Gujarat: ખેડૂતો માટે મહત્વના સમાચાર, ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીની શરૂઆત થઇ, જાણો વિગત
Gujarat Farmer News: આજથી શરૂઆત થઇ ગઇ છે. ચણા અને રાયડાની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે

Gujarat Farmer News: ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજથી ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવથી ખરીદીની શરૂઆત થઇ ગઇ છે. આજથી 21મી એપ્રિલથી ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ ગઇ છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર સાથે દર વર્ષે ભારત સરકારની પી.એમ. આશા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ખેડૂતો નિશ્ચિંત થઈને વિવિધ પાકોનું વાવેતર કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા વાવેતર પહેલા જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે.
ગુજરાતમાં ચણા અને રાયડો પકવતા ખેડૂતો માટે સરકારે ટેકાના ભાવથી ખરીદી કરવાની જાહેરાત કરી હતી, તેની આજથી શરૂઆત થઇ ગઇ છે. ચણા અને રાયડાની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આજથી 179 ખરીદ કેન્દ્રો પર ચણાની ખરીદી કરવામાં આવશે, જ્યારે 87 ખરીદ કેન્દ્રો પર રાયડાની ખરીદી કરવામાં આવશે. બનાસકાંઠામાં ખેડૂતો રાયડો લઈને ખરીદ કેન્દ્રો પર પહોંચી રહ્યાં છે. બનાસકાંઠામાં રાયડા માટે 72 હજાર ખેડૂતોએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. માત્ર ધાનેરામાં 15700થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ.
આ પહેલા ચણા અને રાયડાની ખરીદી સંદર્ભે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ભારત સરકારે વર્ષ 2024-25ની રવિ સિઝન દરમિયાન ચણા માટે રૂ.5,650 પ્રતિ ક્વિન્ટલ (રૂ.1,130 પ્રતિ મણ) તથા રાયડા પાક માટે રૂ.5,950 પ્રતિ ક્વિન્ટલ (રૂ.1,190 પ્રતિ મણ) ટેકાના ભાવ જાહેર કર્યો હતો. જેથી રાજ્યના ખેડૂતોએ ચણા અને રાયડાનું નિશ્ચિંત થઈને પુષ્કળ વાવેતર કર્યું હતું. ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના કુલ 3.36 લાખથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ 1.18 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે.
નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા માટે નક્કી કરાયેલા 179 ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરાયેલા 87 ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ભારત સરકારની મંજૂરી મુજબ રૂ.1,903 કરોડના મૂલ્યનો કુલ 3.36 લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો તેમજ રૂ. 767 કરોડના મૂલ્યનો કુલ 1.29 લાખ મેટ્રિક ટન રાયડાનો જથ્થો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે, તેમ મંત્રી ઉમેર્યું હતું.

