મધ્ય પૂર્વમાં યુદ્ધ રોકવા માટે યોજાયેલી શાંતિ મંત્રણા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. કોઈ સકારાત્મક પરિણામ ન આવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નિરાશ થયા છે.
શાંતિ મંત્રણા નિષ્ફળ જતા ડોનાલ્ડ ટ્રમ્પનો પારો છટક્યો: ઈરાનને ધમકી આપતા કહ્યું - ‘પરમાણુ બોમ્બ...’
ઇસ્લામાબાદમાં 21 કલાક ચાલેલી મેરેથોન બેઠક કોઈ પણ પરિણામ વિના પૂરી; ટ્રમ્પે ઈરાની નેતાઓને 'અસ્થિર અને અણધારી' ગણાવીને આકરો આક્રોશ ઠાલવ્યો.

- ઈરાનની પરમાણુ મહત્વાકાંક્ષાઓ શાંતિ મંત્રણામાં નિષ્ફળ.
- ટ્રમ્પે ઈરાનને પરમાણુ બોમ્બ નહીં બનાવવા દબાણ કર્યું.
- નિષ્ફળ મંત્રણા બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કર્યો.
- અસ્થિર દેશોને પરમાણુ શક્તિ ન મળે તેવો ટ્રમ્પનો નિર્ધાર.
મધ્ય પૂર્વમાં ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં યોજાયેલી શાંતિ મંત્રણા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. શનિવારે (11 એપ્રિલ, 2026) લગભગ 21 કલાક સુધી ચાલેલી આ ઉગ્ર બેઠકનું કોઈ જ સકારાત્મક પરિણામ ન આવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. ટ્રમ્પે વાટાઘાટો ભાંગી પડ્યા બાદ ઈરાનને ખુલ્લી ચેતવણી (અલ્ટીમેટમ) આપતા સ્પષ્ટ કહી દીધું છે કે ગમે તે થાય, ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર કે બોમ્બ તો નહીં જ બનાવવા દેવામાં આવે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કાઢ્યો બળાપો
રવિવારે (12 એપ્રિલ, 2026) અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર એક લાંબી પોસ્ટ મૂકીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, "ઈરાન સાથેની આ બેઠક વહેલી સવારે શરૂ થઈ હતી અને આખી રાત એમ લગભગ 20 કલાકથી વધુ સમય સુધી ચાલી. અમે ઘણી બધી બાબતો પર વિસ્તારથી ચર્ચા કરી અને કેટલાક મુદ્દાઓ પર સહમતિ પણ સધાઈ, પરંતુ સૌથી મોટી અને નિરાશાજનક વાત એ છે કે ઈરાન પોતાની પરમાણુ મહત્વાકાંક્ષાઓ (બોમ્બ બનાવવાની જિદ્દ) છોડવા માટે બિલકુલ તૈયાર નથી!"
"અસ્થિર લોકોના હાથમાં પરમાણુ તાકાત ન જ આવી શકે"
પોતાની પોસ્ટમાં ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, "એ વાત સાચી છે કે જે થોડા ઘણા મુદ્દાઓ પર આપણી સહમતિ બની છે, તે લાંબા સમય સુધી સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવા કરતા ઘણા સારા છે. પરંતુ, જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનો સવાલ છે, ત્યાં સુધી આમાંની કોઈ પણ સહમતિનું કોઈ જ મહત્વ રહેતું નથી. આવા અસ્થિર, મુશ્કેલ અને જેમનો કોઈ ભરોસો ન કરી શકાય (અણધારી) તેવા લોકોના હાથમાં પરમાણુ તાકાત તો ક્યારેય ન જ આવવી જોઈએ."
"ઈરાન સૌથી મહત્વના મુદ્દે જરાય નમતું જોખવા તૈયાર નથી"
અમેરિકન રાષ્ટ્રપતિએ વાટાઘાટો નિષ્ફળ જવા પાછળનું મુખ્ય કારણ જણાવતા સ્પષ્ટ કર્યું કે, "આ બેઠક દરમિયાન મારા 3 પ્રતિનિધિઓ ઈરાનના નેતાઓ - મોહમ્મદ બાઘર ગાલિબાફ, અબ્બાસ અરાઘચી અને અલી બઘેરી સાથે ખૂબ જ મિત્રતાપૂર્વક અને આદરથી પેશ આવ્યા હતા. પરંતુ આ બધી વાતોનું આખરે કોઈ જ પરિણામ ન મળ્યું, કારણ કે તેઓ સૌથી મહત્વના મુદ્દા (પરમાણુ કાર્યક્રમ) પર જરાય નમતું જોખવા તૈયાર નહોતા. મેં હંમેશાં કહ્યું છે, શરૂઆતથી અને વર્ષોથી કહેતો આવ્યો છું કે, ઈરાન પાસે ક્યારેય પરમાણુ શસ્ત્ર નહીં હોય!"
Frequently Asked Questions
ઈરાન અને અન્ય દેશો વચ્ચે યોજાયેલી શાંતિ મંત્રણાનું પરિણામ શું આવ્યું?
શાંતિ મંત્રણા નિષ્ફળ જવા પાછળનું મુખ્ય કારણ શું હતું?
મંત્રણા નિષ્ફળ જવા પાછળનું મુખ્ય કારણ ઈરાનનું પોતાના પરમાણુ કાર્યક્રમ પર નમતું જોખવા તૈયાર ન થવું હતું. ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવાની પોતાની જિદ્દ છોડવા તૈયાર નહોતું.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને શું ચેતવણી આપી છે?
ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગમે તે થાય, ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર કે બોમ્બ બનાવવા દેવામાં નહીં આવે.
ટ્રમ્પે મંત્રણા વિશે પોતાના સોશિયલ મીડિયા પર શું લખ્યું?
ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે ઈરાન પરમાણુ મહત્વાકાંક્ષાઓ છોડવા તૈયાર નથી, જે નિરાશાજનક છે. આવા અસ્થિર લોકોના હાથમાં પરમાણુ તાકાત ન આવવી જોઈએ.






















