CM રૂપાણીના જન્મદિવસે ફિક્સ પગારદારોને સરકારની ગિફ્ટ, 48000 કર્મચારીઓને મળશે લાભ
અમદાવાદઃ ગુજરાત ઉર્જા વિકાસ નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવાની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જાહેરાત કરી હતી. ફિક્સ પગાર ધરાવતા સરકારી કર્મચારીઓના પગારમાં પણ વધારો કરવાની જાહેરાત કરી હતી. આ નિગમ હેઠળ કાર્યરત 6 સરકારી વીજ કંપનીના 48000 કર્મચારીઓ- અધિકારીઓને સાતમા પગાર પંચ પ્રમાણે વેતન આપવામાં આવશે તેવી જાહેરાત નીતિન પટેલે કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસે સરકારે આ જાહેરાત કરી હતી.
નીતિન પટેલે જાહેરાત કરી હતી કે 1 ઓગસ્ટથી રોકડમાં આ લાભ આપવામાં આવશે. જાન્યુઆરી 2016થી જુલાઈ 2017 સુધીનું એરિયર્સ હપ્તામાં ચુકવાશે. સરકારના આ નિર્ણયથી સરકારી તિજોરીને 550 થી 600 કરોડ રૂપિયાનો બોજ પડશે.
સરકારના આ નિર્ણય બાદ ઉર્જા વિકાસ નિગમના ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓને હવે દર મહિને 19950 રૂપિયાનો પગાર આપવામાં આવશે. આ વધારો 1,ફેબ્રુઆરી 2017થી અમલમાં આવશે. હવે મનપા અને નપાના વિદ્યાસહાયકોનો પગાર લગભગ ડબલ થઇ જશે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા નિગમ અને જળ સંપત્તિ વિકાસ નિગમના 4431 કર્મચારીઓને પણ સાતમા પગાર પંચનો લાભ આપવાનો સરકારે નિર્ણય લીધો હતો. 1લી ઓગષ્ટથી રોકડમાં આ લાભ આપવામાં આવશે અને જાન્યુઆરી 2016થી હપ્તામાં એરિયર્સ ચૂકવવામાં આવશે.