ગુજરાત ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફારના એંધાણ: લાભપાંચમ બાદ નિમણૂકોનો દોર થશે શરૂ, જયેશ રાદડિયાને પણ...
સાંસદ ધવલ પટેલ, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ મહામંત્રી બની શકે છે; પ્રદીપસિંહ વાઘેલા અને હિતેન્દ્ર પટેલને પણ મહત્ત્વનો હોદ્દો મળવાની શક્યતા; જયેશ રાદડિયા-ભરત બોઘરાને સંગઠનમાં મહત્ત્વનું સ્થાન મળી શકે છે.

Gujarat BJP reshuffle: ગુજરાત ભાજપના સંગઠન માળખામાં મોટા ફેરફારો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી લાભપાંચમ બાદ પ્રદેશના માળખામાં નિમણૂકોનો દોર શરૂ કરવામાં આવશે અને આ વખતે સંગઠનમાં ધરખમ ફેરફારો જોવા મળી શકે છે.
પ્રદેશ માળખાની હાલ ચાલી રહેલી તૈયારીઓ અને સમીકરણોને ધ્યાનમાં લેતા, અનેક દિગ્ગજ નેતાઓને મહત્ત્વના હોદ્દાઓ સોંપાય તેવી શક્યતા છે. સંભવિત નામોમાં, સાંસદ ધવલ પટેલ અને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટને મહામંત્રી બનાવવામાં આવી શકે છે.
આ ઉપરાંત, પ્રદીપસિંહ વાઘેલા અને હિતેન્દ્ર પટેલને મહામંત્રી અથવા ઉપાધ્યક્ષ જેવા મહત્ત્વના હોદ્દા પર સ્થાન મળી શકે છે. યુવા નેતાઓમાં ધવલ દવે અને ઋત્વિક પટેલને પણ ગુજરાત ભાજપના સંગઠનમાં મહત્ત્વનું સ્થાન આપવાનું લગભગ નક્કી હોવાનું જણાઈ રહ્યું છે.
સંગઠનમાં અનુભવી ચહેરા તરીકે જયેશ રાદડિયા અને ભરત બોઘરાને પણ મહત્ત્વના હોદ્દાઓ પર મૂકવામાં આવી શકે છે. નવા માળખામાં યુવાનો અને અનુભવી નેતાઓનું યોગ્ય સંતુલન જાળવવાનો પ્રયાસ થઈ શકે છે.
મંત્રીમંડળના ફેરફાર બાદ જિલ્લા પ્રભારીઓ બદલવાની નવી કવાયત
ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં તાજેતરમાં થયેલા મોટા ફેરફારને કારણે, હવે 20 જિલ્લાઓના પ્રભારી મંત્રીઓ બદલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં કરવામાં આવેલા મોટા ફેરફાર બાદ, હવે રાજ્યના વહીવટને સુવ્યવસ્થિત કરવા માટે જિલ્લા પ્રભારી મંત્રીઓના મામલે પણ નવી કવાયત શરૂ કરવામાં આવી છે. અગાઉના 16 મંત્રીઓમાંથી 10 જૂના મંત્રીઓને નવા મંત્રીમંડળમાં ફરી સમાવવામાં આવ્યા નથી, જેના કારણે તેમના હસ્તકના 20 જિલ્લાઓમાં નવેસરથી પ્રભારી મંત્રીઓની નિમણૂક કરવી પડશે.
નવા મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યામાં વધારો થતાં, પ્રભારી મંત્રીઓની વહેંચણીની નીતિમાં પણ ફેરફાર કરવામાં આવશે. હવે સંભવતઃ માત્ર 8 મંત્રીઓને જ બે જિલ્લાનો પ્રભાર સોંપાઈ શકે છે. આ નીતિનો હેતુ એ છે કે જે મંત્રીઓ પાસે વધુ અને મહત્ત્વના વિભાગોની જવાબદારી છે, તેમને માત્ર એક-એક જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવે જેથી વહીવટી કાર્યભાર સંતુલિત રહે અને જિલ્લાઓના વિકાસ કાર્યો પર વધુ ધ્યાન આપી શકાય.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના પ્રભારીઓમાં પરિવર્તન સંભવ
પ્રભારી મંત્રીઓની ફાળવણીમાં થનારા આ બદલાવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ના જિલ્લા પ્રભારમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. અગાઉ તેઓ વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી હતા, પરંતુ હવે તેમને સંભવિતપણે માત્ર ગાંધીનગર એક જ જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવી શકે છે.
મંત્રીમંડળમાંથી પડતાં મુકાયેલા પૂર્વ મંત્રીઓના સ્થાને કુલ 20 જિલ્લામાં નવા પ્રભારી મંત્રીઓ નિયુક્ત થશે. આ જિલ્લાઓમાં અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, ભરૂચ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, ડાંગ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પાટણ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને વલસાડ નો સમાવેશ થાય છે.




















