કોણ છે પહલગામ હુમલાનો 'હીરો' રઈસ અહમદ ભટ્ટ: મૃતદેહો વચ્ચેથી લોકોને ખભા પર ઉંચકી સલામત સ્થળે પહોંચાડ્યા
ટૂરિસ્ટ પોની સ્ટેન્ડના પ્રમુખ રઈસ અહેમદ ભટ્ટે વર્ણવી ભયાનક આપવીતી, 'અમે માનવતા માટે રડી રહ્યા છીએ', આતંકવાદને કાશ્મીરિયત પર હુમલો ગણાવ્યો.

Rayees Ahmad Bhatt hero: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં જ્યાં એક તરફ ૨૬ નિર્દોષ પ્રવાસીઓના મોત થયા, ત્યાં બીજી તરફ કેટલાક સ્થાનિક લોકોએ અસાધારણ હિંમત બતાવીને અનેક લોકોના જીવ બચાવ્યા. આવા જ એક 'પહલગામના હીરો' તરીકે ટૂરિસ્ટ પોની સ્ટેન્ડના પ્રમુખ રઈસ અહેમદ ભટ્ટનું નામ સામે આવ્યું છે, જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના મૃતદેહો અને ગભરાટ વચ્ચેથી ઘાયલ પ્રવાસીઓને ખભા પર ઉંચકીને સલામત સ્થળે પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ANI સાથે વાત કરતા રઈસ અહેમદ ભટ્ટે હુમલાની ભયાનકતા અને પોતાના બચાવ કાર્ય વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ પોતાની ઓફિસમાં બેઠા હતા. બપોરે લગભગ ૨:૩૫ વાગ્યે તેમને યુનિયનના જનરલ સેક્રેટરીનો મેસેજ મળ્યો. નેટવર્કની સમસ્યા હોવા છતાં, મેસેજ જોતા જ તેઓ મદદ માટે એકલા જ નીકળી પડ્યા, મનમાં વિચાર્યું કે જો હુમલાખોરો ત્યાં હશે અને અમે પણ માર્યા જઈશું તો પણ ચાલશે. રસ્તામાં તેમને બે-ત્રણ લોકો મળ્યા, જેમની સાથે મળીને તેઓ કુલ પાંચ કે છ લોકોની ટીમ બનીને હુમલાના સ્થળે પહોંચ્યા.
ભયાનક દ્રશ્યો અને બચાવ કાર્ય
ભટ્ટે જણાવ્યું કે હુમલાના સ્થળની નજીક પહોંચતા જ તેમણે જોયું કે લોકો કાદવમાં ખુલ્લા પગે દોડી રહ્યા હતા અને મદદ માટે ચીસો પાડી રહ્યા હતા. ચારે બાજુ ભયનો માહોલ હતો. ભટ્ટ અને તેમના સાથીઓએ ડરી ગયેલા અને થાકેલા પ્રવાસીઓને સલામત સ્થળે લઈ જવાનું શરૂ કર્યું. તેમણે પ્રવાસીઓની તરસ છીપાવવા માટે જંગલમાંથી આવતા પાણીના સપ્લાયમાંથી એક પાઇપ તોડીને તેમને પાણી આપ્યું. તેમણે પ્રવાસીઓને આશ્વાસન આપતા કહ્યું કે 'હવે તમે સુરક્ષિત વિસ્તારમાં છો. ચિંતા કરશો નહીં.'
ઘટનાસ્થળે પહોંચતા જ રઈસ અહેમદ ભટ્ટ મૃતદેહો જોઈને ચોંકી ગયા હતા. તેમણે જણાવ્યું કે મુખ્ય પ્રવેશદ્વાર પર જ તેમણે એક મૃતદેહ જોયો. ભટ્ટે કહ્યું કે તેઓ ૩૫ વર્ષના છે અને તેમણે પહેલગામમાં આવી ઘટના ક્યારેય જોઈ નથી. અંદર ગયા બાદ તેમણે બધે જ મૃતદેહો જોયા, કુલ ૨૬ લોકો માર્યા ગયા હતા. તેમણે જણાવ્યું કે માત્ર ત્રણ કે ચાર મહિલાઓ હતી જેઓ તેમને વળગી રહી હતી અને ભારે હૃદયથી તેમના પતિઓને બચાવવા માટે આજીજી કરી રહી હતી. આ દ્રશ્યો અત્યંત હૃદયદ્રાવક હતા.
પોલીસ અને સુરક્ષા દળોની પહોંચ
ભટ્ટે જણાવ્યું કે બપોરે ૩:૨૦ વાગ્યા સુધી તેઓ પ્રવાસીઓને મદદ કરી રહ્યા હતા. લગભગ ૧૦ મિનિટ પછી એસએચઓ રિયાઝ સાહેબ ઘટનાસ્થળે પહોંચ્યા. ભટ્ટે સ્પષ્ટતા કરી કે હુમલાના સ્થળ સુધી કોઈ મોટરવાળો રોડ નથી અને પોલીસને પગપાળા દોડીને ત્યાં પહોંચવું પડ્યું. તેમણે કહ્યું કે સ્થાનિકોને જંગલમાંથી શોર્ટ કટ ખબર હોય છે, તેથી તેઓ ઝડપથી પહોંચી ગયા, જ્યારે પોલીસ અને અન્ય લોકોને લાંબો રસ્તો લેવો પડ્યો અને ૧૦ મિનિટ પછી પહોંચ્યા.
આજીવિકા નહીં, માનવતા માટે રડી રહ્યા છીએ
રઈસ અહેમદ ભટ્ટે આ ઘટનાની સખત નિંદા કરતા કહ્યું કે ગઈકાલે (ગુરુવારે) તેમણે એક મોટો વિરોધ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે કાશ્મીરમાં આવી ઘટનાઓ બને, કારણ કે કાશ્મીર ૯૯% પ્રવાસન પર નિર્ભર છે અને જ્યારે પ્રવાસીઓ અહીં આવે છે ત્યારે જ તેમનું જીવન નિર્વાહ થાય છે. તેમણે કહ્યું, "અમે અહીં બનેલી ઘટનાને વખોડી કાઢીએ છીએ. અમે આજીવિકા માટે નહીં, પણ માનવતા માટે રડી રહ્યા છીએ. તે (પ્રવાસીઓ) અમારા મહેમાન હતા. અલ્લાહે આપણને એકબીજાની મદદ કરવા માટે બનાવ્યા છે."
રઈસ અહેમદ ભટ્ટનું સાહસ, પીડિતો પ્રત્યેની તેમની સંવેદના અને માનવતાવાદી અભિગમ ખરેખર પ્રેરણાદાયી છે. તેમણે પોતાના જીવનું જોખમ લઈને પણ અનેક નિર્દોષ પ્રવાસીઓના જીવ બચાવીને સાચા હીરો તરીકેની ઓળખ બનાવી છે. આ ઘટના દર્શાવે છે કે કાશ્મીરના સ્થાનિક લોકો આતંકવાદના વિરુદ્ધ છે અને પ્રવાસીઓને પોતાના પરિવારજનોની જેમ માને છે.
Before You Go
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર





















