ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવાનું ઇનામ? ટીમ ઇન્ડિયામાંથી આ લોકોને ઘરભેગા કરશે બીસીસીઆઈ
આગામી રવિવારે ભારતીય ટીમ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત થઈ શકે છે.

Team India central contract: ભારતીય ક્રિકેટ ટીમમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. ટીમ દ્વારા સતત બે ICC ટૂર્નામેન્ટ જીત્યા બાદ પણ હવે સપોર્ટ સ્ટાફમાં ઘટાડો થવાની સંભાવના છે. એક રિપોર્ટ અનુસાર, ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ, જે ચાર વર્ષથી ટીમ સાથે જોડાયેલા છે, તેમને તેમના પદ પરથી દૂર કરવામાં આવી શકે છે. આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે ટીમ ઇન્ડિયાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત પણ ટૂંક સમયમાં થવાની છે.
ગૌતમ ગંભીર અને BCCI સેક્રેટરી વચ્ચેની બેઠક બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને મંજૂરી આપવામાં આવી શકે છે. જો કે, આ દરમિયાન ટીમ ઇન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં ફેરબદલની શક્યતાઓ પણ વધી ગઈ છે. રિપોર્ટ અનુસાર, ગૌતમ ગંભીરની ટીમમાં સપોર્ટ સ્ટાફ ઘટાડવામાં આવી શકે છે. ચાર વર્ષથી ટીમ સાથે રહેલા ફિલ્ડિંગ કોચ ટી. દિલીપનું પત્તું કપાઈ શકે છે. બીજી તરફ, ગૌતમ ગંભીર, મોર્ને મોર્કેલ, રેયાન ટેન ડેસ્કાથે અને અભિષેક નાયર જેવા નવા સભ્યોના કરાર યથાવત્ રહેવાની શક્યતા છે. BCCI કેટલાક નવા સભ્યોને સામેલ કરવાની સાથે સપોર્ટ સ્ટાફને ઓછો કરવાની યોજના બનાવી રહ્યું છે.
BCCI આગામી ૩૦ માર્ચે ટીમ ઇન્ડિયાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર અંતિમ નિર્ણય લઈ શકે છે. અહેવાલો અનુસાર, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા IPL 2025ની મેચ CSK વિરુદ્ધ RR દરમિયાન મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે આ મુદ્દે ચર્ચા કરશે. સામાન્ય રીતે IPL પહેલાં કેન્દ્રીય કરારની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ આ વખતે તેમાં વિલંબ થયો છે. અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે BCCI ચેમ્પિયન્સ ટ્રોફી સમાપ્ત થવાની રાહ જોઈ રહ્યું છે જેથી કરાર પર નિર્ણય લઈ શકાય. જો કે, હકીકતમાં ટીમ ઇન્ડિયાએ તાજેતરમાં સતત બે ICC ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
દૈનિક જાગરણના અહેવાલ મુજબ, BCCI સેક્રેટરી રવિવારે ગંભીર અને અગરકર સાથે મુલાકાત કરશે અને કેન્દ્રીય કરાર અંગે ચર્ચા કરશે. આ જાહેરાતમાં વિલંબનું મુખ્ય કારણ ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ઉપલબ્ધતા ન હતી, જેઓ હાલમાં પરિવાર સાથે રજાઓ ગાળવા ફ્રાન્સ ગયા છે. જો કે, રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે BCCIના ટોચના અધિકારીના નજીકના સહયોગીએ પહેલાથી જ ટીમ મેનેજમેન્ટ અને મુખ્ય પસંદગીકાર સાથે ફોન પર કેન્દ્રીય કરાર અંગે ચર્ચા કરી લીધી છે. રિપોર્ટ્સ અનુસાર, બોર્ડ અને ટીમ મેનેજમેન્ટ હજુ પણ કોન્ટ્રાક્ટને લઈને એક જ મત પર નથી. ૩૦ માર્ચે યોજાનારી બેઠકમાં આ મુદ્દા પર અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. આ સાથે જ મોટો પ્રશ્ન એ પણ છે કે T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી હજુ પણ A+ કરારમાં રહેશે કે કેમ. ટીમ ઇન્ડિયાની સફળતા બાદ સપોર્ટ સ્ટાફમાં સંભવિત ફેરબદલ અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અંગેનો નિર્ણય ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.




















