![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી, જાણો કઈ તારીખથી રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
વરસાદ ખેંચાતા રાજ્યના ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે રાજ્યના અડધો અડધ ડેમો ખાલીખમ પડયા છે.
![ગુજરાતમાં 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી, જાણો કઈ તારીખથી રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી 5 days normal rainfall forecast in Gujarat, find out the date from which the meteorological department has forecast heavy rains in the state ગુજરાતમાં 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી, જાણો કઈ તારીખથી રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/08/15164c704824798f88b8e18a4c69f6b3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો છે ચિંતાતૂર બન્યા છે. ત્યારે તેમના માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 17 ઓગસ્ટ બાદ ગુજરાતમાં ફરી મેઘરાજાની પધરામણી થશે. હવામાન વિભાગના અનુસાર 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થશે. જે તબક્કાવાર ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે. જો કે, 17 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. છૂટોછવાયો વરસાદ વરસતો રહેશે. હવામાન વિભાગના મતે હાલ ગુજરાતમાં ચાલી રહ્યો છે ચોમાસાનો સૂકો ગાળો. પાંચેક દિવસ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળશે.
રાજ્યમાં વરસાદની ઘટ
વરસાદ ખેંચાતા સૌની ચિંતા વધી છે. રાજ્યમાં અત્યાર સુધી 36.39% વરસાદ થયો છે. ગયા વર્ષે 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં 58% વરસાદ થયો હતો. જેની સરખામણીએ 22% ઓછો વરસાદ છે. અત્યાર સુધી રાજ્યમાં 19 ઇંચ વરસાદ થવો જોઈતો હતો જેને બદલે માત્ર 10 ઇંચ થયો. જે 46 ટકાની ઘટ દર્શાવે છે. તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે.
15 જિલ્લાઓમાં 50%થી પણ વધારે વરસાદની ઘટ છે. રાજ્યના બે તાલુકાઓ લાખણી અને થરાદમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ છે. 25 તાલુકાઓમાં 5 ઇંચથી ઓછો વરસાદ છે. માત્ર 4 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ નોંધાયો. જેમાં નવસારીમાં ખેરગામ, વલસાડમાં ધરમપુર, કપરાડા અને વાપી તાલુકાઓ છે. ગાંધીનગરમાં 64%, અરવલ્લીમાં 63%, સુરેન્દ્રનગરમાં 59%, તાપીમાં સરેરાશથી 56%, દાહોદ અને ગીર સોમનાથ જિલ્લામાં 55% વરસાદની ઘટ છે.આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ થાય એવા કોઇ એંધાણ નથી.
રાજ્યમાં ડેમોમાં પાણીની સ્થિતિ
વરસાદ ખેંચાતા રાજ્યના ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે રાજ્યના અડધો અડધ ડેમો ખાલીખમ પડયા છે. જો આ જ સ્થિતિ રહી તો રાજ્યમાં પાણીનું સંકટ સર્જાઇ શકે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં અત્યારથી પાણીને સમસ્યા ઉઠી છે. રાજ્યમાં નાના મોટા 206 ડેમો પૈકી માત્ર પાંચ ડેમો જ સંપૂર્ણપણે છલકાયા છે. અમરેલીનો ધારવડી ડેમ, સુરજવાડી ડેમ, જામનગરનો ફુલઝર-1 ડેમ, દેવભૂમિ દ્વારકાનો કાબરકા ડેમ અને તાપીનો ડોસવાડા ડેમ સો ટકા ભરાઇ ચૂક્યો છે. તો 80 ડેમોમાં આજેય 20 ટકા કરતાંય ઓછુ પાણી છે. 49 ડેમો એવા છે જેમાં 10 કરતાં ઓછુ પાણી રહ્યુ છે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમાં 46.63 ટકા પાણી બચ્યુ છે. ઉપરવાસમાં હજુ ભારે વરસાદ થયો નથી જેના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક થઇ નથી. હાલ દક્ષિણ ગુજરાતના ડેમોમાં સૌથી વધુ 57.98 ટકા પાણીનો જથ્થો છે. બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં 24. 42 ટકા અને કચ્છમાં 22.88 ટકા પાણી જ ડેમો રહ્યુ છે. વરસાદે ખેંચાતા હવે તો ઉત્તર ગુજરાતમાં તો અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની માંગો ઉઠી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)