મનસુખ વસાવાનું રોજગારને લઈ મોટું નિવેદન, કહ્યું – ભાજપ સરકારનો ઉદ્દેશ્ય બધાને નોકરી આપવાનો નથી પરંતુ દરેક....
રાજપીપલામાં નાંદોદ વિધાનસભા ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાયું, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની ચર્ચા, મનસુખ વસાવાએ વિરોધીઓને આડે હાથ લીધા.

Employment statement 2025: ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં સક્રિય કાર્યકર્તા સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા મતવિસ્તારનું સક્રિય કાર્યકર્તા સંમેલન રાજપીપલા ટાઉન હોલ ખાતે યોજાયું હતું. આ સંમેલનમાં પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના અધ્યક્ષ અર્જુનભાઈ ચૌધરી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભરૂચના સાંસદ મનસુખ વસાવા, સાંસદ જશુભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવ, પૂર્વ ધારાસભ્ય સહિત અનેક અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને અન્ય વક્તાઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. વક્તાઓએ પાર્ટીને વધુ મજબૂત અને સંગઠિત બનાવવા માટે પોતાની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
જો કે, આ સંમેલનમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા અને તેમણે કોઈનું નામ લીધા વગર વિરોધીઓને આડે હાથ લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે ભલે મતદારો અમુક બાબતોથી નારાજ હોય, પરંતુ તેઓ આખરે તો ભારતીય જનતા પાર્ટીને જ મત આપે છે. કારણ કે તેઓ સારી રીતે જાણે છે કે દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન કોણ અપાવી શકે છે - માત્ર ભાજપ જ, કોંગ્રેસ નહીં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય માત્ર બધાને સરકારી નોકરી આપવાનો નથી, પરંતુ દરેક નાગરિક સમૃદ્ધ બને તે સુનિશ્ચિત કરવાનો છે.
આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ પોતાના જીવનના સંઘર્ષના દિવસોને પણ યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ૧૯૮૪માં તેઓ ભાજપની જીત માટે નહીં, પરંતુ માત્ર ભાજપના ચૂંટણી ચિન્હ માટે ચૂંટણી લડ્યા હતા અને તેમને તે સમયે ૧૨૦૦ મત મળ્યા હતા. તેમણે ૧૯૮૯-૯૦ની વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તેઓ માત્ર ૧૨૦૦ મતથી હારી ગયા હતા. તેમણે નવા કાર્યકર્તાઓને જૂના નેતાઓની જીવનગાથા અને સંઘર્ષોને યાદ રાખવા માટે પણ અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાનોને વિવિધ પ્રોજેક્ટ્સમાં તક આપી રહ્યા છે અને પીઢ નેતાઓએ તેમને સમર્થન આપવું જોઈએ.
મનસુખ વસાવાએ પોતાના સંબોધનમાં વકફ બોર્ડ પર કોંગ્રેસના લાંબા સમયના શાસન અને ટ્રાઇબલ યુનિવર્સિટીમાં નીચેના સ્તરના વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે આ બાબતે મંત્રી કુબેર ડિંડોરનું ધ્યાન દોર્યું હતું અને જણાવ્યું હતું કે ટ્રાઇબલ યુનિવર્સિટીનો જે હેતુ છે તે પૂરી રીતે સિદ્ધ થઈ રહ્યો નથી. તેમણે ડેડીયાપાડાના ધારાસભ્યનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તેઓ ભાજપની યોજનાઓને કારણે જ વિકાસના કામો કરી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આથી તેઓ તમામ કાર્યકર્તાઓને ચેતવવા માટે આવ્યા છે. તેમણે અંતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપને કોંગ્રેસ કે ચૈતર વસાવાથી કોઈ ડર નથી, પરંતુ તેઓ ભાજપના કાર્યકર્તાઓને વધુ જાગૃત કરવા માટે આવ્યા છે.





















