તેમને નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં વન વિભાગના કર્મચારી પર થયેલા હુમલાના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. તેમને 7 વર્ષની સજા અને 96,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ચૈતર વસાવાને 7 વર્ષની જેલ! હવે ધારાસભ્ય પદ રહેશે કે જશે? જાણો મોટો નિયમ
વનકર્મી પર હુમલા અને ધમકી કેસમાં ચૈતર વસાવા, તેમના પત્ની સહિત 9 આરોપીઓને દોષિત જાહેર કરી કોર્ટે 7 વર્ષની સજા ફટકારી; હવે 2 વર્ષથી વધુની સજાના નિયમ હેઠળ વસાવાનું ધારાસભ્ય પદ રદ થવાની પૂરી શક્યતા.

- રાજપીપળા કોર્ટે AAP ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9ને 7 વર્ષની સજા.
- વનકર્મી પર હુમલા કેસમાં 96,000 રૂપિયાનો દંડ પણ ફટકારાયો.
- બે વર્ષથી વધુ સજા થતાં ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં.
- વસાવા હાઈકોર્ટમાં અપીલ કરી પોતાનું પદ બચાવી શકે.
Chaitar Vasava 7 years jail: નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં વન વિભાગના કર્મચારી પર થયેલા હુમલાના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે આજે એક મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલાબેન સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં દોષિત ઠેરવ્યા છે. તમામ 9 આરોપીઓને 7 વર્ષની આકરી સજા અને 96,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ચુકાદા બાદ ચૈતર વસાવાને હવે જેલ જવું પડશે. આ કેસનો સૌથી મોટો ઝટકો એ છે કે, કાયદા મુજબ જો કોઈ ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેનું સભ્યપદ રદ થઈ જાય છે, એટલે ચૈતર વસાવા પર પણ હવે પોતાનું ધારાસભ્ય પદ ગુમાવવાનું સંકટ તોળાઈ રહ્યું છે.
આ સમગ્ર મામલો નવેમ્બર 2023માં નોંધાયેલી એક પોલીસ ફરિયાદ સાથે જોડાયેલો છે. આરોપ હતો કે ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને કોઈ વાતચીત કરવા માટે પોતાના ઘરે બોલાવ્યા હતા અને ત્યાં તેમની સાથે મારામારી કરી હતી. માત્ર એટલું જ નહીં, સરકારી ફરજમાં અડચણ ઊભી કરીને હવામાં ફાયરિંગ કર્યું હતું અને વનકર્મીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના પછી ચૈતર વસાવા પોલીસ પકડથી બચવા 1 મહિનો અને 9 દિવસ સુધી ફરાર રહ્યા હતા અને છેવટે પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. આ કેસમાં લાંબી કાનૂની કાર્યવાહી બાદ સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે કોર્ટે તમામ 9 લોકોને દોષિત જાહેર કરી સજાનો હુકમ કર્યો છે.
હવે સવાલ એ થાય છે કે ચૈતર વસાવાના ધારાસભ્ય પદનું શું થશે? ભારતીય બંધારણ અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમના નિયમ મુજબ, જો દેશના કોઈ પણ સાંસદ કે ધારાસભ્યને 2 વર્ષ કે તેનાથી વધુની જેલની સજા ફટકારવામાં આવે તો તેમનું સભ્ય પદ તાત્કાલિક અસરથી રદ થઈ જાય છે. અગાઉ પણ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના MLA ભગા બારડને 2 વર્ષની સજા થતા તેમનું સભ્યપદ રદ કરી દેવાયું હતું. જોકે, બાદમાં તેમને હાઈકોર્ટમાંથી સ્ટે મળી જતા પદ પરત મળ્યું હતું. ચૈતર વસાવાને તો પૂરા 7 વર્ષની સજા થઈ છે, જેથી વિધાનસભાના નિયમ મુજબ સજાના એલાન બાદ હવે ટૂંક સમયમાં તેમનું ધારાસભ્ય પદ રદ થવા અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
આ પણ વાંચોઃ ભરૂચમાં ચૈતર વસાવા અને મૃતકના સંબંધીઓ વચ્ચે મારામારી: સામસામે થપ્પડ માર્યાના આક્ષેપથી વિવાદ
આ કાનૂની સંકટમાંથી બહાર આવવા માટે હવે ચૈતર વસાવા પાસે એક જ રસ્તો બચ્યો છે. તેઓ રાજપીપળા સેશન્સ કોર્ટના આ ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. જો તેઓ જામીન માટે અરજી કરે અને હાઈકોર્ટમાંથી તેમને સજા પર સ્ટે મળી જાય, તો તેઓ પોતાનું ધારાસભ્ય પદ બચાવી શકે છે. જોકે, હાલ પૂરતી તેમની અને તેમના પરિવારની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.
આ પણ વાંચોઃ AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
Frequently Asked Questions
ધારાસભ્ય ચૈતર વસાવાને કયા કેસમાં સજા થઈ છે?
ચૈતર વસાવાના ધારાસભ્ય પદનું શું થશે?
કાયદા મુજબ, 2 વર્ષ કે તેથી વધુની સજા થતા ધારાસભ્યનું સભ્યપદ રદ થાય છે. 7 વર્ષની સજા હોવાથી તેમનું ધારાસભ્ય પદ ટૂંક સમયમાં રદ થવાની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
ચૈતર વસાવા પાસે આ ચુકાદા સામે કયો કાનૂની વિકલ્પ ઉપલબ્ધ છે?
તેઓ રાજપીપળા સેશન્સ કોર્ટના ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. જો હાઈકોર્ટમાંથી સજા પર સ્ટે મળે તો તેઓ ધારાસભ્ય પદ બચાવી શકે છે.






















