IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ગુવાહાટી ટેસ્ટમાં તૂટશે પરંપરા, લંચ અગાઉ લેવામાં આવશે ટી-બ્રેક
IND vs SA: આ કદાચ પહેલી વાર છે જ્યારે એક દિવસીય ટેસ્ટમાં ચાનો વિરામ અને પછી લંચ બ્રેક હશે. આનો અર્થ એ છે કે લાંબા સમયથી ચાલતી પરંપરા તૂટવાની તૈયારીમાં છે.

IND vs SA: કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામે 30 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમને જીતવા માટે 124 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, પરંતુ શુભમન ગિલ બ્રિગેડ ફક્ત 93 રન સુધી જ સિમિત રહી હતી. દક્ષિણ આફ્રિકાએ 15 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ મેચ જીતી હતી. આ જીતથી દક્ષિણ આફ્રિકાની ટીમને ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મળી હતી. હવે ભારતીય ટીમે સીરિઝ બરાબર કરવા માટે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે.
A thrilled Shukri Conrad praised South Africa’s gritty comeback in the first Test against India 🤩💪#WTC27 | #INDvSA 👉 https://t.co/TMhvHzuvPl pic.twitter.com/QYrvGCkJoS
— ICC (@ICC) November 17, 2025
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ 22 નવેમ્બર, શનિવારના રોજ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી છે. આ મેચનો સમય બદલાશે. કોલકાતા ટેસ્ટ મેચ ભારતીય સમય મુજબ સવારે 9:30 વાગ્યે શરૂ થશે, પરંતુ આ મેચનો પ્રારંભ સમય ભારતીય સમય મુજબ સવારે 9:00 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે. ભારતમાં ટેસ્ટ મેચ સામાન્ય રીતે સવારે 9:30 વાગ્યે શરૂ થાય છે પરંતુ ઉત્તરપૂર્વ ભારતમાં વહેલા સૂર્યોદય અને સૂર્યાસ્તને કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સમયમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે.
22 નવેમ્બરના રોજ ગુવાહાટીમાં સવારે 8:30 વાગ્યે ટોસ થશે અને પ્રથમ બોલ સવારે 9 વાગ્યે ફેંકવામાં આવશે. પાંચેય દિવસનો પહેલો સત્ર સવારે 9 થી 11 વાગ્યા સુધીનો રહેશે, ત્યારબાદ 20 મિનિટનો ચાનો વિરામ હશે. બીજો સત્ર સવારે 11:20 થી 1:20 વાગ્યા સુધીનો રહેશે. બીજા સત્રના અંત પછી 40 મિનિટનો લંચ બ્રેક નક્કી કરવામાં આવ્યો છે. અંતિમ સત્ર બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો રહેશે. જો નિર્ધારિત સમયમાં સંપૂર્ણ ઓવર પૂર્ણ ન થાય તો મેચ અડધો કલાક લંબાવવામાં આવશે. આનો અર્થ એ છે કે મેચ સાંજે 4:30 વાગ્યા સુધી ચાલી શકે છે.
BCCI એ આ મુદ્દા પર શું કહ્યું?
આ કદાચ પહેલી વાર છે જ્યારે એક દિવસીય ટેસ્ટમાં ચાનો વિરામ અને પછી લંચ બ્રેક હશે. આનો અર્થ એ છે કે લાંબા સમયથી ચાલતી પરંપરા તૂટવાની તૈયારીમાં છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ ઈએસપીએન ક્રિકઈન્ફ્રોને જણાવ્યું હતું કે, "આ એક વ્યવહારુ નિર્ણય છે. શિયાળા દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત ખૂબ વહેલા થાય છે. સાંજે 4 વાગ્યા સુધીમાં પ્રકાશ ખૂબ જ ઓછો થઈ જાય છે અને તે પછી વધુ રમત શક્ય નથી. તેથી જ અમે આ ટેસ્ટ મેચ વહેલી શરૂ કરવાનો નિર્ણય લીધો, જે સવારે 9 વાગ્યે શરૂ થશે."
કોલકાતા ટેસ્ટમાં ઓફ-સ્પિનર સાઈમન હાર્મરે દક્ષિણ આફ્રિકાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે કુલ આઠ વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 159 રન બનાવ્યા હતા. ભારત માટે જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ લીધી હતી. ત્યારબાદ ભારતનો પ્રથમ ઇનિંગ 189 રન સુધી મર્યાદિત રહ્યો હતો, જેના કારણે તેમને ફક્ત 30 રનની લીડ મળી હતી.



















