Junagadh news: ઉનાળાની શરૂઆત પહેલા વન વિભાગ સક્રિય, ગિરમાં શરૂ થઈ ફાયર લાઈનની કામગીરી
ઉનાળાની શરૂઆત પહેલા ગિરમાં વન વિભાગ સક્રિય. 'ફાયર લાઇન'ની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ માત્ર આગને રોકવાનો પ્રયાસ નથી. પરંતુ જંગલના ઇકો-સિસ્ટમને સુરક્ષિત રાખવાનું એક સુવ્યવસ્થિત ફાયર મેનેજમેન્ટ છે. શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચેનો આ સમયગાળો ફાયર લાઇન માટે સર્વોત્તમ માનવામાં આવે છે. જંગલના મુખ્ય માર્ગોની બંને તરફ અંદાજે 15-15 મીટરના વિસ્તારમાં 'કંટ્રોલ બર્નિંગ' કરવામાં આવે છે. આ કામગીરી પાછળનો મુખ્ય હેતુ એ છે કે જો જંગલમાં ક્યાંય આકસ્મિક આગ લાગે, તો આ નિર્ધારિત કરેલી ‘ફાયર લાઇન’ આગને આગળ વધતી અટકાવવા માટે મજબૂત અવરોધ તરીકે કામ કરે. આ પ્રક્રિયાથી માત્ર આગ જ નથી અટકતી. પરંતુ ગીચ બની ગયેલા વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ માટે માર્ગ પણ ખુલ્લો બને છે. આ મહિનાના અંત સુધી આ કામગીરી ગિરના અલગ અલગ વિસ્તારોમાં પૂર્ણ કરવામાં આવશે.



















