Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગેલ મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદ: ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગેલ મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં આજે સવારથી વરસાદી ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી 6 દિવસ 7 ઓક્ટોબરથી લઈને 12 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
શક્તિ વાવાઝોડું નબળું પડ્યું
અરબ સાગરમાં સક્રિય શક્તિ વાવાઝોડું હવે નબળું પડ્યું છે. ચક્રવાત શક્તિ દ્વારકા- નલિયાથી 900 કિમી દૂર છે. ચક્રવાતમાંથી આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, આ ચક્રવાતની અસરથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છમાં હળવા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આ ચક્રવાતના કારણે 10 ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે છે.
નવસારીમાં જામ્યો વરસાદી માહોલ
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે.નવસારીના ગ્રામ્ય પંથકમાં સવારથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. નવસારી શહેરના મંકોડિયા, વીજલપોર, સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદથી શેરડી, ડાંગર, ચીકુ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
પંચમહાલના ગોધરામાં પંથકમાં પણ રાત્રિના સમયમાં વરસાદ વરસ્યો હતો. ગોધરા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના વરસાદ વરસ્યો હતો. વાવડી, વેગનપુર, ટુવા, ટીંબા, સાપા ગામે ધીમીધારે વરસાદ વરસ્યો. દારૂનિયા, પોપટપુરા સહિતના ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે. અરબ સાગરમાં સક્રિય થયેલું 'શક્તિ' વાવાઝોડું હવે ધીમું પડીને નબળું થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જ તે ડીપ ડિપ્રેશન માં રૂપાંતરિત થઈ જશે.
આજે અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાવધાનીના પગલાં રૂપે દરિયાકાંઠે 40 થી 50 કિમી/કલાક ની ઝડપે પવન ફૂંકાશે તેવી એલર્ટ છે અને તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળ ઉપસાગરના ભેજ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.





















