મમતા બેનર્જીએ ભાજપની સરખામણી 'ઝેરી સાપ' સાથે કરી છે. તેમનું માનવું છે કે ભાજપ પર વિશ્વાસ કરવો તે ઝેરી સાપ પર વિશ્વાસ કરવા બરાબર છે.
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026: હાવડાની રેલીમાં સીએમ મમતા બેનર્જીએ ભાજપની ઝાટકણી કાઢી; મતદાર યાદીમાંથી લાખો સાચા લોકો અને સાધુ-સંતોના નામ હટાવવાનો લગાવ્યો ગંભીર આરોપ.

પશ્ચિમ બંગાળમાં 2026 ની વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ રાજકીય ગરમાવો વધી ગયો છે અને ટીએમસી (TMC) તથા ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાવડામાં એક વિશાળ જાહેર રેલીને સંબોધતા ભાજપની સરખામણી 'ઝેરી સાપ' સાથે કરી છે. તેમણે ભાજપ પર બંગાળના લાખો સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનો ગંભીર આરોપ લગાવ્યો છે અને બંગાળની જનતાને અપીલ કરી છે કે આ વખતની ચૂંટણીમાં ભાજપને બિલકુલ માફ ન કરે અને તેમને જડબાતોડ જવાબ આપે.
લાખો સાચા મતદારોના નામ ગાયબ કરી દીધા: મમતા બેનર્જી
હાવડાની આ સભામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આકરા શબ્દોમાં કહ્યું કે, "ભાજપ પર વિશ્વાસ કરવો એ ઝેરી સાપ પર વિશ્વાસ કરવા બરાબર છે." તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ બંગાળ પર હુમલો કરવા માટે માત્ર યોગ્ય તકની જ રાહ જોઈ રહ્યું છે. મતદારોના નામ હટાવવા મુદ્દે ગુસ્સો ઠાલવતા તેમણે કહ્યું કે, ભાજપે પોતાના એક ખરાબ અભિયાન હેઠળ કોઈપણ જાતના ભેદભાવ વિના લાખો સાચા અને સ્થાનિક મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ કરી દીધા છે.
તેમણે ઉમેર્યું કે, હદ તો ત્યારે થઈ જ્યારે કેટલીક આધ્યાત્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા આદરણીય સાધુ-સંતોના નામ પણ યાદીમાંથી નિર્દયતાથી કાઢી નાખવામાં આવ્યા. મમતાએ કહ્યું કે, આ લોકોએ બંગાળના સાચા મતદારોની બેશરમીથી અવગણના કરી છે, તેથી જનતાએ આ ચૂંટણીમાં તેમને પૂરેપૂરા નકારી કાઢવા જોઈએ. "તેમના પર સહેજ પણ દયા ન રાખવી જોઈએ અને તેમને બીજો કોઈ મોકો પણ ન આપવો જોઈએ," તેવો તેમને હુંકાર કર્યો હતો.
આ લડાઈ બંગાળની ઓળખ બચાવવાની છે
બેનર્જીએ લોકોને સંબોધતા વધુમાં એમ પણ કહ્યું કે, આ વખતની ચૂંટણી એ માત્ર કોઈ રાજકીય પક્ષને જીતાડવા પૂરતી સીમિત નથી, પરંતુ તે બંગાળમાં લોકશાહીની ઓળખ, આપણી ભાષા, આપણા અધિકારો અને બંગાળની મૂળભૂત ભાવનાને બચાવવાની લડાઈ છે. તેમણે દાવો કર્યો કે 'મા-માટી-માનુષ' ની તેમની સરકાર હંમેશા લોકોની જરૂરિયાતો અને અપેક્ષાઓ પૂરી કરતી રહેશે. સમાજમાં ભાગલા પાડવા અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરતી શક્તિઓ (ભાજપ) સામે સૌને એક થઈને લડવા માટે પણ તેમણે હાકલ કરી હતી.
2 તબક્કામાં યોજાશે બંગાળની ચૂંટણી
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 2026 ની વિધાનસભા ચૂંટણી 23 અને 29 એપ્રિલના રોજ એમ 2 તબક્કામાં યોજાવા જઈ રહી છે. રાજ્યની કુલ 294 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. આ ચૂંટણીના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. હાલમાં બંગાળમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે અને સત્તાધારી પક્ષ ટીએમસી તથા વિપક્ષ ભાજપ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
Frequently Asked Questions
મમતા બેનર્જીએ ભાજપની સરખામણી કોની સાથે કરી છે?
મમતા બેનર્જીએ ભાજપ પર કયો ગંભીર આરોપ લગાવ્યો છે?
મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે ભાજપે બંગાળના લાખો સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ કરી દીધા છે. તેમાં કેટલાક આધ્યાત્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા સાધુ-સંતોના નામ પણ સામેલ છે.
આ ચૂંટણીને મમતા બેનર્જી કઈ લડાઈ ગણાવે છે?
મમતા બેનર્જી આ ચૂંટણીને માત્ર કોઈ રાજકીય પક્ષને જીતાડવા પૂરતી સીમિત નથી, પરંતુ તે બંગાળની ઓળખ, ભાષા, અધિકારો અને મૂળભૂત ભાવનાને બચાવવાની લડાઈ ગણાવે છે.
પશ્ચિમ બંગાળમાં 2026 ની વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે?
પશ્ચિમ બંગાળમાં 2026 ની વિધાનસભા ચૂંટણી 23 અને 29 એપ્રિલના રોજ એમ 2 તબક્કામાં યોજાશે. રાજ્યની કુલ 294 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.























