PM મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, શું મહિલા અનામત અંગે પોતાના વિચારો જણાવશે?
Prime Minister Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. તેઓ મહિલા અનામત સાથે જોડાયેલ બંધારણીય સુધારા બિલ સંસદમાં પાસ ન થઈ શકવા બાબતે વાત કરી શકે છે.

- વડાપ્રધાન મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે.
- લોકસભામાં મહિલા અનામત બિલ પાસ ન થતાં ચર્ચા શક્ય.
- બિલ માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતી મળી શકી નથી.
Prime Minister Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. તેઓ મહિલા અનામત સાથે જોડાયેલ બંધારણીય સુધારા બિલ સંસદમાં પાસ ન થઈ શકવા બાબતે વાત કરી શકે છે. જોકે સંબોધનનો વિષય હજુ સ્પષ્ટ કરવામાં આવ્યો નથી, પરંતુ સામાન્ય રીતે વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન મોટા નિર્ણયો અથવા મહત્વપૂર્ણ જાહેરાતો માટે હોય છે. આ સંબોધન ટીવી ચેનલો અને ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે. આ પહેલા PM એ 21 સપ્ટેમ્બર 2025 ના રોજ રાષ્ટ્રને સંબોધિત કરતા 'GST બચત ઉત્સવ' ની જાહેરાત કરી હતી. શુક્રવારે કેન્દ્ર સરકાર લોકસભામાં બેઠકો વધારવા માટે લાવવામાં આવેલ બંધારણનું 131 મું સુધારા બિલ લોકસભામાં પાસ કરાવી શકી નહોતી.
Prime Minister Narendra Modi will address the nation at 8:30 PM tonight. pic.twitter.com/1lg1catv0A
— ANI (@ANI) April 18, 2026
આમાં સંસદની 543 બેઠકો વધારીને 850 કરવાનો પ્રસ્તાવ હતો. બિલ પર લોકસભામાં 21 કલાકની ચર્ચા બાદ વોટિંગ થયું. 528 સાંસદોએ વોટ આપ્યા. પક્ષમાં 298 અને વિપક્ષમાં 230 વોટ પડ્યા. જોકે, બિલ પાસ કરાવવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર હતી. 528 ના બે તૃતીયાંશ 352 થાય છે. આ રીતે બિલ 54 વોટથી પડી ગયું હતું.
આ અમારી હાર નથી, મહિલાઓના અધિકારનો વિરોધ છે
મહિલા અનામત બિલને લઈને ચાલી રહેલા રાજકીય ટકરાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠકમાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે લોકસભામાં બિલનું પડી જવું એ સરકારની હાર નથી, પરંતુ દેશની મહિલાઓને મળનારા અધિકારોનો વિરોધ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ આ મુદ્દાને સીધો મહિલા સશક્તિકરણ સાથે જોડતા વિપક્ષની દાનત પર સવાલો ઉઠાવ્યા હતા.
'વિપક્ષ મહિલાઓના અધિકાર વિરુદ્ધ ઉભો છે'
કેબિનેટ બેઠકમાં વડાપ્રધાને કહ્યું કે મહિલા અનામત બિલનું સમર્થન ન કરવું એ વિપક્ષની મોટી રાજકીય ભૂલ છે. તેમના મતે, આ પગલું મહિલાઓને તેમનો હક આપવાનો ઇનકાર કરવા જેવું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ વલણનું પરિણામ આવનારા સમયમાં વિપક્ષે ભોગવવું પડશે.
વર્તમાન બેઠકો પર અનામતના પ્રસ્તાવને નકાર્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર હાલમાં પ્રવર્તમાન 543 બેઠકો પર સીધું અનામત લાગુ કરવા માટે નવું બિલ લાવવાના પક્ષમાં નથી. વિપક્ષ અને કોંગ્રેસની આ માંગને સરકારે ફગાવી દેતા તેને રાજકીય નિવેદનબાજી ગણાવી છે.
'50 વર્ષમાં કેમ ન આપ્યું અનામત?'
વડાપ્રધાને વિપક્ષી દળો પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો તેઓ ખરેખર મહિલાઓને અનામત આપવા માંગતા હતા, તો છેલ્લા 50 વર્ષમાં તેમણે આવું પગલું કેમ ન ભર્યું. તેમણે આને વિપક્ષની નિયત પર સવાલ ઉભો કરતો મુદ્દો ગણાવ્યો હતો.






















