Morbi Cable Bridge Collapses Live: મોરબી સિવિલમાં મૃત્યુઆંક 80 પર પહોચ્યો, મોતનો આંકડો વધી શકે છે
Morbi Cable Bridge Collapses: મોરબીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અરેરાટી મચી ગઈ છે. સ્થાનિક ભાજપ નેતાએ જણાવ્યું કે, 60 લોકોના મોત થયા હોવાનો અંદાજ છે.
LIVE
Background
Morbi Cable Bridge Collapses: મોરબીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અરેરાટી મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે જ્યારે આ દૂર્ઘટના ઘટી ત્યારે 300 જેટલા લોકો આ પુર પર સવાર હતા. બ્રીજ તૂટ્યા બાદ સેંકડો લોકો નદીમાં ખાબક્યા છે. તમને જણાવી દઈએ કે,નવા વર્ષના દિવસે પુલ શરૂ થયો હતો. હાલમાં બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક ભાજપ નેતા કાંતિ અમૃતિયાએ જણાવ્યું કે, આ અકસ્માતમાં 60 લોકોના મોત થયા હોવાનો અંદાજ છે.
દૂર્ઘટના અંગે વાત કરતા પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, જે સમયે આ દૂર્ઘટના ઘટી તે સમયે પુલ પર અનેક મહિલાઓ અને બાળકો પણ હતી. અંદાજીત 100 લોકો નદીમાં ખાબક્યા હોવાની આશંકા છે. હાલમાં એક બાદ એક એમ્બ્યૂલન્સ ઘટના સ્થળે પહોંચી રહી છે. હજૂ તો નવા વર્ષના દિવસે જ આ પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે વાયરો પર લટક્યા હતા.
સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું
મોરબીની આ દૂર્ઘટના પર સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.
પીએમ મોદીએ શું કહ્યું?
આ સમગ્ર ઘટના મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલાય તરફથી ટ્વીટ કરીને આપવામાં આવેલી જાણકારી મુજબ, પ્રધાનમંત્રી મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સંબંધીત અધિકારીઓ સાથે વાતચીત કરીને તમામ ટીમોને તાત્કાલીક રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે કહ્યું છે. મોરબીમાં થયેલી આ દુર્ઘટનાની સ્થિતિનું સતત નિરીક્ષણ કરવા માટે અને અસરગ્રસ્ત થયેલા લોકોને તમામ મદદ કરવા માટે પણ પીએમ મોદીએ સુચના આપી છે.
જગદીશ ઠાકોરે પણ ટ્વીટ કર્યુંઃ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ટ્વીટ કરીને મોરબી બ્રીજ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, મોરબીમાં ખુલ્લા મુકાયેલા ઝૂલતા પુલના તૂટી પડવાના સમાચાર સાંભળી આઘાત લાગ્યો. 400થી વધુ લોકો ઘટનાનો ભોગ બન્યા મોરબી અને આજુબાજુના વિસ્તારના સૌ કોંગ્રેસના કાર્યકર અને આગેવાનોને નમ્ર વિનંતી કે તેઓ જલ્દીથી રાહત કાર્યમાં જોડાય લોકોની મદદ કરે. ઘટનામાં મૃતકોના પરિવારો માટે મારી સંવેદનાઓ.
પોલેન્ડના વિદેશ મંત્રીએ શોક વ્યક્ત કર્યો.
પોલેન્ડના વિદેશ મંત્રીએ મોરબી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
30 ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ મોરબી રવાના
મોરબી ઝુલતા પુલની દુર્ઘટના સંદર્ભે બચાવ રાહત કાર્ય માટે ભુજ અને જામનગરના ૬૦ તથા નેવીના ૫૦ જવાનો, ૩૩ એમ્બ્યુલન્સ, ૭ ફાયર એન્જિન તથા રાજકોટ મેડિકલ કોલેજ અને જિલ્લા ગ્રામ્ય વિસ્તારના ૩૦ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ રવાના થયો છે. આજરોજ સર્જાયેલી મોરબી ઝુલતા પુલની દુર્ઘટના સંદર્ભે ઘાયલ થયેલા નાગરિકોની બચાવ- રાહત કામગીરીના હેતુસર ગરુડ સ્પેશિયલ ફોર્સ યુનિટ, જામનગરના કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ચંદ્રશેખર તથા ભુજના ગરુડ સ્પેશિયલ ફોર્સ યુનિટના કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ભાવેશ દુબે કુલ ૬૦ જવાનોના સ્ટાફ સાથે રાજકોટ ખાતે ઘાયલોની મદદ કરવા ઘટના સ્થળે જવા રવાના થઈ ચૂક્યા છે.
જામનગર નેવીના કેપ્ટન શ્રીકાંત ૫૦ માણસો અને બચાવ સાધનો સાથે મોરબી જવા રવાના થઈ ચૂક્યા છે. તદુપરાંત, રાજકોટ મેડિકલ કોલેજ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારના 30થી વધુ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ કોઈપણ પ્રકારની તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સેવા આપવા પહોંચી ગયા છે. ૩૩ એમ્બ્યુલન્સ, ૭ ફાયર એન્જિન ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક યુદ્ધના ધોરણે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે, તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.
કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા મોકૂફ
મોરબી દુર્ઘટનાના પગલે આવતીકાલે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. 31ના બદલે હવે 1લી તારીખથી પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ થશે. અશોક ગેહલોત અને દિગવિજય સિંહ સહિતના નેતા કાલે મોરબી જશે.
સીએમ ભુપેન્દ્ર પટેલ મોરબી પહોંચ્યા
સીએમ ભુપેન્દ્ર પટેલ મોરબી પહોંચ્યા છે અને ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે.
5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મોરબી સસ્પેન્શન બ્રિજની ઘટનાની તપાસ માટે 5 સભ્યોની સમિતિની રચના કરી છે.
1. સંદીપ વસાવા (સેક્રેટરી આર એન્ડ બી)
2. રાજકુમાર બેનીવાલ, IAS
3. સુભાષ ત્રિવેદી, IPS
4. કે એમ પટેલ (મુખ્ય ઈજનેર)
5. ડૉ. ગોપાલ ટાંક