ગુજરાતમાં ગુનેગારોની ખેર નહીં: રાજ્યમાં નવા ત્રણ કાયદા લાગુ કરવાની તૈયારી
30 એપ્રિલ સુધીમાં તમામ કમિશનરેટમાં અમલીકરણ પૂર્ણ કરવા શાહની તાકીદ, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા નિયમિત સમીક્ષાના નિર્દેશ

Gujarat criminal laws: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના ગુજરાતમાં અમલીકરણ અંગેની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
ગૃહમંત્રી શાહે રાજ્યમાં ફોજદારી કાયદાઓના અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નવા કાયદાઓનો હેતુ ગુનેગારોને સત્વરે સજા થાય અને પીડિતોને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવાનો છે.
શાહે તાકીદ કરી હતી કે આગામી 30 એપ્રિલ સુધીમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરેટ વિસ્તારોમાં નવા કાયદાઓનું 100% અમલીકરણ સુનિશ્ચિત કરવામાં આવે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દર મહિને, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દર પંદર દિવસે અને મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સ્તરે સાપ્તાહિક સમીક્ષા કરે તે જરૂરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
ગૃહમંત્રી શાહે ગુજરાત પોલીસ દ્વારા 10 વર્ષથી વધુ સમયના કેસોમાં 92%થી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવાના કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે બાકી રહેલા કેસોની સમીક્ષા કરીને જરૂરી કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું.
શાહે ગુજરાતમાં 'ઝીરો એફ.આઈ.આર.'ને '100 ટકા એફ.આઈ.આર.'માં બદલવાના કાર્યની સરાહના કરી હતી. તેમણે સૂચન કર્યું હતું કે, ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ (CCTNS) દ્વારા બે રાજ્યો વચ્ચે એફ.આઈ.આર. ટ્રાન્સફર થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. તેમણે ગુજરાત CCTNS 2.0 અપનાવે તેવી પણ હિમાયત કરી હતી.
ગૃહમંત્રી શાહે નવા ફોજદારી કાયદાઓમાં ઈલેક્ટ્રોનિક એવિડન્સની જોગવાઈઓના ઉચિત અમલીકરણ માટે ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગ સંકલન બેઠકો યોજીને પોસ્ટમોર્ટમ રિપોર્ટસ સહિત અન્ય મેડિકલ રિપોર્ટસ ઈલેક્ટ્રોનિક સ્વરૂપે મળે તેના પર વિશેષ ભાર મૂક્યો હતો.
શાહે જેલ, સરકારી હોસ્પિટલો, બેન્ક, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી વગેરેમાં પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી એવિડન્સ દાખલ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ એમ જણાવતા ઉમેર્યું હતું કે, રાજ્યની જેલોમાં દરેક ન્યાયાલય માટે એક વિડિયો કોન્ફરન્સિંગ ક્યુબિકલ હોવું જોઈએ.
ગૃહમંત્રી શાહે જણાવ્યું હતું કે, પોલીસે પૂછપરછ માટે અટકાયતમાં લીધેલા લોકો, જાપ્તા યાદી અને કોર્ટમાં મોકલવામાં આવેલા કેસો સહિતની માહિતી ઇલેક્ટ્રોનિક ડેશબોર્ડ પર પૂરી પાડવી જોઈએ. તેમણે રાજ્યના પોલીસ મહાનિદેશકને આવા કેસોનું સતત મોનિટરીંગ કરવા સૂચન કર્યું હતું. પોલીસ સ્ટેશનોમાં નેટવર્ક કનેક્ટિવિટી સ્પીડ નિર્ધારિત ધારાધોરણો કરતાં વધુ રાખવા પણ તેમણે સૂચવ્યું હતું.
શાહે કહ્યું હતું કે, સંગઠિત ગુનાખોરી, આતંકવાદ અને મોબ લિંચિંગની જોગવાઈઓનો દુરુપયોગ ન થાય તેની ખાતરી કરી શકાય તે માટે રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કરવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં ગેરહાજરીમાં ટ્રાયલ (Trial In Absentia)ની જોગવાઈ કરવામાં આવી છે, તે અંતર્ગત ભાગેડુ ગુનેગારો સામે કાર્યવાહી કરી શકાય છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા કેસોમાં દેશમાંથી લાંબા સમયથી ફરાર હોય તેવા ભાગેડુ આરોપીઓ સામે આવી ટ્રાયલની શરૂઆત થવી જોઈએ.
ગૃહમંત્રી શાહે દરેક જિલ્લામાં બે થી વધુ ફોરેન્સિક સાયન્સ મોબાઇલ વાન ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે આવી મોબાઇલ ફોરેન્સિક વાનમાં વપરાતી તમામ 12 કિટ્સ ભારતમાં જ બનેલી હોય તે સુનિશ્ચિત કરવા સૂચન કર્યું હતું.
ગુજરાત દ્વારા “ફોરેન્સિક ક્રાઈમ મેનેજર”ની નિમણુંક માટે કરાયેલી પહેલની સરાહના કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉમેર્યું હતું કે, આ પહેલને અન્ય રાજ્યોએ પણ અપનાવવી જોઈએ. આ ઉપરાંત, પેન્ડિંગ ફોરેન્સિક કેસોના નિકાલ માટે ઝુંબેશ ચલાવીને તેના ઉકેલ લાવવા અને ફોરેન્સિક વિભાગમાં ખાલી જગ્યાઓ પર વહેલી તકે ભરતી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે તમામ નીચલી અદાલતોને ઈ-પ્રોસેસથી કામગીરી કરવા માટે દિશાનિર્દેશો આપ્યાં છે, આ પહેલ ડિજિટલ અને પારદર્શિતા સુનિશ્ચિત કરતી સારી પહેલ છે તેમ જણાવી અન્ય રાજ્યોને પણ આ માટે પ્રયાસો કરવા સૂચન કર્યું હતું.
આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ગૃહ વિભાગના અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના મહાનિદેશક અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તથા રાજ્ય સરકારના ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો...
રામલલાના દર્શને ભક્તોનો મહાસાગર: અયોધ્યામાં 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, જૂના તમામ રેકોર્ડ તૂટ્યા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
