Crime: અમદાવાદમાં ₹૩૦ના ભાડાના વિવાદમાં મુસાફરની કરપીણ હત્યા, રિક્ષા ચાલકે બે વખત ટક્કર મારી પતાવી દીધો
Ahmedabad Crime: નવરંગપુરામાં બની ઘટના: CCTV ફૂટેજથી ખૂલ્યો ભેદ, અકસ્માતનો ગુનો હત્યામાં પલટાયો, આરોપી રિક્ષા ચાલક મધ્ય પ્રદેશથી ઝડપાયો.

Ahmedabad Passenger Murder: અમદાવાદ શહેરમાં સામાન્ય બાબતોમાં હિંસક ઘટનાઓ બનવાના કિસ્સાઓ વધી રહ્યા છે. નવરંગપુરા વિસ્તારમાં ગત રવિવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં માત્ર ₹૩૦ના રિક્ષા ભાડાના વિવાદમાં એક મુસાફરની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. રિક્ષા ચાલકે ભાડું ન આપવા બદલ ગુસ્સે થઈને મુસાફરને ઇરાદાપૂર્વક બે વખત રિક્ષા ચડાવી દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આ મામલે આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરી લીધી છે.
ઘટનાની વિગત એવી છે કે, ગત ૨૦ એપ્રિલની સાંજે નવરંગપુરામાં જૈન દેરાસર સામે કળશ રેસિડેન્સી નજીક એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક રીતે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જોકે, લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) અને નવરંગપુરા પોલીસની અનેક ટીમોએ ૩૦૦ થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસતા સમગ્ર મામલાનો ભેદ ઉકેલાયો હતો.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળ્યું કે, મૃતક વ્યક્તિ રસ્તા પર ચાલી રહ્યો હતો ત્યારે એક રિક્ષાએ તેને પાછળથી ઇરાદાપૂર્વક ટક્કર મારી. ટક્કર વાગતા પીડિત વ્યક્તિ જમીન પર પટકાયો. તેવામાં રિક્ષા ચાલકે યુ-ટર્ન લીધો અને જમીન પર પડેલા પીડિત પર બીજી વાર રિક્ષા ચડાવી દીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. આ ગંભીર ઇજાઓના કારણે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પોલીસ તપાસમાં અને આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, આ હત્યા માત્ર ₹૩૦ના સામાન્ય રિક્ષા ભાડાના વિવાદને કારણે થઈ હતી. આરોપી રિક્ષા ચાલક સમીર કનુભાઈ રઘુનાથ નટ (ઉંમર ૨૨) એ પોલીસને જણાવ્યું કે, ૧૯ એપ્રિલે તેણે વાડજ બસ સ્ટેશનથી બે પેસેન્જર લીધા હતા. તેમાંથી એકને લખુડી તલાવડીમાં ઉતાર્યો હતો, જ્યારે બીજા પેસેન્જર (મૃતક)ને કાલુપુર જવું હતું, પરંતુ આરોપીએ આટલા દૂર જવાનો ઇનકાર કરીને તેને નવરંગપુરા ચાર રસ્તા પાસે ઉતારી દીધો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, મૃતકે રિક્ષા ડ્રાઈવરને કલાશ હોટલ પાસે આરામ કરવા માટે રોકવા કહ્યું હતું અને બંને નીચે ઉતર્યા હતા. આ દરમિયાન પીડિત ભાડું ચૂકવ્યા વિના જૈન દેરાસર તરફ ચાલ્યો ગયો હતો. ભાડું ન મળતા ગુસ્સે ભરાયેલા રિક્ષાચાલક સમીરે કથિત રીતે તેને ઇરાદાપૂર્વક રિક્ષા નીચે કચડી નાખીને હત્યા કરી હતી.
સમગ્ર ઘટના મામલે પોલીસે મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાના રહેવાસી આરોપી સમીર કનુભાઈ રઘુનાથ નટની ધરપકડ કરીને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર નજીવી રકમના ભાડાના વિવાદમાં હત્યા જેવો ગંભીર ગુનો બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.





















