જાપાન પછી નેપાળે પણ ભારતીય કેરી પર મૂક્યો પ્રતિબંધ?સરકારે આપ્યું સ્પષ્ટીકરણ
જાપાન પછી નેપાળે પણ ભારતીય કેરીના આયાત પર પ્રતિબંધ મૂક્યો હોવાના દાવાઓ વચ્ચે કેન્દ્ર સરકારે મોટું નિવેદન જાહેર કર્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવી તમામ ખબર ભ્રામક અને તથ્યવિહોણી છે.

સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે નેપાળે ભારતમાંથી કેરીના આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે, કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે નેપાળમાં ભારતીય કેરીના આયાત પર કોઈ પ્રતિબંધ નથી અને ભારતીય કેરીની નિકાસ સતત ચાલુ છે.
સરકારે શું કહ્યું?
કેન્દ્ર સરકારે બુધવાર (10 જૂન)ના રોજ કેટલાક મીડિયા અહેવાલોને નકારી કાઢતા જણાવ્યું કે, નેપાળે ભારતીય કેરી પર પ્રતિબંધ મૂક્યો હોવાનો દાવો સંપૂર્ણપણે ખોટો છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, નેપાળના પ્લાન્ટ ક્વોરન્ટીન અને પેસ્ટિસાઇડ મેનેજમેન્ટ સેન્ટર દ્વારા પણ 10 જૂને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ભારતીય કેરી પર કોઈ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો નથી.
પ્રતિબંધની ખબર ખોટી હોવાનું જણાવ્યું
મંત્રાલયના નિવેદન અનુસાર: “કેટલાક મીડિયા અહેવાલોમાં નેપાળે ભારતીય કેરીના આયાત પર પ્રતિબંધ મૂક્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જે સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક છે.”મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, હાલના નિયમો અનુસાર આરોગ્ય સંબંધિત શરતોનું પાલન કરવામાં આવે તો આયાતની મંજૂરી આપવામાં આવી રહી છે અને રિલીઝ ઓર્ડર પણ જાહેર થઈ રહ્યા છે.
ભારતમાંથી નેપાળમાં કેટલી કેરી નિકાસ થઈ?
સરકારી આંકડા મુજબ:
જાન્યુઆરી 2026થી અત્યાર સુધીમાં ભારતે નેપાળમાં 2,005 ટન કેરીની 149 ખેપો નિકાસ કરી છે.
જૂન મહિનામાં અત્યાર સુધી 266 ટન કેરીની 18 ખેપો નેપાળ મોકલવામાં આવી છે. આ આંકડા દર્શાવે છે કે, ભારતીય કેરીની નિકાસ સામાન્ય રીતે ચાલુ છે.
નેપાળે આયાતના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા
તાજેતરમાં નેપાળે ફળો અને અન્ય કૃષિ ઉત્પાદનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેટલાક નવા આયાત નિયમો અમલમાં મૂક્યા છે. આ નિયમો મુજબ “હોટ વોટર ટ્રીટમેન્ટ” (ગરમ પાણી દ્વારા સારવાર) ફરજિયાત બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: ચોમાસા વચ્ચે અલ નિનોનો મોટો ખતરો: દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ!
ભારતે જણાવ્યું છે કે તે નવા ધોરણો અનુસાર કેરીની નિકાસ પ્રક્રિયાને સરળ બનાવી રહ્યું છે. જોકે, ભારતે એ બાબતે ચિંતા વ્યક્ત કરી છે કે નેપાળે પૂર્વ ચર્ચા વિના નવા છોડ-આરોગ્ય સંબંધિત નિયમો લાગુ કર્યા છે.
ભારત આ મુદ્દાને WTOના સેનિટરી અને ફાઇટોસેનિટરી (SPS) કરાર તથા આંતરરાષ્ટ્રીય છોડ સંરક્ષણ સંધિ હેઠળ દ્વિપક્ષીય સ્તરે ઉઠાવી રહ્યું છે.
વેપારીઓને સલાહ
કૃષિ મંત્રાલયે વેપારીઓ અને સંબંધિત હિતધારકોને અપીલ કરી છે કે તેઓ માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે અને કેરીની નિકાસ પર પ્રતિબંધ સંબંધિત અપ્રમાણિત અફવાઓથી દૂર રહે.






















