Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં બરબાદીનો વરસાદ, રાજુલા-ખાંભામાં ત્રણ ઇંચથી વધુ ખાબક્યો
Gujarat Unseasonal Rain: 24 કલાકમાં અમરેલી, તળાજા, ભાવનગર, રાજુલા, ખાંભા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે

Gujarat Unseasonal Rain: ગુજરાતમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો છે, સમગ્ર ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક રીતે વરસાદ વરસી રહ્યો છે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ડાંગરથી લઇને કપાસ, મગફળી અને શાકભાજીના પાકોમાં મોટુ નુકસાન પહોંચ્યુ છે. ગુજરાતમાં હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આ બધાની વચ્ચે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 141 તાલુકામાં માવઠુ થયુ છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, સૌથી વધુ અમરેલી જિલ્લા અને ભાવનગર જિલ્લામાં વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં ફરી એકવાર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમરેલી, તળાજા, ભાવનગર, રાજુલા, ખાંભા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે.
24 કલાકમાં 141 તાલુકાઓમાં બરબાદીનો વરસાદ
24 કલાકમાં સૌથી વધુ રાજુલામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
24 કલાકમાં અમરેલીના ખાંભામાં ત્રણ ઈંચ વરસાદ
24 કલાકમાં ભાવનગરના તળાજામાં અઢી ઈંચ વરસાદ
24 કલાકમાં જાફરાબાદમાં બે ઈંચ વરસાદ
24 કલાકમાં ભાવનગરના મહુવામાં બે ઈંચ વરસાદ
24 કલાકમાં ઉના, ભાણવડમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ
24 કલાકમાં પડધરી અને ખંભાળિયામાં સવા ઈંચ વરસાદ
24 કલાકમાં લીંબડી, ચોટીલા, નાંદોદમાં એક-એક ઈંચ વરસાદ
24 કલાકમાં વલ્લભીપુર, થાનગઢ, કાલાવડમાં એક-એક ઈંચ વરસાદ
24 કલાકમાં ગણદેવી, વાપી, રાણાવાવમાં એક-એક ઈંચ વરસાદ
અરબી સમુદ્રની સિસ્ટમ અને હવામાનમાં પલટો
અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ડિપ્રેશન હાલમાં ગુજરાતના દરિયાકાંઠાથી લગભગ 300 કિમી દૂર છે. આ સિસ્ટમની અસર હેઠળ સમગ્ર રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સમયાંતરે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. જોકે રાહતની વાત એ છે કે હવામાન નિષ્ણાતોના મતે આ ડિપ્રેશન સિસ્ટમ આગામી 24 કલાક માં ધીમે ધીમે નબળી પડવાની શરૂઆત કરશે, જેનાથી વરસાદની તીવ્રતા ઘટશે.
સમગ્ર રાજ્યમાં વરસાદની સ્થિતિ અને ખેડૂતોની ચિંતા
અરબી સમુદ્રમાં સક્રિય આ સિસ્ટમ જોકે આગામી 24 કલાક માં નબળી પડવાની હોવાથી, 2 નવેમ્બર પછી વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. જોકે, આ અણધાર્યા માવઠાના કારણે ખેડૂતોના તૈયાર પાકને મોટું નુકસાન થઈ ચૂક્યું છે. સરકાર દ્વારા આ નુકસાન અંગે વહેલી તકે સર્વે કરીને સહાય જાહેર કરવામાં આવે તેવી ખેડૂતોમાં અપેક્ષા છે. નાગરિકોને હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને જ ઘરમાંથી બહાર નીકળવા માટે સૂચના આપવામાં આવી છે.





















