![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chhattisgarh Naxal Attack: નક્સલીઓ સાથેની અથડામણમાં 22 જવાન શહીદ, આજે 17 મૃતદેહ મળ્યા
નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણ બાદ આજે રવિવારે વધુ 17 જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. શનિવારે બસ્તર વિસ્તારમાં નક્સલીઓ સાથે એન્કાઉન્ટર બાદ 21 જવાનો ગુમ હતા.
![Chhattisgarh Naxal Attack: નક્સલીઓ સાથેની અથડામણમાં 22 જવાન શહીદ, આજે 17 મૃતદેહ મળ્યા Chhattisgarh Naxal Attack 22 security personnel have lost their lives in the Naxal attack at Sukma-Bijapur in Chhattisgarh Chhattisgarh Naxal Attack: નક્સલીઓ સાથેની અથડામણમાં 22 જવાન શહીદ, આજે 17 મૃતદેહ મળ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/04/588ffe79bb37f35b27144a71c6da1ebd_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાયપુર: છત્તીસગઢ (Chhattisgarh)ના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા (Sukma-Bijapur) જિલ્લાના સરહદી વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 22 જવાનો શહીદ થયા હતા. અથડામણ બાદ આજે રવિવારે વધુ 17 જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. શનિવારે બસ્તર વિસ્તારમાં નક્સલીઓ સાથે એન્કાઉન્ટર બાદ 21 જવાનો ગુમ હતા. લાપતા જવાનોને શોધવા માટે 600 જવાનોની બટાલિયન નક્સલીઓના વિસ્તારમાં રવાના થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન ઘટના સ્થળેથી વધુ 17 મૃતદેહ મળી આવ્યા હતા.
શનિવારે, લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી અથડામણમાં પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા અને અન્ય 30 ઘાયલ થયા છે. અથડામણ બાદ આજે રવિવારે સર્ચ ઓપરેશન દરમિયાન ઘટના સ્થળેથી વધુ 14 શબ મળી આવ્યા છે.
સમચાર એજન્સી એએનઆઈ અનુસાર, બીજાપુરના એસપી કામાલોચન કશ્યપે આ વાતની પુષ્ટી કરી હતી કે, શહીદ થનારા જવાનોની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. તેમાંથી 17 મૃતદેહ આજે મળી આવ્યા છે અને ગઈકાલે પાંચ મળ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટનાસ્થળેથી એક મહિલા નક્સલીનો મૃતદેહ મળી આવ્યો છે. છત્તીસગઢ પોલીસે 9 નક્સલીઓને ઠાર કર્યાનો દાવો કર્યો છે.
ગૃહમંત્રીએ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે કરી વાતચીત
અથડામણને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે વાતચીત કરી જાણકારી મેળવી હતી અને સીઆરપીએફ (CRPF) મહાનિદેશકને નિર્દેશ આપ્યા છે કે, તેઓ તાત્કાલિક છત્તીસગઢ રવાના થાય. અમિત શાહે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, છત્તીસગઢ (Chhattisgarh)માં માઓવાદીઓ સામે લડતી વખતે શહીદ થયેલા આપણા બહાદુર સુરક્ષા જવાનોના બલિદાનને હું નમન કરું છું. દેશ તેમની બહાદુરી નહીં ભૂલે. શહીદ જવાનોના પરિવાર સાથે મારી સંવેદના છે. આપણે શાંતિ અને પ્રગતિના આ દુશ્મનો સાથે લડત ચાલુ રાખીશું.
પોલીસ અધિકારીઓ અનુસાર, સુરક્ષા દળોએ સ્થળ પરથી એક મહિલા નક્સલવાદીનો મૃતદેહ બહાર કાઢ્યો છે. રાજ્યના નક્સલ વિરોધી ઓપરેશનના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ પોલીસ ઓ.પી. પાલે કહ્યું કે, આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળના પાંચ જવાન શહીદ થયા છે અને અન્ય 12 સૈનિકો ઘાયલ થયા છે. પાલે જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે બીજપુર અને સુકમા જિલ્લાની સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની કોબ્રા બટાલિયન, ડી.આર.જી. અને એસ.ટી.એફ.ની સંયુક્ત ટીમને નક્સલ વિરોધી કાર્યવાહીમાં રવાના કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું કે, નક્સલ વિરોધી અભિયાનમાં બીજાપુર જિલ્લાના તર્રેમ, ઉસૂર અને પામેડ અને સુકમા જિલ્લાના મિનાપા અને નરસાપુરમથી લગભગ બે હજાર જવાન સામેલ હતા. છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શનિવારે, બપોરે 12 વાગ્યે, બીજાપુર-સુકમા જિલ્લાની સરહદ પર સુકમા જિલ્લાના જોગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ જોનાગુડા ગામ નજીક નક્સલવાદીઓની પીએલજીએ બટાલિયન અને તર્રેમના સુરક્ષા દળ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ ત્રણ કલાકથી વધુ ચાલી હતી.
PM મોદીએ વ્યક્ત કર્યું દુખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) નક્સલીઓ સાથે થયેલી અથડામણાં સુરક્ષાકર્મીઓના શહીદ થવા પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓના બલિદાનને ક્યારેય નહીં ભૂલાઈ. પીએમ મોદીએ ટ્વીટમાં કહ્યું કે, મારી સંવેદનાઓ છત્તીસગઢમાં માઓવાદીઓ સાથે લડતા લડતા શહીદ થયેલા જવાનોના પરિવાર સાથે છે. વીર શહીદોના બલિદાનને ક્યારેય નહીં ભૂલી શકાય. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)