાલો એ પણ સૂચવે છે કે વિટકોફ અને જેરેડ કુશનરે ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબફ સાથે વાત કરી હતી, જે સંઘર્ષ દરમિયાન મુખ્ય નિર્ણય લેનાર તરીકે ઉભરી આવ્યા છે.
જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથે વાટાઘાટો આગળ વધી રહી છે અને અનેક મુદ્દાઓ પર કરાર થયા છે ત્યારે ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે રાજદ્વારી કાર્યને મંજૂરી આપવા માટે લશ્કરી કાર્યવાહી પાંચ દિવસ માટે રોકી દેવામાં આવી છે. દરમિયાન ઈરાને અમેરિકા સાથે કોઈપણ સીધી વાતચીતનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે છેલ્લા 24 દિવસમાં આવી કોઈ વાતચીત થઈ નથી. યુદ્ધ દરમિયાન બેકચેનલ રાજદ્વારી પ્રયાસો ઝડપી બન્યા છે. જો બેઠક ઇસ્લામાબાદમાં થાય છે તો તેને મધ્ય પૂર્વ સંકટને સમાપ્ત કરવા તરફ એક મોટું પગલું માનવામાં આવશે.























