કોર્ટે કહ્યું કે જો પત્ની આર્થિક રીતે આત્મનિર્ભર હોય અને પતિ કરતાં વધુ કમાતી હોય, તો તે માત્ર મહિલા હોવાના કારણે ભરણપોષણનો દાવો કરી શકતી નથી, ખાસ કરીને જ્યારે તેના પર કોઈ જવાબદારી ન હોય.
Court: 'પત્નીની કમાણી પતિ કરતા વધુ તો ભરણપોષણ નહીં', કોર્ટનો મોટો નિર્ણય
કર્ણાટક હાઈકોર્ટે (Karnataka High Court) વૈવાહિક વિવાદોમાં ભરણપોષણ ભથ્થાના નિર્ધારણ અંગે એક મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ કાનૂની નિર્ણય આપ્યો છે.

- કર્ણાટક હાઈકોર્ટે આત્મનિર્ભર પત્ની ભરણપોષણનો દાવો ન કરી શકે.
- વધુ કમાતી પત્નીને ₹20,000 ભરણપોષણનો નીચલી કોર્ટ આદેશ રદ.
- ભરણપોષણ ફક્ત આર્થિક રીતે નબળી પત્નીને જ અપાય: કોર્ટ.
કર્ણાટક હાઈકોર્ટે (Karnataka High Court) વૈવાહિક વિવાદોમાં ભરણપોષણ ભથ્થાના નિર્ધારણ અંગે એક મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ કાનૂની નિર્ણય આપ્યો છે. એક કેસની સુનાવણી કરતા કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો કોઈ પત્ની આર્થિક રીતે આત્મનિર્ભર છે અને પોતાના પતિ કરતાં વધુ કમાણી કરી રહી છે તો તે ફક્ત એક મહિલા હોવાના કારણે તે પતિ પાસેથી ભરણપોષણનો દાવો કરી શકતી નથી, ખાસ કરીને ત્યારે જ્યારે તેના પર બાળકો કે પરિવારની કોઈ અન્ય આર્થિક જવાબદારી નથી.
હાઈકોર્ટના સિંગલ બેન્ચના જસ્ટિસ ડૉ. ચિલાકુર સુમાલતાએ નીચલી કોર્ટના આદેશને સંપૂર્ણપણે રદ કર્યો જેમાં ઓછો પગાર ધરાવતા પતિને તેના કરતા વધુ પગાર ધરાવતી પત્નીને દર મહિને ₹20,000નું વચગાળાનું ભરણપોષણ ભથ્થું ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર ઘટના?
કોર્ટના દસ્તાવેજો અનુસાર, અરજદાર પતિ અને ફરિયાદી પત્નીના લગ્ન 2024 માં થયા હતા. લગ્નના થોડા સમય પછી તેમનામાં વૈચારિક મતભેદો થયા અને તેઓ અલગ રહેવા લાગ્યા. ત્યારબાદ પત્નીએ ઘરેલું હિંસાથી મહિલાઓના રક્ષણ અધિનિયમ, 2005 (DV એક્ટ) હેઠળ કોર્ટનો સંપર્ક કર્યો અને મુખ્ય અરજી ઉપરાંત દર મહિને ₹1,13,515 ના વચગાળાના ભરણપોષણની માંગણી કરવામાં આવી. પ્રારંભિક સુનાવણી પછી મેજિસ્ટ્રેટ કોર્ટે (નીચલી કોર્ટ) પતિને વચગાળાના ભરણપોષણ તરીકે દર મહિને ₹20,000 ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પતિએ રિટ અરજી મારફતે નીચલી કોર્ટના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
Financially Independent Wife Earning More Than Husband Can't Claim #Maintenance Merely Because She Is A Woman: Karnataka High Courthttps://t.co/9fUjRuFStx
— Live Law (@LiveLawIndia) June 29, 2026
કર્ણાટક હાઇકોર્ટનો મુખ્ય નિર્ણય
પુરાવા વિનાના નાણાકીય દાવાઓને કોર્ટે ફગાવી દીધા
હાઇકોર્ટ સમક્ષ સુનાવણી દરમિયાન પત્નીએ દલીલ કરી હતી કે તે તેના માતાપિતાની એકમાત્ર સંતાન છે અને તેના લગ્ન ખર્ચને પહોંચી વળવા માટે તેણે નોંધપાત્ર દેવું લીધું હતું. તેણીએ દાવો કર્યો હતો કે તેના પર EMI ચૂકવવાની જવાબદારી છે અને તેથી તેને તેના પતિ પાસેથી નાણાકીય સહાયની જરૂર છે. જોકે, કેસની નજીકથી તપાસ કર્યા પછી ન્યાયાધીશ ચિલાકુર સુમાલતાએ શોધી કાઢ્યું કે કોર્ટમાં પત્નીએ દેવું, બેન્ક લોન અથવા EMI સંબંધિત કોઈ નોંધપાત્ર દસ્તાવેજો અથવા પુરાવા રજૂ કર્યા નથી. તેનાથી વિપરીત પત્ની દ્ધારા દાખલ કરાયેલા નાણાકીય સોગંદનામાથી સાબિત થાય છે કે તેની વર્તમાન માસિક આવક તેના પતિ કરતા ઘણી વધારે છે.
ફક્ત કાયદાનો ઉલ્લેખ કરીને ભરણપોષણ મેળવી શકાતું નથી.
હાઈકોર્ટે ભાર મૂક્યો હતો કે ભરણપોષણનો અધિકાર ફક્ત એવી પરિસ્થિતિઓમાં જ લાગુ પડે છે જ્યાં પત્ની ખરેખર આર્થિક રીતે નબળી હોય અને પોતાનું ગુજરાન ચલાવવામાં અસમર્થ હોય. કોર્ટે તેના આદેશમાં લખ્યું હતું કે "માત્ર કારણ કે કોઈ સ્ત્રી અથવા પત્ની ઘરેલુ હિંસા અધિનિયમ, હિન્દુ દત્તક અને ભરણપોષણ અધિનિયમ (HAMA), અથવા ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC) ની જોગવાઈઓનો ઉલ્લેખ કરીને અરજી દાખલ કરે છે, તેથી કોર્ટ પતિને ભરણપોષણ આપવાનો આદેશ આપી શકતી નથી. ભરણપોષણનો સાચો હેતુ એવા જીવનસાથીને નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે જેની પાસે આજીવિકાનું કોઈ સાધન નથી, બે કમાણી કરતા લોકો વચ્ચેબળજબરીથી આવક સંતુલિત કરવાનો નથી."
હાઇકોર્ટે બંને પક્ષોની વાસ્તવિક આવકની સરખામણી કરતા જણાવ્યું હતું કે રેકોર્ડ મુજબ પત્નીની સ્વીકૃત માસિક આવક ₹100,000 છે (જ્યારે કેટલાક મહિનાના TDS રેકોર્ડમાં તેની આવક ₹1.64 લાખ જેટલી ઊંચી દર્શાવે છે). બીજી બાજુ, ખાનગી કંપનીમાં કામ કરતા પતિની કુલ માસિક આવક માત્ર ₹60,646 છે.
કોર્ટે જણાવ્યું હતું કે ₹100,000 ની તેની નિશ્ચિત આવક સાથે, પત્ની સરળતાથી અને આદરપૂર્વક પોતાનું ગુજરાન ચલાવી શકે છે. તેથી પતિને તેની મર્યાદિત આવકમાંથી ₹20,000 દર મહિને ચૂકવવાનો નિર્દેશ આપતો નીચલી અદાલતનો આદેશ સંપૂર્ણપણે ગેરવાજબી અને કાયદેસર રીતે ખામીયુક્ત હતો. આ આધારે હાઇકોર્ટે 19 ડિસેમ્બર, 2025ના નીચલી અદાલતના આદેશને રદ કર્યો. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ અવલોકનો ફક્ત આ વચગાળાના આદેશ માટે હતા અને મુખ્ય લગ્ન કેસમાં અંતિમ નિર્ણયને અસર કરશે નહીં.
Frequently Asked Questions
કર્ણાટક હાઈકોર્ટનો વૈવાહિક ભરણપોષણ અંગેનો મુખ્ય નિર્ણય શું છે?
નીચલી કોર્ટનો કયો આદેશ હાઈકોર્ટે રદ કર્યો?
નીચલી કોર્ટે ઓછો પગાર ધરાવતા પતિને વધુ પગાર ધરાવતી પત્નીને દર મહિને ₹20,000 વચગાળાનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જે હાઈકોર્ટે રદ કર્યો.
હાઈકોર્ટના મતે ભરણપોષણનો સાચો હેતુ શું છે?
ભરણપોષણનો હેતુ એવા જીવનસાથીને નાણાકીય સુરક્ષા આપવાનો છે જેની પાસે આજીવિકાનું કોઈ સાધન નથી, નહિ કે બે કમાણી કરતા લોકો વચ્ચે આવક સંતુલિત કરવાનો.






















