Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો. NCTEની માન્યતા ન હોવા છતાં જૂનાગઢ યુનિવર્સિટીને અંધારામાં રાખી B.Edનો અભ્યાસક્રમ ચલાવાતો હતો. સમગ્ર મામલે યુનિવર્સિટીના રજિસ્ટ્રારે પોલીસ ફરિયાદ નોંધાવી. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દિલ્હીની માન્યતા ન હોવા છતાં, સંસ્થાના ખોટા લેટરપેડ, બનાવટી સહીઓ અને સિક્કાઓનો ઉપયોગ કરી યુનિવર્સિટીને અંધારામાં રાખી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા. ઉનાના ભાચા ગામે આવેલી બી.એમ. નાંદોલા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોલા બી.એડ. કોલેજના સંચાલકો અને તત્કાલીન પ્રિન્સિપાલ વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર આરોપીઓએ વર્ષ 2023માં NCTEના રીજીયોનલ ડાયરેક્ટર ડૉ. મિતુ ભારતીની ખોટી સહી અને સિક્કા કરી એક બનાવટી માન્યતા પત્ર તૈયાર કર્યો હતો. નકલી દસ્તાવેજને સાચા તરીકે ખપાવી યુનિવર્સિટીમાં રજૂ કરવામાં આવ્યા.. સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે RTI એક્ટિવિસ્ટ દ્વારા કોલેજની માન્યતા અંગે શંકા વ્યક્ત કરી માહિતી માંગવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, જે લેટરના આધારે કોલેજ ચાલી રહી હતી તે ખરેખર NCTE દ્વારા ક્યારેય ઇશ્યૂ કરવામાં આવ્યો જ ન હતો. જ્યારે યુનિવર્સિટી દ્વારા વેરિફિકેશન માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે આરોપીઓએ અન્ય અજાણ્યા શખ્સોની મદદ લઈ NCTEના નામે વેરિફિકેશનનો પણ ખોટો પ્રત્યુત્તર લેટર મોકલાવી તપાસને ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો. સતત બે વર્ષ સુધી આ રીતે છેતરપિંડી આચરી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા રહ્યા અને તેમનું શૈક્ષણિક વર્ષ જોખમમાં મૂકાયું હતું.





















