Women's WC: ઓસ્ટ્રેલિયા સામે હાર પછી હવે સેમિફાઈનલમાં કેવી રીતે પહોંચશે ટીમ ઈન્ડિયા? આ છે સમીકરણ
ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025માં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025માં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. રવિવાર, 12 ઓક્ટોબરના રોજ વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 331 રનનો મોટો લક્ષ્યાંક રાખ્યો હતો, જે મુલાકાતી ટીમે એક ઓવર બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલિસા હીલીએ શાનદાર 142 રન બનાવ્યા અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનો આ સતત બીજો પરાજય હતો. અગાઉ, તેઓ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વિકેટથી હારી ગયા હતા. ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાયેલી દેખાય છે. ભારત હાલમાં ચાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ભારતે બે મેચ જીતી છે જ્યારે એટલી જ મેચમાં હાર મળી છે. ઓસ્ટ્રેલિયા સાત પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ઈંગ્લેન્ડ છ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકા ચોથા સ્થાને (4 પોઈન્ટ) છે અને ન્યૂઝીલેન્ડ (2 પોઈન્ટ) પાંચમા સ્થાને છે.
પોઈન્ટ ટેબલમાં ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચશે, જેના કારણે ભારત માટે જીતના માર્ગે પાછા ફરવું મહત્વપૂર્ણ બનશે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના વર્તમાન ફોર્મને જોતાં તેઓ ટોપ-ટુ ફિનિશ માટે મજબૂત દાવેદાર છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બંનેએ અત્યાર સુધી એક પણ મેચ હાર્યા નથી. સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતને હવે બાકીની ત્રણ મેચમાંથી ઓછામાં ઓછી બે જીતવાની જરૂર પડશે.
જો ભારત તેની ત્રણેય મેચ જીતી જાય તો તેના 10 પોઈન્ટ થશે, જે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરશે.
ભારત બે મેચ જીતશે: જો ભારત ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને હરાવે છે તો સેમિફાઇનલમાં પહોંચવાની તેની તકો મજબૂત બનશે. જો ભારત ઇંગ્લેન્ડ સામે હારી જાય તો ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશને હરાવવું જરૂરી બનશે. સાત મેચના લીગ ફોર્મેટમાં 8 પોઈન્ટ ધરાવતી ટીમો સામાન્ય રીતે સેમિફાઇનલમાં પહોંચે છે. જો ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે હારી જાય પણ ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશને હરાવે તો તેણે આશા રાખવી પડશે કે ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અથવા શ્રીલંકામાંથી કોઈ એક સામે હારી જશે.
ભારત ફક્ત એક મેચ જીતે: જો ભારતીય ટીમ હવે ફક્ત એક મેચ જીતે તો સેમિફાઇનલમાં પહોંચવાની તેની આશા લગભગ ખતમ થઈ જશે. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા બંને ભારતને પાછળ છોડી શકે છે.
ભારતીય ટીમની બાકીની મેચો
ઇંગ્લેન્ડ સામે, 19 ઓક્ટોબર, ઇન્દોર
ન્યૂઝીલેન્ડ સામે, 23 ઓક્ટોબર, નવી મુંબઈ
બાંગ્લાદેશ સામે, 26 ઓક્ટોબર, નવી મુંબઈ



















